મનીષા જોષીની કવિતા/તાપ વિનાનો ઉજાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તાપ વિનાનો ઉજાસ

ઓરડા બધા અગાશી
અને રાત બધી બપોર.
ઓરડામાં ખરતા તારાઓ
અને અગાશીમાં છે પડદા.
રાત્રે દેખતાં ચામાચીડિયાં
ને બપોરે બોલતાં તમરાં.
નથી બદલાઈ મારી
સવાર અને સાંજ.
સવાર એવી જ –
‘પરોઢિયે પંખી જાગીને ગાતાં મીઠાં તારાં ગાન’
સાંજ પણ એવી જ –
કુદરતી દૃશ્ય જેવી.
બે પર્વત, વચ્ચે આથમતો સૂરજ,
એક મંદિર, એક નદી, એક હોડી.
તો પછી શું થયું રાતને?
કેમ ઓસરી ગયાં અંધારાં?
શું થયું બપો૨ને?
કેમ કરમાઈ ગયાં સૂરજમુખી?
તાપ વિનાના ઉજાસમાં મને સપનાં આવે છે.
રાતનાં સપનાં બપોરે
અને બપો૨નાં સપનાં રાત્રે.