ટોળાં અવાજ ઘોઘાટ/૨૫- કાવ્યકંડુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૫- કાવ્યકંડુ

Verbal gameનું મોટામાં મોટું સુખ એ એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. એટલે એમ કંઈ આ એક વખતની પ્રિયતમ રમત, એની આદત છૂટશે નહીં. અને કશું છોડવા–તોડવા–જોડવાનો સંકલ્પ નથી. સંકલ્પની મુઠ્ઠી કેવી રીતે વળે, દૃઢ થાય;–અને ખરેખર વાળી વળી શકે, અને શું કામ વાળવી સંકલ્પની મુઠ્ઠીને? વાળવાથી શું વળે? અને ખરેખર શું વાળવું છે ? આ બધા પ્રશ્નોના ઉત્તરો અગોચર છે હજી, એટલે એવા પ્રશ્નોના ઉત્તરો માટે અથવા એ પ્રશ્નોથી છૂટવા માટે અથવા એ પ્રશ્નો સામે આંખ આડા કાન કરવા માટે અથવા કદાચ એના ઉત્તરોને તર્જની અને અંગૂઠાની પકડમાં પકડીને અનિમેષ તાકી રહેવા માટે પણ—

કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું? અને આમ વિચારીએ તો કશુંક જામે છે તે જામવાથી પણ શું? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય—

અને છતાં કાવ્યકંડુ કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે અને એને કોઈ પારિતોષિક આપે તો આવો ભેદ-ભાવ શા માટે ? હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ? એનો કેમ પુરસ્કાર નહીં ? કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ? ક્રાન્તદ્રિષ્ટ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની. અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે. સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે. (‘નવનીત-સમર્પણ’ના તંત્રીશ્રી ઘનશ્યામભાઈને પત્ર લખતા લખતા જે કંઈ રચાયું તે )