ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જગજીવનદાસ દયાળજી મોદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જગજીવનદાસ દયાળજી મોદી

શ્રી. જગજીવનદાસ દયાળજી મોદીનો જન્મ સંવત ૧૯૨૮ના માગશર સુદ ૫ (તા. ૧૬ ડિસેમ્બર ૧૮૭૧)ને દિવસે ડભોઈ તાલુકામાં આવેલા ફોફળીયા ગામે થયો હતો. એમનાં માતાનું નામ ડાહીબહેન, તેઓ જ્ઞાતે દશાબાજ વણિક છે. મીયાગામના ઠાકોરનું એમના વડીલોએ મોદીખાનું કરેલું એટલે મોદી અટકથી એ ઓળખાય છે. એમનું પ્રથમ લગ્ન ૨૧ વર્ષની વયે સૌ. મણિગૌરી સાથે થએલું, પરંતુ તે બાઈનું અવસાન થવાથી ૩૫ વર્ષની ઉમ્મરે એમનું બીજું લગ્ન સૌ. કમળાગૌરી નામની સુશિક્ષિત અને સંસ્કારી બાઈ સાથે થયું. દસ વર્ષના ટૂંકા સમયમાં આ બાઈનું પણ અવસાન થયું, અને ત્યારથી શ્રી. મોદી વિધુરાવસ્થા ભોગવે છે. એમને સંતિતમાં સૌ. કગળાગૌરીથી થએલા માત્ર એક પુત્ર નામે જગમોહનદાસ છે. આ ભાઈ સંસ્કારી અને સાહિત્યપ્રિય છે, ને હાલમાં વડોદરામાં એકાઉન્ટ ખાતામાં નોકરી કરે છે. એમણે બી.એ.ની પરીક્ષા પસાર કરેલી છે. શ્રી. મોદીએ પ્રાથમિક શિક્ષણ મીયાગામમાં લીધેલું, અને ત્યારબાદ આગળનું શિક્ષણ વડોદરામાં લીધેલું. ગુજરાતી અભ્યાસ પૂરો કરી વડોદરા ટ્રેનિગ કૉલેજમાં શિક્ષણ લઈ સીનિયર શિક્ષકની પરીક્ષા એમણે પસાર કર્યા બાદ એ વડોદરા રાજ્યમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં ૪૫ વર્ષ સુધી હેડ માસ્તર અને ડેપ્યુટી તરીકે કામ કરી વડોદરા ટ્રેનિંગ કૉલેજના અધ્યાપકપદેથી એ નિવૃત્ત થયા છે. અંગ્રેજીમાં મેટ્રિક સુધી ખાનગી રીતે એમણે અભ્યાસ કર્યો છે. હિંદી, મરાઠી અને બંગાળી ભાષાના પણ એ જ્ઞાતા છે. બાલપણથી જ એમને કવિતાઓ વાંચવાનો શોખ લાગેલો. ખાસ કરીને શામળ અને દલપત શૈલીની કવિતાઓ એમને ખૂબ ગમતી. વાંચવાના શોખ ઉપરથી ક્રમેક્રમે લખવાનો શોખ પણ વિકાસ પામ્યો, અને પંદર સોળ વર્ષની ઉમ્મર થતામાં તો નાની નાની કવિતાઓ જોડવામાં એમણે શક્તિ અજમાવવા માંડી. એ પ્રારંભની કવિતાઓમાં ગરબા, ગરબીઓ, પ્રાર્થના ને વર્ણનો હતાં. નજરે પડતા સામાન્ય વિષયો ઉપર હાથ અજમાવતી વખતે અભ્યાસને માટે કેટલીક કવિતાઓ લખવાની શરુઆત પણ એમણે કરેલી. સને ૧૮૯૫માં એવી કવિતાઓ ‘સામાજિક હિતબોધ' નામથી પુસ્તકરૂપે પ્રગટ થઈ છે. સને ૧૮૯૬માં ‘સ્તવન મંદાર' નામથી નાટકના રાગોમાં ગવાય એવાં રણછોડજીનાં પદોનો એમણે બીજો સંગ્રહ પ્રગટ કર્યો. ત્યારબાદ 'એક ઉત્તમ વિધવાની ઉક્તિ' અને 'ભણાવો ભાવેથી ભરતભૂમિમાં આર્ય તનયા’ જેવા ઈનામી કાવ્યો એમની કલમમાંથી ઊતર્યા. આ સમયથી ગુજરાતનાં પ્રસિદ્ધ માસિકોમાં એમનાં કાવ્યો પ્રકટ થવા માંડ્યાં અને એ સાહિત્યસૃષ્ટિમાં વધુ પ્રકાશમાં આવ્યાં. સાહિત્યના ક્ષેત્રમાં સ્વ. મણિશંકર ભટ્ટ (કાન્ત) અને સાક્ષર શ્રી. છગનલાલ ઠાકોરદાસ મોદી તરફથી એમને પ્રેરણા મળેલી. એ પ્રેરણા અને સાહિત્ય પ્રત્યે પોતાની કુદરતી અભિરુચિને લઈને પ્રાચીન સાહિત્યનો એમનો અભ્યાસ સરસ થયો. પરિણામે મહાકવિ પ્રેમાનંદ અને ભક્તકવિ દયારામ એમના વ્હાલા કવિઓ બન્યા. કવીશ્વર દલપતરામ માટેનો ભાવ પણ એમનામાં જણાઈ આવે છે. 'દયારામ’ અને વડોદરાના કવિ ‘ગિરધર’ના સંબંધમાં એમણે લખેલાં ચરિત્રો ગુજરાતી સાહિત્યના ચરિત્રવિભાગમાં માન સાથે બેસે તેવાં છે. એમણે અત્યારસુધીની જિંદગી સાહિત્યના એક અભ્યાસી તરીકે ગાળી છે અને હજુય અભ્યાસમાં મગ્ન રહેવામાં એમને આનંદ આવે છે. પ્રગટ થયેલ સાહિત્ય કરતાં એમનું અપ્રગટ સાહિત્ય હજુ મોટા પ્રમાણમાં છે. વયોવૃદ્ધ થયા છતાં હજુય એ ગુજરાતનાં ઘણાંખરાં માસિકો અને વર્તમાનપત્રોમાં લેખો તથા કવિતાઓ લખે છે. એમની સ્વતંત્ર કૃતિઓ નીચે મુજબ છે : દયારામ (કવિચરિત્ર), ગિરધર (કવિચરિત્ર), વડોદરાનો વૈભવ (વર્ણન), મોટી ઉંમરની હિંદુ સ્ત્રીઓની કેળવણી (નિબંધ), લાલના માંડવાનો ઇતિહાસ, સ્તવન મંદાર (કાવ્યસંગ્રહ) સામાજિક હિતબોધ (કાવ્યસંગ્રહ), સતી સીતા (લઘુકથા), મેઘોપાલંભ (ખંડકાવ્ય), રમણ રસિકા (ખંડકાવ્ય), કન્યા સંગીતમાળાની કવિતાઓ, ગુજરાતના ઇતિહાસની વાતો (છગનલાલ ઠા. મોદી સાથે), મણિભાઈ વિરહ (કાવ્ય), જ્ઞાતિની ઉન્નતિ સંબંધી વિચારો (નિબંધ), સયાજી વાચનમાળા પુસ્તક ૧-૨-૩ (પ્રીન્સીપાલ નાનાલાલ ના. શાહ સાથે). એમનાં ભાષાંતરો નીચે મુજબ છે : સુભદ્રા (નવલકથા) (બંગાળી ઉપરથી), સિદ્ધ કરામાત અથવા સાચી વિભૂતિ (હિંદી ઉપરથી), સુલમ આરોગ્યશાસ્ત્ર (મરાઠી ઉપરથી), કરુણ વિલાસ (સંસ્કૃત ઉપરથી), વૈતાલ પંચવીસી (જૂની ગૂજરાતી ઉપરથી સંશોધન તથા ભાષાંતર), વૈતાલ પુરાણ (સંસ્કૃત ઉપરથી). એમનાં સંશોધન કરેલાં પુસ્તકો નીચે મુજબ છે : નંદબત્રીસી સટીક (શામળ કૃત), સુદામાચરિત્ર સટીક (પ્રેમાનંદ કૃત), પ્રહૂલાદ આખ્યાન (ગિરધર કૃત), દયારામ કાવ્યમણિમાલા (ભાગ ૩), દયારામ કાવ્યસુધા, નવલગ્રંથાવલી ભાગ ૧-૨ (હિરાલાલ વ્ર.શ્રોફ સાથે), રામાયણ (ગિરધર કૃત), પદ્યરત્નાવલી (સંપાદિત કાવ્યસંગ્રહ), ખાદ્યખોરાકીના શબ્દોની કહેવતોનો સંગ્રહ. આ ઉપરાંત વડોદરાનો વાર્તારૂપ ઇતિહાસ, સંસ્કૃત ઉપરથી લખેલું મિથ્યાજ્ઞાનખંડન નાટક, યાત્રાવર્ણન, કેટલીક કવિતાઓ, નિબંધો ઇત્યાદિ અપ્રકટ સાહિત્ય પણ છે.

***