નયન હ. દેસાઈની કાવ્યસંપદા/નયન હ. દેસાઈ : નખશિખ પ્રયોગશીલ કવિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નયન હ. દેસાઈ : નખશિખ પ્રયોગશીલ કવિ

ગઝલ અને ગીત આ બંને કાવ્યસ્વરૂપમાં પ્રયોગશીલ પ્રદાન કરનારકવિ નયન હ. દેસાઈનો જન્મ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોદરા ગામે થયો હતો. મૂળ વતન સુરત જિલ્લાનું વાલાડ ગામ. તેમણે એસ. એસ. સી. સુધીનો અભ્યાસ કર્યો હતો ત્યાર બાદ સુરતમાં ચૌદેક વર્ષ હીરા ઘસવાની નોકરી કરી હતી. ૧૯૮૦ થી ૨૦૦૬-૨૬ વર્ષ સુધી ‘ગજરાત મિત્ર’ દૈનિકમાં સહતંત્રી તરીકે તેમણે કામ કયું હતું. ‘ગજરાત મિત્ર’ સાથે સંકળાવાને લીધે ભગવતીકુમાર શર્મા અને રતિલાલ ‘અનિલ’ના ગાઢ સંપર્કમાં આવવાનું બન્યું અને નયન દેસાઈની કાવ્યલેખન પ્રવૃત્તિને વેગ મળ્યો. રતિલાલ ‘અનિલ’ પાસેથી ગઝલનંુ શાસ્ત્ર શીખવા મળ્યું અને જે શીખ્યા એનો લાભ સુરતની એમના પછીની પેઢીના ગઝલકારોને પણ મળ્યો. ગઝલ ઉપરાંત ગીત અને વાર્તા સ્વરૂપમાં પણ તેમણે પ્રદાન કર્યું છે. ગુજરાતી ઉપરાંત ઉર્દૂ ભાષામાં પણ ગઝલો લખી છે. ‘માણસ ઊર્ફે રેતી ઊર્ફે દરિયો’ (૧૯૭૯), ‘મુકામ પોસ્ટ માણસ’ (૧૯૮૨), ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’ (૧૯૮૮), ‘ધૂપ કા સાયા’ (ઉર્દૂ ગઝલ સંગ્રહ, ૧૯૯૬), ‘અનુષ્ઠાન’ (૧૯૯૯), ‘સમંદરબાજ માણસ’ (૨૦૦૧), ‘નયનનાં મોતી’ (સમગ્ર કવિતા, ૨૦૦૫), ‘દરિયાનો આકાર માછલી’ (૨૦૦૭) કવિ નયન હ. દેસાઈ પાસેથી પ્રાપ્ત થયેલાં કાવ્યસંગ્રહો છે. ‘મુકામ પોસ્ટ માણસ’ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ‘સમંદરબાજ માણસ’ સંગ્રહને મેઘાણી એવોર્ડ અને ‘ધૂપ કા સાયા’ સંગ્રહને ઉર્દૂ સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. પોતાના પ્રથમ કાવ્યસંગ્રહથી જ પ્રયોગશીલ કવિની ઓળખ ઊભી કરનાર કવિ ‘દરિયાનો આકાર માછલી’માં કહે છે, ‘ગઝલમાં પ્રયોગો થતાં અટકી ગયાં નથી. હજી થશે, આ તો હજી શરૂઆત છે.’ (પા. ૦૪) પ્રથમ સંગ્રહમાં ‘એબ્સર્ડ નાટ્ય ગઝલ’ના પ્રયોગથી લઈને ‘દરિયાનો આકાર માછલી’ - એબ્સર્ડ ગઝલોના પ્રયોગ સુધીની આ સફર ગઝલ અને ગીતનાં આંતર - બાહ્ય સત્તત સાથેની મથામણની રહી છે. આ મથામણ ગઝલ સ્વરૂપમાં તો મહોરી ઊઠી છે. ભગવતીકુમાર શર્મા નયન દેસાઈની ગઝલયાત્રાને આ રીતે મુલવે છે. - ‘ગઝલ સર્જન પરત્વે ભાવ, ભાષા, અભિવ્યક્તિ, આકૃતિ, અસ્તિત્વ ઇત્યાદિના કેવા અને કેટલા પ્રયોગો થઈ શકે તેનાં અઢળક ઉદાહરણો તેઓ પ્રસ્તુત કરતા રહ્યા છે.’ (દ. આ. મા., પા. ૦૫) વિષયનાવીન્ય એ નયન દેસાઈની ગઝલોની ઊડીને આંખે વળગે એવી લાક્ષણિકતા છે. ‘ગઝલ નાર્કોલેપ્સી’, ‘સમ્ભોગ સિમ્ફની ગઝલ’,‘મેટામોર્ફોસિસ ગઝલ’, ‘એક ભૌમિતિક ગઝલ’, ‘એક સિનેમેટિક ગઝલ’, ‘સાબુ વિશે એક પવિત્ર ગઝ’, ‘ટેબલ વિશે ગઝલ’, ‘એક અખબારી ગઝલ’, ‘માછણ વિશે’, ‘દરિયાનો આકાર માછલી’ સંગ્રહની ચોત્રીસમી ગઝલ - આ રચનાઓ કેવળ વિષયને કારણે જ નોંધપાત્ર છે, એવું નથી પણ ગઝલનો મિજાજેય એમાંથી નિષ્પન્ન થાય છે. જેમ કે -

