પુનરપિ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

પુનરપિ(1961) : કોડિયાં-1957ના પ્રકાશન પછીની કાવ્યરચનાઓનો એક નાનકડો સંગ્રહ કવિએ કરી રાખેલો. એ સંગ્રહ કવિના અવસાન(1960) પછી, ઉમાશંકર જોશીની પ્રસ્તાવના સાથે, ‘પુનરપિ’ નામે (એ નામ પણ કવિએ જ નક્કી કરેલું) 1961માં પ્રકાશિત થયો. સંગ્રહમાં કોઈ નિવેદન નથી પણ છેલ્લે એમણે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ શીર્ષકથી પોતાની કવિતા વિશે ને કવિતાની કળા વિશે જે લાંબો લેખ મૂક્યો છે એ ખૂબ વિચારણીય છે. 10 ખંડકોની 200 ઉપરાંત પંક્તિઓનું સંગ્રહનું પહેલું કાવ્ય ‘દર્શનો વિનોબાનાં’ બે રીતે નોંધપાત્ર છે : એમાં વિનોબા ભાવેનું એક લોકહિતેચ્છુ મહાપુરુષ તરીકેનું વ્યક્તિચિત્ર વિવિધ દૃશ્યાંશો —‘દર્શનો’—માં કાવ્યરૂપ પામ્યું છે, તથા એની સાથે કવિએ પોતે કરેલાં, વિનોબાની પ્રવૃત્તિના વિવિધ પ્રસંગોનાં ચિત્રરેખાંકનો મૂક્યાં છે એ વિશિષ્ટ છે. વિનોબાચરિત્ર પણ અહીં એ કલ્પનો ગૂંથતી લાક્ષણિક અભિવ્યક્તિથી આલેખાયું છે. એ સિવાયની કૃતિઓ પણ અરૂઢ કલ્પન-અલંકરણથી વિશિષ્ટ બનેલી છે. એમાં કવિની વક્રોક્તિઓ પણ રસપ્રદ છે, જેમ કે — ‘મંત્રી મહંતનો બારણે બેસી દર્શન વેચતો જાય’ કે ‘ઈથરમાં તરતું આવ્યું હૃદય બહાર’. સંગ્રહમાં પ્રદેશનું સ્વભાવોક્તિવાળું જીવંત ચિત્ર આપતું ‘કાઠિયાવાડ’, સ્ત્રી-પુરુષ-સંબંધની એક વિલક્ષણ માનસિક સ્થિતિને નિરૂપતું ‘લંડન ઉપર પાછળથી મૂકેલી બારી’ તથા રાજકીય કટાક્ષમાં સરી જતું પણ રસપ્રદ રહેતું લાંબું બાળકાવ્ય ‘હાથરસનો હાથી’ — નોંધપાત્ર કાવ્યો છે. કવિ હજુ પણ કોઈ નવી દિશામાં પ્રયોગશીલતા દાખવે ત્યાં જ, અકાળે એમનું અવસાન થયું. એક મોટી શક્યતા પર જાણે અચાનક પૂર્ણવિરામ મુકાઈ ગયું.

— રમણ સોની