પરકીયા/‘સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સ્વપ્નો નુ, માયા નુ, મતિભ્રમો નુ’

સુરેશ જોષી

દરરોજ રાતે હંસપદિકાનું ગીત સુણું
વિરહિણી હંસપદિકા –
બહુવલ્લભ દુષ્યન્તની શુદ્ધાન્તવિહારિણી.
સ્વપ્ને હું ચાલી જાઉં કાલિદાસના યુગે
જ્યારે નદીકાન્તારનગરીએ સમાચ્છન્ન સમૃદ્ધ ભારતવર્ષ
કવિનું કાવ્ય જ્યારે મેઘલોકથી તે માટીની પૃથ્વીને
પ્રિયાના પદનખ સાથે સરખાવવાને અધીર–
સ્વપ્ને હું એ કાળમાં પહોંચી જાઉં
ને ગીત સુણું હંસપદિકાનું –
રાજઉપવને વિરહિણી નારીનું મૃદુ ગુંજન
મને થાય આ તે સ્વપ્ન કે માયા કે મતિભ્રમ?

દરરોજ રાતે હું મારી પ્રિયતમાનું ગીત સુણું
પ્રોષિતભર્તૃકા પ્રિયતમા –
ઘરની બારી પાસે મીટ માંડીને બેઠેલી કલ્યાણી વધૂ –
સ્વપ્ને હું ઊતરી આવું આધુનિક કાળે
જ્યાં પીડાજર્જર ત્રસ્ત જીવને અવસર દુર્લભ,
કવિના કાવ્યમાં હવે રહી નથી પ્રિયા,
પ્રિયાનો પદનખ હવે સમ્માનિત થતો નથી કાવ્યમાં
વૈવિધ્યપૂર્ણ સુન્દર ઉપમાએ અને અલંકારે; –
ત્યારે હું ગીત સુણું –
ભીત દાસ જીવનનું ગાન –
પથ્થરોમાં અને તપેલી રણની રેતીમાં
દુ:ખિની પ્રિયતમાના મુખની રેખા આંકું,
મને થાય: આ તે વિરહ કે મિલન કે મૃત્યુ!