ચિત્તવિચારસંવાદ/પ્રતોનો આંતરસંબંધ
અહીં ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો કૃતિ રચાયાથી આશરે દોઢસોએક વર્ષ પછીની છે. દેખીતી રીતે જ, તેથી, પાઠપરંપરા ઘણી જુદી-ભેગી થતી ચાલી હોય અને લહિયાઓને હાથે જાણ્યે-અજાણ્યે ઘણા ફેરફારો પામતી આવી હોય. મુખપાઠની પરંપરાએ પણ એમાં પ્રભાવ પડ્યો હોય. આથી દરેક પ્રત પોતાના આગવા કોઈ ને કોઈ પાઠભેદ બતાવતી હોય. આમ છતાં કેટલાંક સામાન્ય વલણો પરથી પ્રતોનો આંતરસંબંધ ઓળખી શકાય છે અને એ આંતરસંબંધની સંકુલતા પણ પકડી શકાય છે. પાઠોનો તુલનાત્મક અભ્યાસ કરતાં આપણે આ મુજબ તારવણી કરી શકીએ છીએ : ૧. બે મુદ્રિત પ્રતો અ બ પ્રાપ્ત સર્વે હસ્તપ્રતોથી અનેક ઠેકાણે પાઠભેદ બતાવે છે. આનાં સ્થાનો કડીઓમાં જે પાઠાંતરો દર્શાવ્યાં છે તેના પર એક નજર નાખવાથી દેખાઈ આવશે એટલે એના દાખલા આપવાની જરૂર નથી. પ્રાપ્ત સર્વ હસ્તપ્રતોના પાઠની સામે અ બનો પાઠ જુદો પડે છે તેથી એ પાઠ આજે ઉપલબ્ધ નહીં થયેલી પ્રતને આધારે હોવા કરતાં સુધારેલો હોવાની શક્યતા વધારે જણાય છે. આની થોડી વીગતે વાત આપણે આરંભમાં જ કરી છે. આમ છતાં અ બ નું અન્ય પ્રતો સાથે સામ્ય હોય જ. એ ક્વચિત ક ગ ની પાઠપરંપરા સાથે સંબંધ બતાવે છે (૩૧૩, ચોથું ચરણ), ક્યારેક ક ખ ગ ઘ ની પાઠપરંપરા સાથે સંબંધ બતાવે છે (૧૫, ત્રીજું અને ચેાથું ચરણ; ૨૦, પહેલું ચરણ) પણ વધારે ચ છ જ ઝ ની પાઠપરંપરા સાથે (૩૬, ચોથું ચરણ; ૩૯, પહેલું ચરણ વગેરે) અને એથીયે વધારે ક ગ સિવાયની પાઠપરંપરા સાથે સંબંધ બતાવે છે (૧૦, બીજું અને ચોથું ચરણ; ૫૯, ચોથું ચરણ; ૨૫૯, પહેલું ચરણ; ૨૭૨, ચોથું ચરણ; ૨૭૩, બીજું ચરણ; ૩૦૫, બીજું ચરણ; ૩૨૦, બીજું ચરણ). અ બ પ્રત વચ્ચે બહુ અલ્પ અને નગણ્ય ફરક છે. અ પ્રતે બ પ્રતની વાચના જ સ્વીકારી લીધી હોય એમ લાગે છે. જે કંઈ ફરક છે તે મુદ્રણદોષ કે સરતચૂકને કારણે હોવા સંભવ છે. ૨. ક ગ ની પાઠપરંપરા સ્પષ્ટ રીતે બાકીની હસ્તપ્રતોની પરંપરાથી જુદી તરી આવે છે. આના મહત્ત્વના દાખલાઓ આ પછી પાઠપસંદગીની ચર્ચામાં આપ્યા છે તેથી અહીં નોંધવાની જરૂર નથી. આમ છતાં ક ગ ની પાઠપરંપરા ખ ઘ ની પાઠપરંપરા સાથે કેટલેક ઠેકાણે મળતી આવે છે, જેમ કે (૧) અવિનાશી તો પ્રીછ્યનું નામ ક ખ ગ ઘ (૧૫, ત્રીજું ચરણ) અવિનાશી તો તું જાણી પ્રીછ્ય ચ છ જ ઝ (૧૫, ત્રીજું ચરણ) (૨) મધ્યેં અહંતાનૂં નથી કાંઈ કામ ક ખ ગ ઘ (૧૫, ચોથું ચરણ) મધ્યેં ઈશ્વરતામાં