‘ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.’
(‘એક ભૌમિતિક ગઝલ’)

‘હોજમાં લીસ્સી ચળકતી ચામડી ને શોર્ટ સીન,
સીન ઉપર ભૂખ્યા સમયના તીક્ષ્ણ કુંડાળાં ફરે’
(‘એક સિનેમેટિક ગઝલ’)

‘આજ હતું ટેબલ કે જેણે ફૂલ ગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્ચા,
આજ હવે ખાનામાં ‘જનકલ્યાણ’ મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !’
(‘ટેબલ વિશે ગઝલ’)

‘આ નહીં તો તે નહીં તો પેલું - આ તર્કશૈલી નયન દેસાઈની કવિતાનો મોટો ગુણ રહ્યો છે. પ્રથમ કાવ્યસંગ્રહના શીર્ષક અને કવિની ઓળખ સમાન ગઝલ ‘માણસ ઉર્ફે.....’માં અને એ ઉપરાંત કેટલીયે રેચનાઓમાં આ તર્કશૈલી જોવા મળે છે. આ તર્કને કારણે ગઝલની બહેર દીર્ઘ બને છે અને ગીતનો લય પણ પ્રલંબ બને છે. ગઝલમાં ‘ગાગાગાગા’-ના છથી વધુ આવર્તનો એક જ મિસરામાં જોવા મળે અને ત્યાં સુધી કવિનો તર્ક લંબાતો જાય અને કાફિયા પર એ તર્કની ચરમસીમા જોવા મળે. જેમકે-

‘છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે....’
(‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે...’)

‘ઠંડા પડતાં લોહી વચ્ચે નીકળે તીણા ચીસના પડઘા પડઘો એટલે કોઈ યાદ આવે;
કોઈ બારીમાં ભણકારાનું ટોળું હોવું એટલે સમજ્યા! સમજો એટલે કોઈ યાદ આવે.’
(‘કોઈ યાદ આવે એની ગઝલ’)

‘છે વન્સમોર’, ‘ગૉડ જિસસ’, ‘આયે ન બાલમ’, ‘દો મુકામ પોસ્ટ માણસ, ‘તોતિંગ’, ‘લ્યો, ટેબલને તાળું મારો’, ‘નયન દેસાઈ એસ. એસ. સી’, ‘પોલિસમાં ફરિયાદ કરો કોઈ’, ‘મુંબઈ ઈલાકાનો એક માણસ’, ‘ભચાક ભાભા’, ‘સુજ્ઞ વાચક’, ‘એક ચોરસ, ‘પથ્થર શરીર વગર’, ‘સમાધિનું વિશ્વ છે’, ‘સૂરજ સૂરજ સૂરજ’, ‘હેઈસો’, ‘હવે હવે?’ , ‘છે આ અંધારું ક્યાં જશે ?’, ‘રાફડા’, ‘ક્યાં ગયા ચહેરા કપાયેલાં - વગેરે અરુઢ કે જુદી પડતી રદીફો કવિના કેવળ પ્રયોગશીલ મિજાજની જ નહીં પણ ગઝલનાં મિજાજની પ્રતીતિ પણ કરાવે છે. જેમ કે -

‘દોડો રે દોડો આ ભીંત પર છબીમાંથી વરસે છે પડછાયા‘ દેમાર તોતિંગ,
ફોટામાં હસતાં આ મજકૂર ઈસમને પણ વળગ્યો છે વરસોનો ભેંકાર તોતિંગ.’
(“ભીંત, છબી વગેરે વિશે ગઝલ’)

‘મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણમાં કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ. એસ. સી.?’
નયન દેસાઈ એસ. એસ. સી.)

