મણિલાલ હ. પટેલનાં કાવ્યો/આ-ગમન પછી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ-ગમન પછી
(શિખરિણી-સૉનેટ)

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી–
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? -જાણી નવ શકી

તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો ...
ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું!
વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્થું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં :
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!