મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મુને વાયરાએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મુને વાયરાએ

મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે
મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે
એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ
કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ
મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે
મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ
પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ
જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે
ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ
હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ
કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે