સંચયન-૧૧
॥ પ્રારંભિક ॥
એકત્ર ફાઉન્ડેશન : USA
તંત્રસંચાલન :
અતુલ રાવલ (atulraval@ekatrafoundation.org)
રાજેશ મશરૂવાળા (mashru@ekatrafoundation.org)
અનંત રાઠોડ (gazal_world@yahoo.com)
સંચયન : બીજો તબક્કો (સેકન્ડ ફેઝ): ૨૦૨૩
અંક - ૧૧ : માર્ચ ૨૦૨૬
(સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
આવરણ ચિત્ર : કનુ પટેલ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચના
શ્રી કનુ પટેલ
લજ્જા પબ્લિકેશન્સ
બીજો માળ, સુપર માર્કેટ, રાજેન્દ્ર માર્ગ,
નાનાબજાર, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૨૩૩૮૬૪
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬
![]()
એકત્ર ફાઉન્ડેશન
અધ્યક્ષ : સિતાંશુ યશશ્ચંદ્ર
મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા
![]()
![]()
(પ્રારંભઃ ઓગસ્ટ, ૨૦૧૩)
બીજો તબક્કો : ઓગસ્ટ : ૨૦૨૩
એકત્ર ફાઉન્ડેશન : USA
https://www.ekatrafoundation.org/magazine/sanchayan
આ વેબસાઈટપર અમારાં વી-પુસ્તકો તથા ‘સંચયન’નાં તમામ અંકો વાંચી શકાશે.
તંત્રસંચાલન : શ્રી રાજેશ મશરૂવાળા, શ્રી અતુલ રાવલ, શ્રી અનંત રાઠોડ
(ડિઝિટલ મિડયા પબ્લિકેશન)
સંચયન : દ્વિતીય તબક્કો (સેકન્ડ ફેઝ) (સાહિત્ય અને કલાઓનું સામયિક (ડાયજેસ્ટ)
સંપાદન : મણિલાલ હ. પટેલ • કિશોર વ્યાસ
મુદ્રણ - ટાઈપ સેટિંગ્સ - સંરચનાઃ શ્રી કનુ પટેલ
લજ્જા કોમ્યુનિકેશન્સ, બીજો માળ, સુપર માર્કેટ, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર - ૩૮૮ ૧૨૦
આ અંકનું પ્રકાશન : તા. ૩૧/૦૩/૨૦૨૬
![]()
જેને જેને ‘સંચયન’ મેળવવામાં રસ હોય એમના ઈ-મેઈલ અમને જણાવશો.
સૌ મિત્રો એને અમારી વેબસાઈટ પર પણ વાંચી શકશે.
તમારાં સૂચનો અને પ્રતિભાવો જરૂર જણાવશો.
અમારા સૌનાં ઈ-મેઈલ અને સરનામાં અહીં મૂકેલાં જ છે.
હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ
॥ અનુક્રમ ॥
સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૧ : માર્ચ, ૨૦૨૬
સમ્પાદકીય
પરિચયનું વિધિવિધાન~ કિશોર વ્યાસ
કવિતા
મારા વ્હાલા ~ દેશળજી પરમાર
હંકારી જા ~ સુન્દરમ્
અવ ~ પ્રિયકાન્ત મણિયાર
હાથી ~ પ્રિયકાન્ત મણિયાર
આંસુ ~ ઉસનસ્
સાંજનો શમિયાણો ~ વેણીભાઈ પુરોહિત
એક-મેકના મન સુધી… ~ ગની દહીંવાલા
ફાગણનો ફાગ ~ મેઘબિંદુ
અવકાશની ઝાંખી ~ હર્ષદ ત્રિવેદી
વાર્તા
જવા દઈશું તમને.... ~ કુન્દનિકા કાપડીઆ
નિબંધ
ઐસા ભી હોતા હૈ! ~ રતિલાલ બોરીસાગર
વિવેચન
આધુનિક કવિતાની છંદોરચના ~ હરિવલ્લભ ભાયાણી
સર્જન ~ હરિવલ્લભ ભાયાણી
કલાજગત
‘હમ્પી’ — ડાયરીનું એક પાનું ~ વિવેક દેસાઈ
નોંધઃ મુખપૃષ્ઠ ઉપર આવેલ છાયાચિત્ર વિવેક દેસાઈ દ્વારા હમ્પી નગરનું છે.
॥ સમ્પાદકીય ॥
પરિચયનું વિધિવિધાન
આપણા સાહિત્ય સમારંભોનું આયોજન અને એની હવા ચોમેર પ્રસરતી જાય એમ ટૂંકાગાળામાં જ એ બેઠકનું સંચાલન કરનારના સંપર્ક-સંવાદ વક્તાઓ સાથે થવા લાગે છે. બેઠકના સંચાલકની વિનમ્રપણે એક જ માગણી હોય છે કે વક્તાનો લિખિત પરિચય બને એટલી ત્વરાથી મેળવી લેવો. વક્તાઓ હોંશે હોંશે એવા તૈયાર પરિચય મોકલી પણ આપતા હોય છે અને તરતમાં નવપ્રકાશિત પુસ્તકો, ઈનામઅકરામોની યાદીઓ ઉમેરી પણ આપતા હોય છે. આવી અધિકૃત જાત-માહિતી, તથ્યલક્ષી પરિચયવાળી હોય તો ઉત્તમ પરંતુ એ માહિતી આત્મરતિ કે આત્મપ્રશંસાથી લદાયેલી હોય ત્યારે સંચાલક એને સૂક્ષ્મ નજરે ચકાસતો કે સંકલિત કરવાની તૈયારી દાખવતો જોવા મળે છે ખરો? વળી, સમારંભ ટાણે સમયની ખેંચતાણ એવી હોય છે કે વક્તાએ મોકલેલા બૃહદ પરિચયના ફરફરિયાઓમાંથી શું કહેવું અને કેટલું કહેવું એની અસમંજસમાં સંચાલક અટવાઈ પડે છે અને વક્તાએ કરેલા અત્યંત મહત્ત્વના કાર્યો વિસારે પડી જાય છે. અન્ય વિગતો પ્રાધાન્ય ભોગવતી નજરે ચઢી આવે છે જે શ્રોતા લેખે બિરાજેલા સર્જકને ક્યારેક તો દિગ્મૂઢ કરી બેસે છે. જેને વક્તાના સમગ્ર કાર્યનો જરીજેટલો અંદાજ નથી એવા બેઠક સંચાલકો ‘નામ હી કાફી હૈ’ એમ જુદાજુદા અંદાજમાં વ્યકત થયાનો અનુભવ મોટાભાગના વકતાઓને થતો હોવાનો. ક્યારેક તો વક્તા સાથે આત્મીય સંબંધ કઈ રીતે વિકસિત થતો ચાલ્યો એનું પ્રસંગકથન પરિચયને સ્થાને આવી પડતું હોય છે. વકતાઓને જે સમયમર્યાદા ચીંધવામાં આવી હોય છે એવી જ, બલ્કે એનાથી ચુસ્ત સમયમર્યાદા સંચાલકે પાળવાની હોય છે પણ એકવાર કહેવા બેઠા પછી કશું બાકી ન રહે એમ માનનાર સંચાલકના તેજ, ગતિ અને ધ્વનિથી શ્રોતા દૂર થવા કે છટકી જવા મથતો હોય છે. સાહિત્યિક કાર્યક્રમોમાં સંચાલન કરનાર સાહિત્યરસિક હોય એ સાથે વકતાઓની બહુવિધ કામગીરીથી ક્યારેક અજાણ હોય તો પણ એમના નોંધનીય કામથી અવગત થવું નિર્દોષ, મુગ્ધ સ્થિતિ વચ્ચે અનિવાર્ય છે કેમકે એ એનું મહત્ત્વનું કામ છે. એક પ્રસંગે તો સરખા નામ ધરાવતા સર્જકનો સદ્ગત સર્જકરૂપે પરિચય આપવાનો આરંભ થયેલો ત્યારે એ સર્જક કરુણમિશ્રિત અવાજે બોલી ઉઠેલા કે : ‘એ તો અહીં વ્યાખ્યાન આપવા આવી નહીં શકે પણ, એના બદલે હું હાજર છું !’ જ્યોતિન્દ્ર દવેએ રણજિતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે રજૂ કરેલું હળવું કાવ્ય વક્તાને સતત યાદ આવતું રહે કે ‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય’. સર્જક વકતાઓની લાંબી કારકિર્દી દરમ્યાન થયેલા પુસ્તકોની યાદીનું વાંચન, એમણે વિવિધ સંસ્થાઓમાં ભોગવેલા પદોની યાદી, વિધવિધ સંસ્થાઓના પુરસ્કારો કે એની જીવનલક્ષી વિગતો સંચાલક દ્વારા ક્યારેક એક વક્તવ્ય જેટલી ખેંચાતી હોય છે. એ સાવ બિનજરૂરી કે કાઢી નાખવા જેવી છે એમ નહીં પણ એ એવી સંતુલિત હોય કે વક્તાના વિષયપ્રવેશની માંડણી કરી આપે. વક્તાની સજ્જતા-સામર્થ્યને એ જિજ્ઞાસુ શ્રોતા સમક્ષ ખોલી આપનારી હોવી ઘટે. સંચાલકની કાવ્યપ્રીતિ, વક્તાઓ માટેના ભારઝલ્લા વિશેષણો અને એમના વાયવી પરિચય સમારંભની ગરિમાને, એના વાતાવરણને જે આભા પ્રાપ્ત થવી જોઈએ એનાથી ક્યાંયે દૂર ઘસડીને ફેંકી દે છે. ગોળના ગાડા સરખી અતિ પ્રશંસા અને અસ્પષ્ટ માહિતીથી સમારંભોના સંચાલકોએ સાવધ રહેવાની જરૂર છે. આજે હવે દૃશ્યમાધ્યમો અને ઉપકરણોની સવલતો વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ બની છે ત્યારે આવી પરિચય શૃંખલા ડીસ્પ્લે બોર્ડ પર ફરતી રાખી શકાય. નોટિસ બોર્ડ પર સર્જકોની તસવીર સાથે એમના સાહિત્યિક કાર્યનો વિગતે આલેખ રજૂ થતો ઘણી જગાએ જોવા મળે છે. નાનકડા સાહિત્યજૂથ હોય કે કોઈ મોટા સાહિત્ય સંમેલનો હોય, એ સઘળે કાર્યક્રમની દોરવણી કરનાર સંચાલકનું શુષ્ક, તૈયારી વિનાનું દીર્ઘસૂત્રી સંચાલન હોવાને બદલે જો એ પ્રવાહી, પારદર્શક અને સર્જકની સર્જકતા આસપાસ હશે તો કાર્યક્રમને એ પૂરક બની રહેશે.
- કિશોર વ્યાસ
॥ કવિતા ॥
![]()
જન્મ : ૧૩ જાન્યુઆરી, ૧૮૯૪
મૃત્યુ : ૧૨ ફેબ્રુઆરી, ૧૯૬૬
સાંજને સોણલે રસિયોજી જોયા,
જોતાં ચાલી જળધારઃ મારા વ્હાલા
પહેલે આંસુડે અંતર ઊઘડ્યું,
છલકી હૈયાની છોળઃ મારા વ્હાલા
બીજે આંસુડે હથેળી લઈને
ટચલી આંગળીએ લખું: મારા વ્હાલા
ત્રીજે આંસુડે જીવણ ચીતરું,
જીવણ ચીતર્યાં ન જાયઃ મારા વ્હાલા
ચોથે આંસુડે મુખડું હું માંડું,
આછેરે લોચન નીરઃ મારા વ્હાલા
પાંચમે આંસુડે આંખડી અરપું,
કીકી કાજળ કેરી ધારું: મારા વ્હાલા
છઠ્ઠે આંસુડે નાથજી નીરખું
નેને પાથરિયા પ્રાણઃ મારા વ્હાલા
છેલ્લે આંસુડે અંતર રડિયું,
તૂટી હૈયાની પાળઃ મારા વ્હાલા.
![]()
જન્મ : ૨૨ માર્ચ, ૧૯૦૮
મૃત્યુ : ૧૩ જાન્યુઆરી, ૧૯૯૧
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.
ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા
સોનેરી સોણલું બતાડી તું જા. મારી o
સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી
જનમભૂખીને જમાડી તું જા. મારી o
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા. મારી o
![]()
જન્મ : ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭
મૃત્યુ : ૨૫ જૂન, ૧૯૯૬
વ્હેલી પરોઢેથી મચ્યો અષાઢનો વરસાદ,
ને આછી ઘણી છે આવજા રસ્તા ઉપર,
હું હોટલે ચાની હુંફાળી બાષ્પને ચાહી રહું જ્યાં રોકવા
ત્યાં સ્ટૅન્ડ પર એકલ નિહાળું કોક ગાડી એકધારી
ક્યારની દદડી રહી,
ને એટલાં પલળેલ પેખું ચર્મના એ દાબડા
ઘેરા બન્યા અંધાર જેવા અવની આંખો ઉપર
કે વ્યોમથી પડતું હજુ પાણી હવે પાછું પડે,
શોષાય ના;
બ્રશ સમી કાપેલ એની કેશવાળીની મહીં તો કેટલું રહે?
ધોધ જે પાણી પડ્યું એમાં ઘણું તો વહી ગયું
એ ઠીક,
નહીં તો ક્યારનો ડૂબી ગયો એ હોત!
ને એય પણ કંઈ ઠીક જેવું થાત.
ને હજુ ઉપરાઉપરી વરસી રહ્યાં આ વાદળાં,
લિસ્સી રુવાંટીની થકી લસરી રહ્યાં,
થોડાંક પણ એવાં ભરાયાં કાંધ પરના ભારમાં, સામાનમાં,
ને એટલે ચારે તરફ વ્યાપી વળ્યા આ શીતમાં
અકડાઈ ગયેલું પુચ્છ, આખી કાય,
શું એકાદ ક્ષણ બસ અગ્નિની જ્વાળા સમું ધ્રૂજી ઊઠે;
નીચે નમેલી ડોક એવા એક ઊંડા કંપથી
ઊંચી થઈ ને શીઘ્ર પાછી એ ક્ષણે નીચી પડી,
અંગ આખાની મહીં વ્યાપી વળી લાચાર ત્યારે
અવની શુંયે વિમાસણ -
સૂર્યનો રથ જે વહે એ સપ્તમાંથી એક પોતે
ક્યાંથી અહીં આવી પડ્યો?
અચિંત ક્યાંથી
અહીં આમ હાથી?
તે વૃદ્ધ
કો પર્વતના સરીખો!
વહ્યું જતું ક્યાં વટવૃક્ષ ઝૂલતું?
રિક્ષા અને મોટરની વચે વચે
સરી જતી સાઇકલથી લપાઈ
પોચા પડ્યા ડામરપંથની પરે
સુકાયલાં કોઈક હાડકા શી
ચૂના સમી આ ઊડતી બપોરમાં
ધીરે રહીને પગલું શું પોચું
ધરે?
હવામાં દ્વય દંતુશૂલે
છિદ્રો પડે, આંખ અતીવ ઝીણી
મકાન ને માણસની છબીને
ઝીલે,
અરધી ઉઘાડી વળી બંધ એટલી
દુકાન ઢાંકે ખસ-ટટ્ટી સુક્કી,
નિરાંતથી લેમન લોક પીતાં
હોટેલમાં ને ભણતા સમે આ
નિશાળમાં તો સહુ છોકરાંઓ;
સિગારના ધૂમ્ર સમો વહી ગયો.
![]()
જન્મ : ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦
મૃત્યુ : ૬ નવેમ્બર, ૨૦૧૧
આંસુ લઘુતમ સ્વરૂપ સમુદ્ર કેરું
લાવણ્ય એવું, વડવાગિ્નિ ય કૈંક એવો;
એને રહ્યા મથી યુગોથી અસુર દેવો
પામી શક્યા ન તળિયું હજી એનું ઘેરું!
