માણસાઈના દીવા/૩. ઈચ્છાબા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩. ઈચ્છાબા


એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : ‘થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ!' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો પોતાનો માલ પાછો મળ્યા પછી ખજૂરના બે આના મોંએ ચડીને સૌની વચ્ચે માગતાં ન ખચકાનાર લવાણાને; અને એને ફિટકાર દેનાર મુસલમાન ખેડુ દાજીને. પહેલા બે તો પ્રભુને ઘેર ગયા છે. થોભિયાવાળા બુઢ્ઢા દાજીને, હાથમાં હુક્કા સહિત, જ્યાં મહારાજે ઉપવાસો કરેલા તે જ મંદિરે હરખભેર આવીને મહારાજના પગોમાં હાથ નાખતો ઓછો ઓછો થઈ જતો જોયો. ગામ જુએ, માણસોને ભાળે, સ્થળો દેખે, ત્યારે મહારાજને આપોઆપ નવા પ્રસંગો યાદ આવે. પ્રસંગોનું લક્ષ્ય એક જ કે આ લોકોની અંદરનાં પ્રકૃતિ–પડોમાં કયું મંગળતત્ત્વ પડ્યું છે અને કયા તત્ત્વને કારણે પોતે આ લોકોના પ્રેમમાં પડી ગયા છે. દાખલા તરીકે : “અહીં એક જીવા જેસંગ નામે પાટણવાડિયો હતો. એણે ને આ દાજીએ એક પરદેશ વસતા બ્રાહ્મણનો જૂના વખતનો આંબો પચાવી પાડેલો. બ્રાહ્મણ માગે, પણ આપે નહિ; માલિકી જ પોતાની ઠોકી બેસારેલી! પછી વાત મારી કને આવી. મેં આવીને પૂછ્યું : ‘હેં જીવા, હેં દાજી, સાચું શું છે?' થોડી વારે જીવો દાજીને કહે : ‘અલ્યા દાજી! આપણે તો સત્યાગ્રહમાં ભળેલા કહેવાઈએ : આપણાથી કંઈ જૂઠું બોલાય, હેં?" દાજી કહે કે, ‘નહિ જ તો! ત્યારે, મહારાજ, જૂઠું તો સત્યાગ્રહીથી નહિ બોલાય : એ આંબો અમારો નહિ; એ તો એવા એ બામણનો છે!' પાછો સોંપી દીધો. નહિ કોઈ પાપ–પુણ્યની લાંબી પીંજણ, નહીં પ્રાયશ્ચિત્તનાં દંભી પ્રદર્શન : અંતરમાં ઊગ્યું તે સાચું.”