ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/છોટાલાલ માનસિંગ કામદાર
એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક, જેતપુરના વતની છે. એમનો જન્મ તા. ૪ થી ફેબ્રુઆરી સન ૧૮૯૮ ના રોજ મોટાદેવળીયામાં થયો હતો. એમના પિતાનું નામ માનસિંગ નરભેરામ અને માતાનું નામ દુધીબાઈ ધનજી છે. એમનું લગ્ન સં. ૧૯૭૨ ના મહાવદ ૧ મે જામનગરમાં શ્રીમતી સૂર્યકુમારી મનસુખલાલ સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુરમાં, કૉલેજ શિક્ષણ બહાઉદ્દીન કૉલેજ-જુનાગઢમાં લીધું હતું; સન ૧૯૨૦ માં તેમણે અંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષયો લઈને બી. એ; ની પરીક્ષા પાસ કરી હતી. શરૂઆતમાં મુંબઈમાં નોકરી મળી હતી, પણ ત્યાંનું પાણી માફક ન આવવાથી હાલમાં તેઓ વાંકાનેર હાઈસ્કુલમાં શિક્ષક છે.
સાહિત્ય વાચનનો શોખ છેક ન્હાનપણથી હતો; જે કૉલેજ કાળમાં પણ ચાલુ હતો. વાંકાનેરમાં આવ્યા પછી જુદા જુદા જાણીતાં માસિકોમાં લખવાનું શરૂ કરેલું.
સન ૧૯૩૩ માં “માનો યા ન માનો ”ના પ્રસિદ્ધ લેખક મી. રોબર્ટ. એચ. હિપ્લેના આમંત્રણ અને આગ્રહથી તેઓ લાઠીવાળા દેસુર અરજણ ડાંગરને લઈને ચિકાગોના વિશ્વમેળામાં ગયા હતા. એમના એ પ્રયાસની નોંધ શારદા, કૌમુદીમાં પ્રકટ થઈ છે.
બાળસાહિત્યના તેઓ ખાસ રસિયા છે અને તે વિભાગની વાર્ષિક સમાલોચના પુસ્તકાલયમાં પ્રતિવર્ષ નિયમિત રીતે કરતા રહ્યા છે, તે એમની પ્રવૃત્તિનું એક વિશેષાંગ છે
એક લેખક તરીકે તેમણે ખરી પ્રતિષ્ઠા મેળવેલી છે. આંકડાશાસ્ત્ર એ એમનો પ્રિય વિષય છે અને હાલમાં તેમણે ‘સર્વસંગ્રહ’ નામનું એક રેફરન્સ માટે ઉપયોગી થાય એવું પુસ્તક તૈયાર કર્યું છે; તે એમનું વિશાળ વાચન બતાવી આપે છે.
–: એમની કૃતિઓ :-
—:એમની કૃતિઓ:—
| (૧) | હરિન્દ્રનાં નાટકો (અનુવાદ) | ૧૯૩૩ |
| (૨) | ભારતભક્ત ગોખલેનાં સંસ્મરણો (અનુવાદ) | ૧૯૩૬ |
| (૩) | બૂકર ટી. વૉશિંગ્ટનનું આત્મચરિત્ર (પૂર્વાર્ધ - સુધારેલી બીજી આવૃત્તિ) | ૧૯૩૬ |