નાનું ટીપું જ, તટ જેવું કશું ન એને
તોયે ન પાર હજી કોઈ ગયેલ જાણું;
આ તો નરી જ મઝધાર બધે પ્રમાણું
ઘૂંટાયેલી ભરતીનું રૂપ માત્ર જેને
ના ટેરવું પણ શકે ડૂબી આંગળીનું,
તેમાં ગયાં સકલ વ્હાણ ડૂબી મહારાં,
તેમાં થયાં વિલીન ક્ષુબ્ધ તુફાન સારાં
ના કો નિશાન શમણાંની ડૂબી તરીનું!
એવું અબોલ ઘન મૌન મુખે ધરીને
બેઠું, યથા શબદકોશ પૂરો ગળીને!
![]()
જન્મ : ૧ ફેબ્રુઆરી, ૧૯૧૬
મૃત્યુ : ૩ જાન્યુઆરી, ૧૯૮૦
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
તગતગ તારક અંગારા પર
ભભરાવેલો
પ્રીતવિરહનો ધૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં
ધીમો ધીમો ધૂપ જલે છે!
મંદ મરુત ને ધૂમ્રસેર નિજ અંગ મરોડે...
આશાભંગ બની અટવાતી ઊંચે દોડે—
સુગંધ એની સર્યા કરે છે સોડે સોડે :
વહાલાં જેને જાય વછોડી
તે હૈયું ગુપચુપ જલે છે :
સમીસાંજના શમિયાણામાં...
તેજ–તિમિરની આછી આછી રંગબિછાતે,
મોતી વચકી જાય નયનથી વાતે વાતે—
ધબકારાના પડે હથોડા દિવસે-રાતે :
યૌવનનું ઉપવન છે સૂનું,
ને કામણના કૂપ જલે છે!
સમીસાંજના શમિયાણામાં...
ઊની ઊની આવનજાવન કરે નિસાસા,
સપનાંઓનાં કંઠ રહ્યા છે પ્યાસા પ્યાસા :
દિલને ગમતા નથી હવે તો કોઈ દિલાસા :
ઘેરી ઘેરી હસે ઉદાસી,
લીલું લીલું રૂપ જલે છે
સમીસાંજના શમિયાણામાં...
![]()
જન્મ : ૧૭ ઓગસ્ટ, ૧૯૦૮
મૃત્યુ : ૫ માર્ચ, ૧૯૮૭
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિદંગી, કહો એને પ્યારની જિદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈવરે જ કૃપા કરી;
કોઈ વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬
![]()
જન્મ : ૯ ડિસેમ્બર, ૧૯૪૧
મૃત્યુ : ૨ ઓગસ્ટ, ૨૦૨૧
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ?
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ?
ફૂલની ફોરમને પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન,
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યા ને
ઝૂમે છે આખું ઉપવન.
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ...?
મઘમઘતી મંજરીની કાયા બદલાઈ
સાંભળીને વેણુ વસંતની,
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની.
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ...?
દિવ્યભાસ્કર.. ૩/૩/૨૦૨૬
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.
ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;
જાત રહી ઓગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી!
ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરા ય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી!
૧૭-૨-૯૭
॥ વાર્તા ॥
જવા દઈશું તમને....
કુન્દનિકા કાપડીઆ
![]()
જન્મ : ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭
મૃત્યુ : ૩૦ એપ્રિલ, ૨૦૨૦
બારીમાંથી તેણે આકાશ ભણી નજર કરી. પલંગ તેણે એવી રીતે ગોઠવાવ્યો હતો કે આંગણાનો લીમડો બારીમાંથી બરાબર જોઈ શકાય. ઘણી વાર લીમડાની ડાળીઓ વાયરામાં ખૂબ જોરથી હલી ઊઠતી ને બારીને લગભગ અડવા મથતી હોય એમ લાગતું. ડાળીઓ વચ્ચેના અવકાશમાંથી ભૂરું-સફેદ આકાશ ને તેમાં ક્યારેક સરતા જતા સફેદ વાદળના ટુકડા દેખાતા. ડાળીઓ પર ક્યારેક એક સફેદ પંખી આવીને બેસતું. લાંબી પૂંછડી. દૂધરાજ હશે. સાધારણ રીતે એ ઘેરી ઘટા વચ્ચે રહે. સહેજે નજરે ન પડે. પણ અહીં એ સાવ એવી રીતે બેસતું, જાણે પોતાને જોવા આવતું હોય! ઘરમાં ઠીક ઠીક ધમાલ હતી. આજે બપોરની ફ્લાઇટમાં દીપંકર અને મારિયા આવવાનાં હતાં. દીપંકર એનો સૌથી નાનો પુત્ર. સાત વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. અમેરિકી છોકરીને જ પરણ્યો હતો. વારંવાર ‘આવવું છે-આવવું છે’ લખતો હતો, પણ આવ્યો નહોતો. હવે મા માંદી છે, મરણ-ઉન્મુખ છે. પત્નીને લઈને તે આવે છે. અમેરિકી છોકરી! કેવી હશે ને કેવી નહિ? તે મનમાં જરા હસી. ટાગોરનું ગીત હતું; મેઘાણીએ અનુવાદ કરેલો એનો - “કેવી હશે ને કેવી નહિ, મા મને કોઈ દી સાંભરે નહિ.” પોતાના વખતમાં પોતે રવીન્દ્રનાથને ખૂબ વાંચેલા. ટાગોર અને યીટ્સ અને ઇબ્સન... સરખેસરખાં મિત્રો રવિવારે દૂર ક્યાંક નદીકાંઠે કે જંગલમાં જતાં, ખાતાંપીતાં, “વૃક્ષો નીચે આડાં પડતાં, ગાતાં અને પછી મોટેથી કાવ્યવાચન થતું... ‘જેતે આમિ દિબો ના તોમાય’ અને વિલિયમ બ્લૅક - ‘ટુ સી ધ વર્લ્ડ ઈન અ ગ્રેઈન ઑફ સૅન્ડ...’ યીટ્સનું પેલું કાવ્ય તો તેને મોઢે થઈ ગયેલું - ‘આઈ વિલ અરાઈઝ ઍન્ડ ગો નાઉ... જ્યાં દિવસરાત સરોવરનાં જળ કિનારાને થપકી દીધા કરે છે, એ જોવા હું જઈશ.’ જૉહ્ન મેસફીલ્ડનું કાવ્ય - ‘મને એક રસ્તો આપો અને માથે આકાશ, ઠંડી હોય ત્યારે રસ્તાની ધાર તાપણું... ફરી પ્રભાત, ફરી પ્રવાસ...’ અનેક સૌંદર્યોમાં તે જીવી હતી. જીવન હંમેશાં જીવવા જેવું લાગ્યું હતું અને હવેની પેઢી... મોટો દીકરો ને એની વહુ માયા, વચેટ દીકરો ને એની વહુ છાયા... તેઓ શું કદી ટાગોરને વાંચતાં હશે? કાલિદાસને? શેક્સપિયરને? નિત્શે અને બર્ગસોંનું તેમણે કદાચ નામ પણ નહિ સાંભળ્યું હોય! પોતાના ખંડમાં એક કબાટમાં તેણે પોતાનાં માનીતાં પુસ્તકો રાખ્યાં હતાં. ‘ક્રિયેટિવ ઇવોલ્યૂશન’થી માંડી ‘ફોર્થ વે’, ‘એકોત્તરશતી’, ‘રવીન્દ્રવીણા’, જૉહ્ ન ડન અને બ્લૅકનાં કાવ્યોનો સંયુક્ત સંગ્રહ... ઘણાં પુસ્તકો હતાં. પણ આ વહુઓએ કોઈ દિવસ કબાટને હાથ નહોતો લગાડ્યો. પૂછ્યુંયે નહોતું કે આ શાનાં પુસ્તકો છે. તેઓ ઍલિસ્ટર મૅકલીન્સ, જેમ્સ હેડલી ચેઝ, ઇયેન ફ્લેમિંગ, ગુલશન નંદાનાં પુસ્તકો વાંચતાં. વારે વારે કહેતાં : ‘અમે તો ખૂબ “બોર” થઈ ગયાં.’ ‘બોર’ શબ્દ એમની વાતોમાંથી સતત ટપક્યા કરતો. પોતે જીવનમાં કંટાળાનો ખાસ કોઈ અનુભવ કર્યો નહોતો. તે અને તેનો પતિ પૂનમ હોય ત્યારે ઘણી વાર લોનાવલા ચાલ્યાં જતાં. ત્યાં એકાંતમાં ‘સ્વપ્ન’ નામનું, સૌંદર્યપ્રેમી પ્રવાસીઓ માટેનું એક ‘ગેસ્ટ હાઉસ’ હતું. બેઠા ઘાટનું નાનકડું મકાન. ઉપર નાનકડી એક ઓરડી, જેને ચારે તરફ ઉપરથી નીચે સુધી કાચની બારીઓ. પૂનમના ચંદ્રને ઊગતો જોવા માટે જ તેઓ જતાં. પૂર્વ દિશામાં ખડકોની એક આખી હારમાળા હતી, તેની પાછળથી ચંદ્ર જરા મોડો ઉપર આવતો. તેઓ શાંત, સ્થિર, એકાગ્ર થઈને બેસતાં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્પંદન ગ્રહણ કરતાં. રાહ જોતાં એક ચિરપરિચિત છતાં ચિર આહ્લાદક પ્રકાશદર્શનની. ધીરે ધીરે ખડક પાછળથી એક રતૂમડી આભા દેખાતી. પછી એક ચમકતી વેત કિનાર. તેના ને તેના પતિના હાથ અનાયાસ મળી જતા, આનંદની એક સમાન અનુભૂતિમાં સાથી હોવાના વિવાસમાં. પછી ઝડપથી ચંદ્ર ઉપર આવી જતો. બહુ જ ઝડપથી. તે વખતે પૃથ્વીની ગતિ વિશે કંઈક ખ્યાલ આવતો. અનુકૂળ હોય તો બેત્રણ દિવસ વધુ રોકાતાં. પૂનમના ચંદ્ર કરતાંયે વદ એકમ-બીજનો ચંદ્ર ઊગતો જોવાનું વધુ રોમાંચક હતું. એ નાનકડા પહાડી સ્થાન પર નવ વાગ્યામાં તો નીરવતા છવાઈ જતી. બધું શાંતતાના ખોળામાં પોઢી જતું. આકાશ વાસ રોકીને જોતું. હવામાં કોઈ ધુમાડો, ઘરના દીવાઓનાં તીખાં કિરણો, અવાજનાં મોજાં રહેતાં નહિ. એક કોમળ મુલાયમ અંધારભરી નીરવતા. અને પછી જરા મોડેથી ચંદ્ર ઊગતો. રતૂમડા વિસ્મયથી ખડકોને જોતો, પોઢી ગયેલી પૃથ્વીને નિહાળતો. પછી તો પ્રકાશનો વરસાદ જ વરસતો. પોતાને એનો સઘન સ્પર્શ થતો. અંગો બધાં ભીંજાઈ જતાં. સૌંદર્યની આવી સેંકડો અનુભૂતિઓથી પોતાનું જીવન રસાયું હતું. કોઈ સાંજ વેળાએ તે લીમડા નીચે બેસી રિલ્કેનાં કાવ્યો વાંચતી: ‘વી, ધ વેસ્ટર્સ ઑફ સૉરોઝ... આપણે આપણા શોકને વેડફી નાખીએ છીએ - દુઃખથી છુટકારાની રાહ જોવામાં...’ એનો પતિ ચુપચાપ સાંભળતો. જીવનના આવાગમન પાછળ રહેલા કોઈક મર્મની અલપઝલપ ઝાંખી થતી. દુઃખને એક ગંભીર સમજથી સ્વીકારી શકાતું. વેદનાઓમાં ગુપ્ત રહેલા અર્થને થોડો ઘણો પામી શકાતો. આ લોકો જીવન તરફ કઈ રીતે જોતાં હશે? તેને ઘણી વાર પ્રશ્ન થતો. પણ માયા-છાયાને તેની પાસે નિરાંતે બેસીને વાત કરવાની ક્યારેય - ફુરસદ રહેતી નહિ. તેઓ આખો દિવસ કશાકમાં ને કશાકમાં રોકાયેલાં રહેતાં. તેઓ કુકિંગ ક્લાસમાં જતાં, ફ્રેન્ચ પુડિંગ અને ઇટાલિયન પીત્સા બનાવતાં શીખતાં, ઇન્ટિરિયર ડેકોરેશનના વર્ગો ભરતા, ઇકેબાનાની ગોઠવણી કરતાં, કૅન્ડલ-લાઇટ-ડિનર ગોઠવતાં, હેરસ્ટાઇલ શીખતાં. નવનવી રીતે વાળ ઓળતાં. કપડાંનાં નવાં નવાં મેચિંગ. સુંદર લાગતાં તેઓ. પણ બહારથી તેઓ ઘેર આવતાં ત્યારે હંમેશા કહેતાં: ‘કંટાળી ગયાં. બહુ થાક લાગ્યો અરે, પેલો પ્રેમનાથ એટલો બોરિંગ હતો!’ કંટાળાની એ વધુ કંટાળાની ક્યારીમાં જ જાણે તેમનો દિવસ ઊગતો ને સાંઝ ઢળતી. સ્થાપિત વ્યવસ્થા ને પરંપરાગત મૂલ્યો સામેના વિદ્રોહની તેઓ વાતો કરતાં. કોઈ વાર હિપ્પીઓ પણ તેમનાં મહેમાન તરીકે આવતાં. આમ છતાં તેમના જીવનમાં કંઈક બહુ મોટો ખાલીપો હતો. જીવનનું આનંદતત્ત્વ તેમની પકડમાંથી સરી જતું. તેઓ જીવતાં, પણ તેમને લાગ્યા કરતું - આ બધાંના શો અર્થ છે? અને હવે એક નવી સ્ત્રી ઘરમાં આવી રહી છે. માંડ ૨૩-૨૪ વર્ષની હશે. દીપંકરે લગ્ન વખતે ફોટા મોકલેલા. પણ ફોટામાંથી ને તેયે લગ્ન સમયના ફોટામાંથી - વ્યક્તિનો પરિચય કેમ મળે? તેને કુતૂહલ હતું. દીપંકરે પસંદ કરેલી એ છોકરી કેવી હશે? તે પોતાનો આદર કરશે કે નહિ, પોતાને ચાહશે કે નહિ, એ વાત મહત્ત્વની નહોતી. પોતે હવે કેટલા દિવસ? પણ એક સાવ અજાણી દૂર દેશની કન્યા ઘરની વહુ બનીને આવે છે, તેને ઓળખવાની ઇચ્છા હતી. માયા-છાયાને પણ એના વિશે ઘણી ઉત્કંઠા હશે; ભય અને આશંકા હશે એક દિવસ બંનેને ગુપસુપ કરતાં સાંભળ્યાં હતાં... ‘ઍડ્જસ્ટમેન્ટ’ કરવું પડશે - એવી કંઈક વાતો તેઓ કરતાં હતાં. સારું છે કે ઘર ખૂબ મોટું હતું, બધાંનો સમાસ થઈ રહેતો હતો. દીકરીઓ પણ તેમના પતિ ને બાળકોને લઈને આવી હતી. ‘ભાભી, ટિનુ માટે દૂધ ગરમ થયું છે? મહારાજને કહેજો, દાળશાક મોળાં કાઢી લે. અવિનાશને પેટમાં અલ્સર છે.’ તેમના વ્યવહારમાં એક પ્રકારની અધીરતા રહેતી. હવે કેટલી રજા બાકી રહી તેનો મનમાં હિસાબ ગણતાં હશે. રજા લંબાવવી તો નહિ પડે? ઘરમાં જેમ-તેમ મૂકીને આવ્યાં છીએ.... મા પાસે બધાં વારાફરતી આવી જતાં. દવા લીધી, મા? ઊંઘ બરાબર આવી હતી ને? રાત કેવી ગઈ? તેઓ મચ્છરદાનીના છેડા સરખા કરતાં, વળેલી ચાદર ખેંચતાં, માના પલંગ પાસે ટેબલ પર તાજાં ફૂલ મૂકતાં, છોકરાંઓ અવાજ કરતાં આવે તો બહાર કાઢી મૂકતાં. માની બધી રીતે કાળજી રાખતાં. રોજ તેને માટે જુદી જુદી જાતની હળવી વાનીઓ બનાવતાં. અને તેમને થયું કે પોતાની પરિચર્યા સંપૂર્ણ છે. માત્ર માને ખબર હતી કે ખાલીપણું ક્યાં હતું. પણ હવે મૃત્યુની સન્મુખ આવતાં તેણે બધી અપેક્ષાઓને સંકેલી લીધી હતી. જીવનભર મેં સૌંદર્યને ચાહ્યું છે, જીવનને ચાહ્યું છે. મરતી વેળા હું એને ખંડિત નહિ થવા દઉં. એનો પતિનો પ્રિય લેખક હેન્રી ફેડરિક ઍમિયલ. સ્વિટ્ઝલેન્ડમાં જન્મેલો, ફ્રાન્સમાં વસેલો, સૌંદર્યશાસ્ત્રનો પ્રોફેસર. ત્રીસ વર્ષ એકાંતમાં ગાળી એણે ૧૬,૯૦૦ પાનાં ભરીને જર્નલ લખ્યાં. ઍમિયલ, બર્ગસોં, ટાગોર... તે અને તેનો પતિ બન્ને તેમના વિશે એવી રીતે વાત કરતાં, જાણે તેઓ તેમના મિત્રો હોય. એમનાં લખાણોમાંથી, જીવનમાંથી, દર્શનમાંથી પોતે આકંઠ પાન કર્યું હતું... અને હવે મૃત્યુની વેળા આવી હતી. જીવનની સર્વોચ્ચ અનુભૂતિની પરમ આસ્વાદ્ય પળ. એ પળની આભા પૂનમના, વદ એકમના કે બીજના ચંદ્ર જેવી, રતૂમડા પ્રકાશવાળી, પોતાનાં સર્વ અંગોને સિક્ત કરી દે તેવી રાખવી છે. કશોક અવાજ થયો. માયા આવી હતી. તેણે એની તરફ નજર ફરવી. માયા પાસે આવી. ‘કાંઈ જોઈએ, બા?’ તેણે ડોકું હલાવી ના પાડી. હસી. પણ માયા સામે હસી નહિ. તેણે માના હાસ્યને જોયું નહોતું. તે પોતાના વિચારોમાં ગૂંથાયેલી હતી. તે હોશિયાર, કાર્યદક્ષ, સ્માર્ટ અને સ્વાર્થી હતી. પોતાને જોઈતું બધું મેળવી લેતી. ગમે તે રીતે. બીજાનું શું થાય છે તેની પરવા કર્યા વગર. પોતાનો પતિ ને પોતાનાં બાળકો - એ તેના વિવની સરહદો હતી. મિત્રો, પાર્ટી, સિનેમા - બધું થતું. પણ તેને કોઈનેય માટે ઊંડી લાગણી હોય કે કોઈને માટે તે ક્યારેય ઘસાઈ હોય -- એવું કાંઈ યાદ નહોતું આવતું. વચેટ છાયા જુદી હતી. આનંદી, ઉદાર, ગ્રામ્ય મજાકોથી ભરેલી, સ્થૂળ, બહિર્મુખ, સંવેદના રસહેત. એક જ મોટા મકાનમાં માયા-છાયાનાં રસોડાં જુદાં હતાં. સંપત્તિ પૂરતી હતી, તેથી બન્ને વચ્ચે સંઘર્ષના પ્રસંગ ખાસ આવતા નહિ. પોતાનો રૂમ ઉપર જુદો હતો. બન્નેને ત્યાંથી વારાફરતી જમવાની થાળી આવતી. કોઈક વાર પોતે પણ નીચે બધાંની સાથે ટેબલ પર જમવા જતી, પણ કોઈક જ વાર. બહારનું કોઈ ન હોય ત્યારે. ઘણી વાર રાતે નીચે સંગીત ચાલતું. નૃત્યો થતાં. ગિટાર-ઑર્ગન વાગતાં. માયા સારું ગાતી. પોતાની દીકરી ઉમા પણ સરસ ગાતી. ઉપર એમના સૂરો પહોંચતા. કોઈ વાર ગમતા. પણ ઉમા કે માયાએ કોઈ દિવસ એની પાસે આવીને કહ્યું નહોતું : ‘બા, તમને કોઈક ગીત કે ભજન સંભળાવું?’ સરસ રીતે કોઈ કાવ્યો વાંચે તોયે ગમે. જેતે દિબો ના તોમાય... તમને જવા નહિ દઉં. ચાર વરસની કન્યાના મુખની એ સ્નેહના ગર્વથી ભરેલી વાણી. પિતાને કહે છે - તમને જવા નહિ દઉં. એ કાવ્ય પોતે સેંકડો વાર બીજાને વાંચી સંભળાવેલું. ‘જવા નહિ દઉં... પણ તોયે જવા દેવું પડે છે, ચાલ્યું જાય છે. પ્રલય- સમુદ્રના વેગમાં હૂ હૂ કરી તીવ્ર વેગે બધું જ ચાલ્યું જાય છે.’ પોતાની પણ જવાની ઘડી આવી છે. કોઈએ કહ્યું નથી - જવા નહિ દઉં. કદાચ ક્યારે જાય, તેની રાહ પણ જોતાં હોય ! ભલે, મનમાં કશી તૃષ્ણા નથી, ભય નથી. કે છે? બારી પાસે ઝૂલતા લીમડાની ડાળીઓ હવે ચૈત્ર-વૈશાખમાં સફેદ સફેદ મંજરીઓથી ભરાઈ જશે. આલ્બેર કામૂએ તેની નોંધપોથીમાં જેની વાત કરી છે તેવી બદામની વેત સુંદર મંજરી જેવી... કદાચ એથીય વધુ સુંદર. આખી રાત તે મહેક્યા કરશે. તેને સુખ થયું. ‘જનરેશન ગૅપ’ છે, છતાં પોતાની છેલ્લી રાતો ભગવાને કોઈક રીતે મહેકતી રાખી છે. અચાનક મારિયા યાદ આવી. એને અહીં ગમશે? અહીંનો ઉનાળો, ગરમી, અહીંની ગંદકી, અહીંના લોકોની ટેવો - આ બધું તે શી રીતે સહી શકશે? તેને આ દેશની સાચી પરિસ્થિતિઓની જાણ હશે કે કોઈ ભાવગુપ્તતામાં તે ડૂબેલી હશે તે અહીં આવતાં નિર્ભાંત થઈ જશે? જે હોય તે - થોડા કલાકોમાં જ આ કુતૂહલતાનો અંત આવશે. હૃદયમાં એક ઝીણો સૂર ઊઠ્યો, છેલ્લી પળોની આભા પર, આ દીકરા-દીકરીઓ-વહુઓ વચ્ચેના સંઘર્ષની છાયા ન પડે તો સારું, પોતાની શક્તિઓ હવે સાવ ક્ષીણ થઈ ગઈ હતી. હાથપગ હવે ચાલતા નહોતા. માત્ર પ્રવાહી ખોરાક જ લઈ શકાતો. અવાજ ધીમો પડી ગયો હતો, સંભળાતું પણ ઓછું, માત્ર દૃષ્ટિ સતેજ હતી, અને સતેજ હતાં મન, હૃદય, સ્મૃતિઓ.
