શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૨૭. બ્રહ્મ – વાણીનું પરમ વ્યોમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૭. બ્રહ્મ – વાણીનું પરમ વ્યોમ


(ब्रह्मायं वाचः परम व्योम।)

અથર્વવેદના નવમા કાણ્ડના દસમા સુક્તમાં ઋષિ કેટલાક પ્રશ્નો રજૂ કરે છે, જેમાંનો એક આ છે: पृच्छामि वाचः परमं व्योम ।।૧૩।। વાણીના પરમ વ્યોમ — વ્યાપ્તિસ્થાન — વિશે હું પૂછું છું. તેના ઉત્તર રૂપે પછી આ વિધાન છે: ब्रह्मायं वाचा परमं व्योम ।।૧૪।। — બ્રહ્મ/બ્રહ્મા આ વાણીનું પરમ વ્યોમ — વ્યાપ્તિસ્થાન છે.

`બ્રહ્મ’ અથવા `બ્રહ્મા’ શબ્દના મૂળમાં બૃહત્-તાનો ભાવ રહેલો છે. બ્રહ્મતત્ત્વ એ જ બ્રહ્માંડવ્યાપી ચૈતન્ય. સર્વની અંદર રહેલું ને સર્વનીયે પારનું એ તત્ત્વ. દેશકાલાબાધિત. આ બ્રહ્મતત્ત્વમાં — બ્રાહ્મી ચેતનામાં જ વાણીનાં મૂળ અને વ્યાપ રહેલાં છે. વાક્ચેતના તે શબ્દમય બ્રાહ્મી ચેતના. તેનાં ચતુર્વિધ સ્વરૂપ પ્રસિદ્ધ છે: પરા, પશ્યંતી, મધ્યમા ને વૈખરી. વાણીની મૂળભૂત ભૂમિકા પરા વાણીની, જે તત્ત્વતઃ બ્રહ્મતત્ત્વની જ ભૂમિકા છે. એના જ અનિવાર્ય આવિષ્કારરૂપ વૈખરી. એ વૈખરી જ આપણા સાંસારિક પારસ્પરિક વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું માધ્યમ છે. ભલે આપણે વૈખરીમાં રમતા હોઈએ, પરંતુ આપણને પાકી ખબર હોવી જોઈએ કે વૈખરીનું સત્ત્વ-તત્ત્વ, એનું સામર્થ્ય-સાર્થક્ય તો એનું મૂળ પરા વાણીમાં હોવાની ઘટના પર નિર્ભર છે.

આ વાણી — શબ્દતત્ત્વ પંચમહાભૂતમાંના એક તત્ત્વ આકાશનો ગુણ મનાય છે. પરમાત્મચેતનાએ પ્રબળ સિસૃક્ષાથી પ્રેરાઈ શૂન્યમાંથી શબ્દનું સર્જન કર્યું. વેદો ચતુર્મુખ બ્રહ્માની સરજત મનાયા. એથી સ્વયં શબ્દ જ, એના શક્તિ-વ્યાપના કારણે, લોકોત્તર સર્જન — દૈવી સર્જન (कतु, कृति) ઠર્યો. વિલક્ષણ અર્થમાં શબ્દની — વેદની — અપૌરુષેયતા મનાઈ. જે ચેતનાશક્તિને શબ્દનો પ્રાદુર્ભાવ શક્ય બન્યો એ ચેતનાશક્તિની મનાઈ. જે ચેતનાશક્તિએ શબ્દનો પ્રાદુર્ભાવ શક્ય બન્યો એ ચેતનાશક્તિની વળી વળીને રસમય સાક્ષાત્કૃતિ — એ જ શબ્દનું ચરમ ને પરમ લક્ષ્ય બની રહ્યું. અમૂર્ત બ્રાહ્મી શક્તિ શબ્દ રૂપે — સાકાર થઈ આનંદલક્ષી અભિગમે જ્યારે લીલાવ્યાપારમાં પ્રત્યક્ષ અનુભૂતિનો વિષય બની ત્યારે તે આનંદધર્મી વાક્ચેતના, સારસ્વત ચેતના તરીકે નામાભિધાન પામી. આ વાક્ચેતના વ્યાપનશીલ શક્તિ છે. તે તેના સર્જક-ભાવકને કુંઠિત કરનારી નહીં પણ અંતરતમ મુક્તિ દેનારી શક્તિ છે. તે શબ્દકક્ષાએ શ્રુતિતત્ત્વ દ્વારા, તો અર્થકક્ષાએ વ્યંજનાતત્ત્વ દ્વારા વિસ્તરતી અસ્તિત્વની — જીવનતત્ત્વની અ-મૃતમયતાનો આહ્લાદક આસ્વાદ આપનારી બની રહે છે. સાચી સર્જનાત્મક વાણી આપણને આપણાં કેન્દ્ર અને પરિધ સુધી, આપણાં મૂળ અને વ્યાપ સુધી પહોંચાડવા ને વિસ્તારવા ક્રિયાન્વિત હોય છે. એ કલા-ક્રિયામાં જ ભાવસૌન્દર્યનો અનિર્વચનીય આસ્વાદ-આનંદ મળી રહે છે. વાણી જે બ્રાહ્મી ભૂમિકામાંથી પ્રભવી તે ભૂમિકામાં જ તેનું પરિણમન થાય એમાં જ એનાં સામર્થ્ય ને સાર્થક્ય રહેલાં જણાય છે. શબ્દ વ્યષ્ટિ-મનમાંથી પ્રગટી તેના સર્જક બ્રહ્માના મનમાં — વિશ્વમનમાં — વ્યોમમાં વિસ્તરે તેમાં જ તેનો સાચો પરિપાક — ઇષ્ટ સાફલ્ય છે. આપણે વાણી દ્વારા એ સાફલ્ય સુધી પહોંચવાનો આહ્લાદક પુરુષાર્થ કરતાં રહીએ.

(વાણીનું સત, વાણીની શક્તિ, પૃ. ૧૯-૨૧)