પરકીયા/ઘાસતણા વક્ષથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘાસતણા વક્ષથી

સુરેશ જોષી

ઘાસતણા વક્ષથી હું ક્યારે પામ્યો મારું આ શરીર –
હરિત આ ઘાસ થકી; તેથી તાપ સારો લાગે – તેથી નીલાકાશ
મૃદુ ભીનું ને કરુણ મને લાગે; – પથેપથે તેથી તો આ ઘાસ
જળ સમું સ્નિગ્ધ લાગે; –મધમાખીઓનો જાણે માળો
આ જ ઘાસે;– જેમ જેમ જઉં દૂર, વળી દૂર પૃથિવીના
નરમ ચરણ તલે કેટલીય કુમારીના વક્ષના નિ:શ્વાસ
કથા કહે – એમના એ શાન્ત હાથ ક્રીડા કરે – એમની ગૂંથેલી લટ
છૂટી જાય – ધૂસર સાડીની વાસે આવે એઓ – અનેક નિબિડ
પુરાણી પ્રાણની કથા કહ્યે જાય – હૃદયની વેદનાની કથા –
સાન્ત્વનની નિર્ભૃત નરમ કથા – મેદાનના ચન્દ્રની કરે વાત –
આકાશના નક્ષત્રની કરે વાત; શિશિરની શીત સરળતા.
એમને તો ખૂબ ગમે – ધુમ્મસે ય સારું લાગે આંખોની ઉપર,
ગરમ વૃષ્ટિનું ટીપું સારું લાગે; શીત રાતે – ઘુવડની નમ્રતા;
બહુ ગમે આખી રાત પીપળા ને આંબાતણાં પાંદડાં જે ખર્યાં કરે.