માટીનો મહેકતો સાદ/કૃતિ-પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય

‘માટીનો મહેકતો સાદ’

‘માટીનો મહેકતો સાદ’ હળધર બળરામની કથા છે. પુરાણોમાં જે બળરામની છબી ઉપસે છે એ એક મદ્યપ અને મસ્તરામની છે. પરંતુ બળરામ ધરતી સાથે જોડાયેલા આદમી હતા. એમનું આયુધ હળ છે, એ ખૂબ અર્થપૂર્ણ છે. એમને ખેતીમાં, પ્રકૃતિમાં, ધરતી માતાની ઉપાસનામાં રસ હતો. ખુલ્લા દિલના નિખાલસ બળરામ પૃથ્વીને શેષ રુપે ધારણ કરી રહ્યા છે, તે બહુ જાણીતા નાગરુપે જ નહીં પરંતુ પરંતુ સર્વને વહેંચી આપવામાં આવતા યજ્ઞશેષ અન્ન-પ્રસાદ રૂપે પણ ખરા. ગીતાએ જેને યજ્ઞશિષ્ટ અમૃત કહ્યું એ કર્તવ્ય કર્મ પછીનો આનંદ, એ જ શેષ, જે યજ્ઞનારાયણની શિખાને શિરે ધરી સદા પ્રજ્વલિત રાખે છે. મકરન્દભાઈ કહે છે, વિષ્ણુ એના વિના અધૂરા રહી જાય. ભૌતિક અને દૈવિક તાણાવાણાના મિલન વિના જીવનનું દર્શન અધૂરું, છિન્નભિન્ન અને અર્થહીન થઈ જાય એ વાત મકરન્દભાઈને નિબંધ દ્વારા કહેવી હતી, પરંતુ વાર્તારસીયા મિત્રો માટે નવલકથા દ્વારા કહી દીધી. મકરન્દભાઈ કહે છે, પૃથ્વી અને પારલૌકિતતા વચ્ચેના તંતુનું અહીં જે આલેખન છે એમાં લેખકની કલ્પના કરતાં એક સૂક્ષ્મ જગતની અનુભૂતિનો સહારો છે. અધ્યાત્મમાં રસ ધરાવતા વાંચકોને અહીં સરસ, સહજ વાર્તારસની સાથે જીવનપાથેય પણ મળી જાય એવી આ નવલકથા મકરન્દભાઈનું ગુજરાતી સાહિત્યને એક આગવું પ્રદાન છે.

– વિમલ દવે