‘પાણીથી સાંધે છે તૂટેલી નદીઓને ખોબામાં ધગધગતી રેતી છે,
પોતાના કિનારે ખુદને જણાવે છે મુંબઈ ઈલાકાનો એક માણસ’

જો કે, આ પ્રયોગશીલ મિજાજ ‘અનુષ્ઠાન’ સંગ્રહમાં જોવા નથી મળતો. ‘ગાલગા ગાલગા લગાગાગા’ (ખફીફ છંદ) બંધારણમાં ‘મનવા’ રદીફ રાખીને લખાયેલી એકતાળીસ ગઝલોનો એમાં સમાવેશ છે.

‘શબ્દ સર્જ્યો પછીની ઘટના છે,
તીર જેવું જ કે છૂટ્યું મનવા.’

- જેવા એક- બે શે’ર આખા સંગ્રહમાથી પ્રાપ્ત થાય છે. બાકી તો -

‘નીંદ રાતોની ખોઈને મનવા,
દિલ દીધું મેંય કોઈને મનવા.’

-જેવી સપાટ બયાનવાળી ગઝલોની સંખ્યા અહીં વધારે છે અને એ માટે ‘મનવા’ રદીફ પણ કારણભૂત લાગે છે. કોઈ એક વિષય ઉપર ગઝલો લખતી વખતે જોખમ એ વાતનું રહે છે, કે એ ગઝલ નિબંધરૂપ ન બની જાય. નયન દેસાઈની કેટલીક ગઝલો આ જોખમમાંથી ઊગારી શકી નથી. ‘ગીતા કાવ્યો’, ‘બારીમાં’, ‘સૂરત-ગઝલ સ્કેચઃ’, ‘તાપીઃ નાવડી ઓવારે’, ‘સૂરત! ગઝલ સ્કેચ! કિલ્લો’, - વગેરે ગઝલો નિબંધની પ્રતીતિ કરાવે છે. જો કે, ‘પિયર ગયેલી ભરવાડણની ગઝલ’ અને ‘માછણ વિશે’ ગઝલો આ જોખમમાંથી ઊગરી ગઈ છે-

‘ઢોલિયે ઢાળું હું મારો દેહ ને;
બાથમાં લૈ લેતી નીંદર સાંભરે’
(‘પિયર ગયેલી ભરવાડણની ગઝલ’)

‘દરિયાનો આકાર માછલી’માં નયન દેસાઈ વળી જુદા મિજાજ સાથે પ્રગટ થાય છે. આ સંગ્રહની ગઝલોને એમણે ‘ઍબ્સ્ટ્રેક્ટ’ કહી છે. આ સંગ્રહની અન્ય વિશેષતા એ પણ છે, કે ગઝલને અનુરૂપ ચિત્રકાર મહેશ દાવડાના ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો પણ મૂક્યાં છે. ગઝલ અને ચિત્રનું આ સાયુજ્ય એક જુદું જ પરિમાણ ઊભું કરે છે. -

‘માણસની જેન પર્વતો વળગી શકે ગળે,
એ જોઈ જોઈ ધુમ્મસો દૂર દૂરના ઓગળે.’
(પૃ. ૭૦)

- વગેરે શે’ર એની સાથે મુકાયેલું ચિત્ર દ્વારા વધુ ઊઘડે છે. ગીતોમાંય નયન દેસાઈનું વિષયનાવીન્ય ધ્યાન ખેંચે છે. ‘સ્વ. રાવજીએ ન લખેલું ગીત’, ‘નદી (ક્યુબિઝમ રચના)’, ‘ભારે પગી ના’ ‘વા બેઠી તેનું ગીત’, ‘પેથાભૈએ દીકરી પરણાવી તેનું ગીત’, ‘હોટલ બૉયનું ગીત’, ‘પરબીડિયું’, ‘કેસર કેરીનું ગીત’, ‘બિલ્ડરોનું ગીત’, ‘ખિસકોલી : એક કાર્ટુન ગીત’, ‘ત્રણ છોકરા નહાવાં પડ્યાં તેનું ગીત’, ‘બચુ ગોરનું ગીત’, ‘સૂરતમાં વરસાદ’ - ગીતો વિષય, સંકુલ અભિવ્યક્તિ અને પ્રાસની ચુસ્તીને કારણે નોંધપાત્ર બને છે -