* * *
...ફ્લાઈટ થોડી મોડી હતી. બપોરને બદલે સાંજે છ વાગ્યે વિમાન આવ્યું. કસ્ટમમાંથી નીકળતાં ને ઘેર પહોંચતાં આઠ વાગી ગયા. દીપંકર અને મારિયાએ એના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે પ્રકાશને બદલે અંધકારની સંધિક્ષણ હતી. દીપંકર ઉભરાઈ જતા વહાલ સાથે દોડ્યો. ‘કેમ છે, બા?’ તેના અવાજમાંથી નર્યો સ્નેહ નીતરતો હતો. એને ઘણોબધો સંતોષ થયો. થોડી વાર તો તે માને લગભગ વળગીને જ બેઠો. પછી યાદ આવ્યું હોય તેમ તે ઊભો થયો. ‘મારિયા, આ મારી મા!’ તેણે કહ્યું. એમાં કંઈક ગર્વની છાંટ હતી? કે ખાલી ભ્રમ? મારિયા આગળ આવી. તેણે હાથ લાંબો કરી તેનો હાથ પકડી હલાવ્યો. બોલી નહિ કશું. માત્ર હસી. બન્ને એની પાસે બેઠાં. દીપંકરે ઝડપથી ઘણી વાતો કરી નાખી. ત્યાંના વસવાટની, પત્ર પછી થયેલી ચિંતાની, હવે તબિયત કેમ છે, પોતે આવ્યો એટલે સારું થઈ જશે, સ્નેહ ને ચિંતાની વાતો. થોડીક નાનપણની યાદ, ‘મા, તને સાંભરે છે? એક દિવસ હું બહુ રખડીને કપડાં ફાડીને આવ્યો ત્યારે બાપુ મને ખૂબ વઢેલા અને ત્યારે તેં પાછળથી કેવો મને શીરો ખવડાવેલો?’ સૂતાં સૂતાં તે સાંભળી રહી. ખૂબ સારું લાગ્યું. પછી બંને નીચે ગયાં. ‘સૂઈ જજે આરામથી, મા! હવે કાલે સવારે મળીશું. સાથે ચા પીશું.’ દીપંકરે કહ્યું. મારિયાએ ડોકું ધુણાવ્યું. તેની આંખો સરસ હતી એમ લાગ્યું, ઊંડાણભરી, સંવેદનાભરી, જાણે તે કહેતી હોય - તમારા મનમાં શું છે, હું સમજું છું. દીપંકરે સવારે મળવાનું કહ્યું - પણ એકલી પડી ત્યારે એને થયું, એમ ન બને કે આજની રાત જ છેલ્લી રાત હોય? અચાનક બહુ જ ક્ષીણતા આવી ગઈ. ખૂબ નબળાઈ લાગવા માંડી. આજે કઈ તિથિ હતી? વદ બીજ... આજે સહેજ મોડો, લાલ ચંદ્ર ઊગશે. બસ, હવે કશું જોઈતું નહોતું. આજની રાતે અંત આવે તો તે વાજબી જ કહેવાય. નીચેથી અવાજો સંભળાતા બંધ થઈ ગયા. હજુ કાંઈ બહુ નહિ વાગ્યા હોય. માંડ દસ થયા હશે. બધાં કદાચ પેલી તરફના આંગણામાં બેઠાં હશે. દીપંકર અમેરિકાની વાતો કરતો હશે. દીકરીઓને, માયા-છાયાને ઇન્તેજારી હશે કે દીપંકર એમને માટે શી શી વસ્તુઓ લાવ્યો હશે! અને માયા મનમાં ગોઠવતી હશે કે સરસમાં સરસ વસ્તુ શી રીતે પોતાને મળે એમ કરવું. હવાની એક વેગવંતી લહર આવી, લીમડાની ડાળીઓ ઝૂલી પડી. બે સફેદ ઝીણી કળીઓ એના પલંગ પર ફેંકાઈ. અચાનક તેને લાગ્યું કે બારણું ખૂલ્યું. કોણ આવ્યું હશે? છેલ્લી દવા તો કામવાળી બાઈ આપીને ગઈ. પછી કોણ આવ્યું? ધીમે પગલે કોઈ તેની પાસે આવ્યું. ઓળખાયું. એ મારિયા હતી. તેને પારાવાર નવાઈ લાગી. મારિયા કેમ આવી હશે? મારિયા તેની પાસે આવીને બેઠી, હાથ હાથમાં લીધો, થોડી વાર કાંઈ બોલી નહિ. માત્ર સામે જોઈને હસી રહી. ‘મને અહીં બેસવાનું ગમશે. બેસું?’ તેણે પૂછ્યું. તેણે ડોકું હલાવીને હા પાડી, પણ હજુ નવાઈ શમતી નહોતી. લાંબા સમય સુધી મારિયા શાંત બેસી રહી. લીમડાની પાછળના આકાશને જોઈ રહી. પછી ધીમેથી બોલી: ‘તમે પલંગ સરસ ખૂણે ગોઠવ્યો છે. આ વૃક્ષ સુંદર દેખાય છે. એને હવે ફૂલ આવશે ને? થોડાં થોડાં દેખાય છે.’ અંગ્રેજીમાં, ધીમેથી, અટકી અટકીને બોલતી હતી. ઉચ્ચારો અમેરિકી હતા, પણ એને બધું સમજાયું. મારિયાએ ફરી કહ્યું: ‘અમારાં લગ્ન વખતે તમે મને ટાગોરની કવિતાનું પુસ્તક મોકલેલું તે મને ખૂબ ગમેલું. કેટલીય વાર વાંચ્યું. ઘણી કવિતા તો મોઢે થઈ ગઈ છે.’ તે હસી, અને માના હાથ પર હાથ પસવાર્યા, ‘આઇ લવ્ડ યૂ ફૉર ધૅટ બુક. ઇટ વૉઝ વન્ડરફૂલ, ટુ લવ ધ વર્લ્ડ વિથ ઑલ ઈટ્સ પીપલ ઇન સચ અ બ્યૂટિફુલ વે...’ અને પછી... “તમને હજુ યાદ છે એ કાવ્યો ? એણે આનંદથી ડોડું ધુણાવ્યું. મારિયા સહેજ વધુ નજીક સરી આવી. માની સાવ નજીક ઝળૂંબી. ‘તમે ખૂબ દુર્બળ લાગો છો.’ તે કાંઈ બોલી નહિ. મારિયાએ એની આંખમાં આંખ પરોવી ઊંડાણથી જોયું. માથા પરના વાળ પસવાર્યા. પછી કાન નજીક મોં લઈ જઈ મૃદુતાથી બોલી : ‘તમને... તમને ભય નથી લાગતો ને?’ ‘શાનો ભય?’ ‘અજ્ઞાતનો...’ મારિયા ધીમા સ્વરે બોલી. ‘બધું પરિચિત છોડી શૂન્યમાં સરી જવાનો, આર યૂ અફ્રેઇડ?...’ હૃદયમાં એક મોટું મોજું આવ્યું. આનંદનું. આ છોકરી મને સમજે છે. મારી ભીતર શી લાગણીઓ છે એ જાણવાની તેને ખેવના છે. મારા ભયની તેને ચિંતા છે. એ ભયને તે કદાચ દૂર કરવા માગે છે.... તેને જવાબ આપવો હતો, પણ આ ભરતીથી તે ઉત્તેજિત થઈને થાકી ગઈ. જીવની છેલ્લી પળોમાં એક નવા સંબંધનો ઉદય થયો હતો, જરા મોડો... પણ અત્યંત સુંદર. તેણે પ્રેમ ને સંતોષથી મારિયા તરફ જોયું, તેને થયું: લોકો કહે છે - પતિ જીવંત હોય ત્યાં સુધીમાં પત્ની મરવા-કરવાનું પતાવી દે, તો તેને સૌભાગ્યવતી કહેવાય, ઓહ - લોકોને શી ખબર, સૌભાગ્ય એટલે શું? આ સૌભાગ્ય છે. અંતિમ ક્ષણોના આકાશમાં એક નવા સંબંધનો, એક નવા પ્રેમનો આમ ઉદય થવો તે સૌભાગ્ય છે. આનંદથી મરી શકવું - તે જ સૌથી મોટું સૌભાગ્ય છે. લીમડાની પાછળથી ચંદ્રની વેત કિનારી દેખાઈ. મારિયાએ રૂમની બત્તી ઓલવી નાખી. એકસામટાં ઘણાં ધોળાં ફૂલોથી ડાળીઓ ભરાઈ ગઈ હોય એમ લાગ્યું. તેણે મારિયાનો હાથ પકડી ચંદ્ર તરફ ઈશારો કર્યો... લૂક, શી ઈઝ બિંડિંગ ફરવેલ.... મારિયાએ તેના કપાળ પર હળવેથી હાથ ફેરવ્યો.... મે યોર જર્ની બી પીસફુલ. તેના મોં પર રતૂમડી આભા પથરાઈ રહી.
૧૯૭૬
(‘જવા દઈશું તમને’)
॥ નિબંધ ॥
ઐસા ભી હોતા હૈ!