ઇચ્છ્ય ચ છ જ ઝ (૧૫, ચોથું ચરણ). (૩) ૨૦, પહેલું અને બીજું ચરણ વિચારની ઉક્તિ તરીકે ક ખ ગ ઘ ૨૦, પહેલું અને બીજું ચરણ ચિત્તની ઉક્તિ તરીકે ચ છ જ ઝ. (૪) ‘આપોપું’ છે ક ખ ગ ઘ (૩૯, પહેલું ચરણ). ‘આપોપું’ નથી ચ છ જ ઝ (૩૯, પહેલું ચરણ). ક ગ પ્રત લગભગ એકસમાન પાઠ ધરાવતી પ્રતો છે. ત્યાં સુધી કે પાઠદોષો પણ સરખા છે. જુઓ પૂઠ્ય (૩૧૬, ત્રીજું ચરણ), ચેત (૩૪૭, ચોથું ચરણ), દંભ (૩૬૭, ત્રીજું ચરણ) એ સ્પષ્ટ રીતે ભ્રષ્ટ પાઠો. આમ છતાં કેટલેક સ્થાને ગ પ્રત કથી અને અન્ય પ્રતોથી પણ જુદી પડે છે (૫૫ ત્રીજું ચરણ, ૫૬ ત્રીજું ચરણ, ૫૬ ચોથું ચરણ). આ લેખનદોષો હોય એમ પણ બને. ૩. ક ગ ની ને એ સિવાયની હસ્તપ્રતોની એમ બે પરંપરા સ્પષ્ટ રીતે જુદી પડે છે એ આપણે આગળ નોંધ્યું છે. ક ગ સિવાયની હસ્તપ્રતો આ પછી ખ ઘ અને ચ ઝ જ ઝ એવી બે પરંપરામાં વિભક્ત થતી દેખાય છે. ખ ઘ પ્રતો ચ છ જ ઝથી જુદી પડી ક ગ સાથે પણ સંબંધ બતાવે છે એ આપણે આગળ જોયું છે. ૪. ચ છ જ ઝ ની પાઠપરંપરાને ચ છ અને જ ઝ એ બે પરંપરામાં વિભક્ત થતી લેખી શકાય. જ ઝ પ્રતો અન્ય પ્રતોથી જુદા પાઠ આપતી હોય એવાં કેટલાંક સ્થાનો જુઓ : (૧) બાલક જ ઝ. નાંહાંનો – બાકીની પ્રતો (૩૩, પહેલું ચરણ). (૨) ગત્ય જ ઝ વૃત્ય/વ્યક્ત – અન્ય પ્રતો (૩૩ ત્રીજું ચરણ) (૩) ત્યારે ચંદ્રનો મહીમા ખપ્યો જ ઝ ત્યારે સુધાકર જીવમાંહાં ખપ્યો – બાકીની પ્રતો (૫ર, ચોથું ચરણ) (૪) વિસ્તાર જ ઝ નિરધાર – અન્ય પ્રતો (૫૭, ચોથું ચરણ) ક્યારેક ચ છ પ્રત ખ ઘ સાથે અને જ ઝ પ્રત ક ગ સાથે મળતી આવતી હોય એવું પણ બને છે. જેમકે, વચ્યેં ક ગ જ ઝ મધ્યે ખ ઘ ચ છ (૩૮, ચેાથું ચરણ) ચ અને છ પ્રતો એમની વચ્ચે જે ભેદ બતાવે છે એમાં છ પ્રત જ ઝ સાથે કેટલેક ઠેકાણે મળતી આવે છે. જેમકે, (૧) પુઠલ છ જ ઝ પૂઠ્યેં – બાકીની પ્રતો (૩૨, ત્રીજું ચરણ) (૨ ) સમઝુ છ જ ઝ લહૂં – બાકીની પ્રતો (૩૬, બીજું ચરણ) (૩) તેટલું છ જ ઝ તે – બાકીની પ્રતો (૫૦, ચોથું ચરણ) આ સિવાય પણ પાઠપરંપરાઓ અનેક સ્થાને મિશ્ર થાય છે, પરંતુ આપણે મુખ્ય પ્રવાહોની જ નોંધ લઈ શકીએ. ઉપરની તારવણીને આપણે હવે પાઠપરંપરાની શાખાપ્રશાખાના નીચેના ચિત્ર રૂપે મૂકી શકીએ. અખંડ રેખાથી દર્શાવેલી છે તે પાઠપરંપરાની શાખા-પ્રશાખા છે, જ્યારે ખંડિત રેખાથી બતાવેલ છે તે આ શાખાપ્રશાખાનાં ગૌણ મિશ્રણો છે. કૌંસમાં અંગ્રેજી સંજ્ઞાઓ મૂકી છે તે પાઠપરંપરાના કલ્પિત અવાંતરક્રમો છે.