ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૩

[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]

રાગ : વસંત

સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન,
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન.           -સૂકાં૦ ૧

નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
ગુલ્મ[1] લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.          -સૂકાં૦ ૨

ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.          -સૂકાં૦ ૩

વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય;
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય          -સૂકાં૦ ૪

શ્રીફળ[2] ફોફળ[3] કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી[4] મલિયાગર મરચી લીમડો ને લવિંગી.          -સૂકાં૦ ૫

જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.          -સૂકાં૦ ૬

વાવ કૂપ ને પાવઠ[5] કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય[6];
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.          -સૂકાં૦ ૭

જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત[7];
શોભા સુંદર વન તણી, જાણે રત[8] ફૂલી વસંત!          -સૂકાં૦ ૮

એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે[9] પડિયો :
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.          -સૂકાં૦ ૯

નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર;
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.          -સૂકાં૦ ૧૦

ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી;
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.          -સૂકાં૦ ૧૧

માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી;
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.          -સૂકાં૦ ૧૨

ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી;
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.          -સૂકાં૦ ૧૩

ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા :
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.          -સૂકાં૦ ૧૪

માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે :
‘અપરાધ મૂકી અત્રિનંદન[10] શાપ-અનુગ્રહ[11] દીજે.’          -સૂકાં૦ ૧૫

દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’          -સૂકાં૦ ૧૬

નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ,
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ.           -સૂકાં૦૧૭

વલણ


વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે,
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.          -સૂકાં૦ ૧૮




  1. ગુલ્મ – ઝૂંડ/ઝાડી
  2. શીરફળ – શ્રીફળ
  3. ફોફળ – સોપારી
  4. બદરી – બોરડી
  5. પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં
  6. તોય – પાણી
  7. ચંત – ચિત્ત
  8. રત – ઋતુ
  9. સંધે – સંદેહ
  10. અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા
  11. અનુગ્રહ – નિવારણ