રતિલાલ બોરીસાગર
થોડા દિવસ પહેલાં મારે ગ્રામવિસ્તારની એક શાળાના વાર્ષિક દિન નિમિત્તે પ્રવચન કરવા જવાનું થયું. શાળાના આચાર્ય મારા જૂના મિત્ર છે. આવતે વરસે નિવૃત્ત થવાના છે. પોતાની નોકરીના છેલ્લા વાર્ષિક દિને શાળાનાં બાળકોને મારો લાભ (અથવા ગેરલાભ) મળે એ હેતુથી તેઓએ મારું પ્રવચન ગોઠવ્યું. ‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે ભાષણ કરીને મારે બાળકોને ‘બોર’ કરવાં એવી એમની અપેક્ષા હતી. આમ તો ભાગ્યે જ કોઈ વક્તા દયાળુ હોય છે. શ્રોતાઓની દયા ખાઈને પ્રવચન કરવાનું માંડી વાળે એવો કરુણાસાગર વક્તા પૃથ્વીના રસપાટલે હજુ જન્મ્યો નથી ને જન્મે એવો સંભવ નથી. આમ છતાં, મેં મિત્રને કહ્યું, ‘તમે એક તદ્દન અચોક્કસ અને તદ્દન અવ્યવસ્થિત માણસને ‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે બોલવાનું નિમંત્રણ આપી રહ્યા છો.’ ‘હું સમજીને નિમંત્રણ આપી રહ્યો છું. મેં જોયું છે કે જે ગુણો પોતાના જીવનમાં ન હોય એ વિશે માણસો વધુ અસરકારક રીતે બોલી, શકે છે!’
* * *
જે દિવસે પ્રવચન કરવા જવાનું હતું તે દિવસે સવારના દસ-સાડા-દસે એક બીજા મિત્રને ત્યાં ગયો. એ મિત્ર પાસેથી જ્ઞાનવિજ્ઞાનના એક મૅગેઝિનની ત્રણ ફાઈલો પ્રવચન-સ્થળે મારે લઈ જવાની હતી. મિત્ર એ શાળાને એ ફાઈલો ભેટ આપવા ઇચ્છતા હતા. આ મિત્ર મને એક પુસ્તક પણ આપવા ઇચ્છતા હતા. પુસ્તક એમની સ્કૂટરની ડીકીમાં હતું. મિત્ર દાઢી કરવાના નિત્યકર્મમાં રોકાયેલા હતા એટલે એમણે મને સ્કૂટરની ચાવી આપી. મેં સ્કૂટરની ડીકી ખોલીને પુસ્તક કાઢ્યું અને ફાઈલોવાળી થેલીમાં મૂક્યું.
* * *
‘જીવનમાં ચોકસાઈ અને વ્યવસ્થાનું મહત્ત્વ’ એ વિશે મેં મનનીય પ્રવચન આપ્યું. મારા કથનના ટેકામાં મેં અનેક લેખકો અને મહાપુરુષોનાં પુસ્તકોમાંથી અવતરણો રજૂ કર્યાં. અવતરણોનાં એક પુસ્તકમાંથી ‘રેડી મેઇડ’ અવતરણો જ મેં રજૂ કર્યાં હતાં; પણ, પુસ્તકોનાં નામ અને કેટલાંક પુસ્તકોનાં પાનાંનંબર સહિત મેં અવતરણો રજૂ કર્યા. આ કારણે મારું વાચન ઘણું વિશાળ છે એવી છાપ પણ પડી, જે દૂર કરવાનો મેં પ્રયત્ન ન કર્યો. આ બધાં પુસ્તકો વાંચવાની વાત તો દૂર રહી એ પુસ્તકો મેં જોયાં પણ નથી તેમ છતાં, ભલે ગેરસમજથી પણ મારી સારી છાપ કોઈ પર પડતી હોય તો પડવા દેવી એવો મારો હમેશનો અભિગમ રહ્યો છે! આચાર્ય મિત્ર પ્રસન્ન થયા. મોડી સાંજે આચાર્ય મિત્રે મને વિદાય આપી. મારા સ્વાગતમાં શાળા તરફથી આપેલું દળદાર પુસ્તક લઈ જવામાં અનુકૂળતા રહે એટલા માટે એમણે કહ્યું, ‘તમે આ થેલી પાછી લઈ જાવ. હું ફાઈલો કાઢી લઉં છું.’ આમ કહીને એમણે ફાઈલો કાઢી... અને ટેબલ પરના કાચનો ખડિંગ જેવો (અથવા જેવો કહેવાતો હોય તેવો) અવાજ થયો કી-ચેઇનમાં નાખેલી સ્કૂટરની બે ચાવી ટેબલ સાથે અથડાઈ હતી. મિત્ર ચમક્યા. હું વિશેષ ચમક્યો. ફાઈલોવાળા મિત્રના સ્કૂટરની ડીકીમાંથી પુસ્તક કાઢી, ડીકી બંધ કરી, પુસ્તક સાથે સ્કૂટરની ચાવી પણ મેં થેલીમાં નાખી દીધી હતી! એકદમ મને ચાવીના માલિકની ચિંતા થઈ. મેં તરત જ ફોન જોડ્યો. સ્કૂટરની ચાવી મારી પાસે છે એવી માહિતી આપી અને ચિંતા ન કરવાની સલાહ આપી. ‘ચાવી ન જડી, એટલે ચિંતા તો જેટલી કરવાની થઈ એટલી કરી લીધી. પણ અત્યારે નવી ચિંતા ચાલે છે.’ મિત્રે કહ્યું. ‘લૉક કરેલું સ્કૂટર કોઈ ઉપાડી ગયું?’ ‘ના, એવું તો નથી થયું. પણ સ્ફૂટરનું લૉક ખુલે એનો ટ્રાય કરવા પડોશી પાસેથી એમના સ્કૂટરની ચાવી લઈ આવ્યો. ચાવી લાગી ગઈ, સ્કૂટર ખૂલી પણ ગયું ...પરંતુ...’ ‘પરંતુ શું?’ ‘હવે પડોશીના સ્કૂટરની ચાવી જડતી નથી.’ મિત્રે લગભગ રડવા જેવા અવાજે કહ્યું. મને થયું: મને પણ હરાવી દે એવા લોકો છે આ જગતમાં!
