વસુધા/લઢે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


લઢે

લઢે યોદ્ધા શાને? વિજયવરમાળા ન દિસતી,
ન વા સ્વર્ગપ્રાપ્તિ, સુરસદનબાલા ન ઝરુખે
પ્રતીક્ષા જોતી કે અમર વરને પ્રાપ્ત કરવા,
ન વા જીત્યે મોટી પદવી ધન કે માન મળવાં.

લઢે યોદ્ધા શાથી? નહિ જ શમશેરો ચમકતી,
ન ઘેરી ભેરીઓ રણઝણ કરી જોશ જગવે,
ન હાથી, ઘોડાઓ, રથ, પયદલો ઘોર ઘુમતાં,
ન કે શસ્ત્રોકેરો તુમુલ રવ આકાશ ભરતો.

લઢે યોદ્ધા ઘેલા, નહિ ફલ તણી લેશ પરવા,
ન કામેચ્છા પ્રેરે, નહિ મન ઉઠ્યાં પાર્થિવ સુખો, ૧૦
ન કેફી પ્રોત્સાહો, ભયજનિત ના ભીરુ કવચો,
ન કે શસ્ત્રો શોધ્યાં વિકૃત મનડે કાયર તણાં.

લઢે પ્રેર્યા મનુજકુલકેરા હૃદયથી,
પળ્યા સૌ પાપીની જનરુધિરલિપ્સા છિપવવા;
કલેજાંભૂખ્યા દાનવતણી ક્ષુધાને શમાવવા,
સ્વયં એ હોમાતા જગહૃદયની શાંતિ જપતાં.

ખમીને ખેલાવે,
મરીને જીવાડે,
દટાઈ પાયામાં જગપ્રણયનું આલય રચે,
લડંતા તે યે એ અભય જગને અર્પણ કરે; ૨૦
જગનયન આશ્ચર્ય ઉભરે,
અને ઊંડેથી એ સમર પર આશીષ ઉતરે.