‘એક પાછી રકાબી ફૂટી -
શેઠીઆના રોજ રોજ કંકાસે ત્રાસીને પાંચસાત નોકરી છૂટી;’
(હૉટલ બૉયનું ગીત) - ટૂંકા લયથી માંડીને

‘આ ગમ તાપી ઓ ગમ આંસુ વચમાં તારી દખણા છે,
ઓ! જજમાન રાજા
મંતર બોલું છું પણ મનમાં ઉમ્મરલાયક દીકરીની કૈં રટણા છે,
ઓ! જજમાન રાજા’
(‘બચુ ગોરનું ગીત’)

- જેવા પ્રલંબ લયમાં પણ નયન દેસાઈ ગીત સિદ્ધ કરે છે. દ્વિરુક્ત શબ્દ પ્રયોગો કે રવાનુકારી શબ્દોના વિનિયોગથી કવિ ગઝલ અને ગીત, આ બંને સ્વરૂપમાં એક જુદી ભાષાશૈલી નિપજાવે છે. એટલું જ નહીં પણ જે તે સ્વરૂપનેય સિદ્ધ કરે છે. ગઝલમાં કાફિયા કે રદીફ તરીકે અને ગીતમાં પ્રાસ તરીકે કવિના આવા ભાષાકર્મની નોંધ લેવી પડે એમ છે.

‘બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો’

(આ ગઝલમાં ‘છમ્મ’, ‘તમ્મ’, ‘ચમ્મ’, ‘ભમ્મ’, ‘હમ્મ’, ‘ધમ્મ’ કાફિયા છે.)

‘પતરે ટપાક્કટપ્પ છાંટા પડે ને નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતો એવો વરસાદ
બારીમાં કૂદે ભફાંગ કી વાછટ ને વીજળી વેરાય મૂઠે મૂઠે...
સુરતનો એવો વરસાદ...’
(‘સૂરતનો વરસાદ’)

જો કે, દ્વિરુક્ત શબ્દોનું કવિને વળગણ હોય એ રીતે એમણે મોટા ભાગની રચનાઓમાં પ્રયોજ્યા છે. એમાંય, ‘Phontic ગઝલ’ માત્ર પ્રયોગ બની રહે છે. ગઝલ હોય કે ગીત કવિ સંકુલ વિષય પસંદ કરે છે અને સંકુલ રીતે અભિવ્યક્તિ પણ કરે છે. પણ સંકુલ અભિવ્યક્તિ ક્યારેક ક્લિષ્ટ બની જાય છે.

‘પ્રાકથી હમણાં સુધી તમણા સુધી ભ્રમણા સુધી,
પક્ષ્મ વિણ વાયસનું ઊડવું ગર્ભવંતી ખાકથી.’
(‘ગઝલઃ પરકમ્મા’)

- આવી અભિવ્યક્તિમાં ગઝલનો મિજાજ જળવાતો નથી. રતિક્રીડાની અભુભૂતિ વ્યક્ત કરતી વખતે કે સ્ત્રીનાં અંગોનું વર્ણન કરતી વખતે શંૃગારની ગરિમા પણ ક્યાંક જળવાતી નથી-

‘લે, સાંજ તારી બ્રેસિયરની હુકમાં ઢળી,
ગોરાં સ્તનોની પાંખનો છે ફડફડાટ અથવા-’
(‘ગઝલ : કૉલાજ’)

‘એક હાથમાં છરી તેજ ને માંસલ નિતંબ ઊછળે,
ત્યાં જ સગર્ભા શેરી જાગે તસતસતી મદમાતી રે!’
(માછણ વિશે)

જો કે, ‘સમ્ભોગસિમ્ફની ગઝલ’ રવાનુકારી શબ્દપ્રયોગો અને પ્રતીકને કારણે ગરિમાપૂર્ણ રચના બની રહે છે -

‘અવાક્ સળિયા, કામુક બિલ્લી, શોધું છું તુજ સ્તનની સુંવાળપ,
પછાડ ખાતા લોહચુંબકના ટાપુ ઉપર સ્પર્શ છલોછલ’

ટૂંકમાં, ગઝલ અને ગીત આ બંને સ્વરૂપોમાં નયન દેસાઈનું પ્રયોગશીલ અને નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. ચિનુ મોદી, મનોજ ખંડેરિયા અને રાજેન્દ્ર શુક્લ પછીની પેઢીના નયન દેસાઈ એક મહત્તવના ગઝલકાર છે, એ સ્વીકારવું પડે!