* * *
મોડી સાંજે હું પાછો ફરતો હતો ત્યારે રસ્તામાં મને ચુમ્માળીસ વરસ પહેલાંનો એક કિસ્સો યાદ આવી ગયો. આ કિસ્સો બિલકુલ સાચો છે. આવી સ્પષ્ટતા એટલા માટે કરવી પડે છે કે હાસ્યલેખોમાં લખાયેલું સાચું હોય તોપણ ગપ્પાં માની લેવામાં આવે છે. આથી ઊલટું પણ કેટલીક વાર બને છે. મજાકમાં લખ્યું હોય તે સાચું માની લેવામાં આવે છે! મારા લેખોમાં મારા વિશે જે લખું છું તેના પરથી હું સાવ બાઘો છું એવી છાપ વાચકોમાં પ્રવર્તે છે. આ છાપ તદ્દન ખોટી છે એવું મારું કહેવાનું નથી. પણ મને ધારવામાં આવે છે એટલો બાઘો હું નથી. પણ, એ વાત જવા દો. જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. પણ અત્યારે હું જે કિસ્સો કહી રહ્યો છું તે તદ્દન તદ્દન સાચો છે. ઈ.સ. ૧૯૫૯ની એક વહેલી સવારે હું મારા વતન સાવરકુંડલાથી જૂનાગઢ જઈ રહ્યો હતો. એ. સમયે જૂનાગઢ જવા માટે સાવરકુંડલાથી ચલાલા સુધી બસમાં અને ચલાલાથી પછી ટ્રેનમાં - એમ જવાતું હતું. ટ્રેનની આખા દિવસની મુસાફરી; એટલે, રસ્તામાં ખાવા માટે થેપલાં અને અથાણું લીધાં હતાં. ભાતાનો ડબ્બો એક થેલીમાં મૂક્યો હતો, બે જોડી કપડાંની એક જુદી થેલી હતી. હું પ્રાથમિક શિક્ષક હતો, એમાંથી ભારત સરકારના તારટપાલ ખાતાના કારકુનની એ સમયે મોભાવાળી (માસ્તરની નોકરીના પ્રમાણમાં મોભાવાળી) ગણાતી નોકરીના મેડિકલ ટેસ્ટ માટે હું જૂનાગઢ જઈ રહ્યો હતો. વીસ વરસની ઉંમર હતી. મારાં બા કહેતાં: સોળે સાન (અક્કલ) અને વીસે વાન (સુંદરતા) આવ્યાં તો આવ્યાં નહિતર પછી રામરામ! (મારો કિસ્સો આ ‘રામરામવાળો’ હતો!) ભાતાના ડબ્બામાં અથાણું હતું. રસ્તો કાચો હતો. બસના પછડાટને કારણે અથાણાના તેલના રેલા ન ચાલે એ માટે મેં ડબ્બાવાળી થેલી ખોળામાં રાખી હતી. ડબ્બામાં થેપલાંને બદલે સોનાનાં ઘરેણાં હોય એટલી કાળજીથી મેં થેલી હાથમાં ઝાલી રાખી હતી. મારી-નજર પણ સતત થેલી પર જ ઠેરવી રાખી હતી. એકાએક થેલીના નીચેના ભાગને મારાં આંગળાં અડ્યાં, એકદમ સુંવાળો સુંવાળો સ્પર્શ અનુભવ્યો. સ્પર્શમાં સજીવતાનો ભાસ પણ થયો. સુંવાળો સ્પર્શ ઝંખવાની એ ઉંમર હતી, પણ આ સ્પર્શ એ ઝંખનાને અનુરૂપ નહોતો! એક વિચાર મનમાં ઝબક્યો ને હું ગભરાઈ ગયો. અમે એ દિવસોમાં એક રૂમ-રસોડાવાળા ધૂળિયા ઘરમાં રહેતાં હતાં. ઘરમાં મહિને-પંદર દિવસે એકાદ સાપ અતિથિની જેમ વગર નોટિસે આવી જતો હતો. બે વરસની ઉંમરે ઘૂંટણિયાં તાણતાં તાણતાં એક વાર મેં એક બાલસર્પને હાથમાં પકડી લીધેલો એવી વાત મારાં બાએ મને કહેલી. (બાલકૃષ્ણે કાળિનાગ નાથ્યો એના જેવી ભલે નહિ, પણ એની લઘુઆવૃત્તિ જેવી તો આ ઘટના હતી જ. છતાં મોટો થઈને હું બહાદુર કેમ ન બન્યો એ એક મનોવૈજ્ઞાનિક કોયડો છે.) મને વિચાર આવ્યો કે થેલીમાં સાપ તો નહિ હોય ને! રાત્રે થેલી એક રસોડામાં મૂકી હતી. કોઈ થેપલાં-અથાણાપ્રિય સાપ અંદર પેસી ગયો હોય એ ઘણું સંભવિત હતું. મેં ફરી થેલીને સઘન સ્પર્શ કર્યો. અંદર કશુંક સળવળ્યું. નક્કી ગૂંચળું વળીને બેઠેલો સાપ- મને થયું. બસ તો એની તેજ ગતિએ દોડી રહી હતી. મારું મન એનાથી પણ વધુ તેજ ગતિએ દોડી રહ્યું હતું, સાપ થેલીની બહાર નીકળશે તો શું થશે? મારી. આજુબાજુમાં બેઠેલાં પેસેન્જરોને સાપની શક્યતાનો નિર્દેશ કરવાનો વિચાર આવ્યો. પણ એમ કરું તો તરત જ બસમાં હો-હો થઈ જાય. ગભરાઈને લોકો મને થેલી સાથે અંતરિયાળ ઉતારી મૂકે કદાચ! હું હેમ્લેટ બની ગયો - ટુ બી ઓર નોટ ટુ બી! આખરે થેલી પગ પાસે મૂકી હું સતત એની સામે એકીટશે જોઈ રહ્યો. આ એક વિરલ ધ્યાનયોગ હતો. મને હતું કે સાપનું મુખદર્શન કે પુચ્છદર્શન થાય તો તરત સૌને સજાગ કરી દેવાં. પણ એવું કશું બન્યું નહિ. ચલાલા આવી ગયું. ચલાલા સુધીની જ બસ હતી. બસ ઊભી રહી. નળરાજાએ દમયંતીને વનમાં તજી દીધી હતી એમ થેલીને બસમાં તજી દઈ હું ઉતાવળો ઉતાવળો નીચે ઊતરવા લાગ્યો. પણ એક પરગજુ પેસેન્જરનું ધ્યાન ગયું. એમણે થેલી લઈને મને આપી. મારા હૃદયના ધબકારા વધી ગયા, પણ થેલી લીધા સિવાય છુટકો નહોતો. બીતાં-બીતાં મેં થેલી લીધી. છેડેથી મજબૂત રીતે પકડી રાખી. બસસ્ટેશનેથી રેલવે-સ્ટેશન સુધી પ્રભુના અખંડ જાપ જપતો રહ્યો. સ્ટેશને આવીને પ્લેટફોર્મ પર મેં થેલીનો ઘા કર્યો. થેપલાંનો ડબ્બો અને અથાણાંનો નાનો ડબ્બો બહાર ફેંકાઈ ગયા અને સાથે... અને સાથે એક છછુંદર પણ નીકળ્યું અને દોડીને પ્લેટફોર્મ પાસેની નાની ઝાડીમાં ભરાઈ ગયું!
* * *
થેલીમાં સ્કૂટરની ચાવી જ નહિ, એક દિવસ હું છછુંદર પણ લઈ ગયો હતો! છછુંદરને એના સ્વજનોથી છૂટી (કે છૂટો) પાડવાનો અફસોસ મને દિવસો સુધી રહ્યાં કર્યો હતો - હજુ કોઈ કોઈ વાર આ વિચાર મનમાં ઝબકી જાય છે!
- મોજમાં રે’વું રે!
॥ વિવેચન॥
આધુનિક કવિતાની છંદોરચના!
હરિવલ્લભ ભાયાણી
![]()
જન્મ : ૨૬ મે, ૧૯૧૭ ૧૧ નવેમ્બર, ૨૦૦૦
આધુનિક કવિતાએ જેમ વિષય, ભાવ, વૃત્તિ, પદાવલિ અને રચનાશૈલી જેવાં તત્ત્વોની બાબતમાં, તેમ છંદની બાબતમાં પણ પૂર્વવર્તી કવિતાથી જુદો જ વળાંક લીધો છે. આધુનિક કવિતા છંદવાળી તેમ જ છંદ વગરની–એટલે કે સીધી ગદ્યમાં–હોય છે. ઉપજાતિ, પૃથ્વી, અનુષ્ટુભ્, મંદાક્રાંતા, શિખરિણી, શાર્દૂલ-વિક્રીડિત વગેરે આગળની કવિતામાં કવિપ્રિય બનેલા અક્ષરછંદોની વપરાશમાં હવે ભારે ઓટ આવી છે. પરંપરાગત સ્વરૂપના માત્રાછંદોની પણ એ જ હાલત છે. આમાં અત્યંત આગળ તરી આવતું વલણ (જેનો આરંભ તો આગળથી થયેલો) તે એ કે અમુક અક્ષરગણ કે માત્રાગણના યથેચ્છ આવર્તનવાળી અણસરખી પંક્તિઓમાં કાવ્યને ગૂંથવામાં આવે છે. આ ઉપરાંત ગઝલના પૂર્વપ્રચલિત છંદો તથા લોકગીત, ભજન, જોડકણાં વગેરેના ઢાળોનો ઉપયોગ કરવાનુ ચાલુ છે. આ થઈ છંદોબદ્ધ રચનાઓની વાત. પણ આધુનિક છંદોરચનાનો બીજો એક સૌથી વધુ ગવાયેલા કે આંખે ચડેલો વળાંક છે, કોઈ પણ છંદ વાપર્યા વિના થતી કાવ્યરચના. ગદ્યમાં ગૂંથાયેલી આવી કવિતાને ‘અછાંદસ’ એવું ખાસ નામ પણુ મળ્યું છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આ પૂર્વે છંદ વગર કવિતા રચવાનો જે એક જ્વલંત અપવાદ કવિ ન્હાનાલાલની કેટલીક ચર્ચાઓએ પૂરો પાડ્યો છે તેને પણ ‘અપદ્યાગદ્ય’ એવું આગવું નામ ચોડવામાં આવ્યું છે. આધુનિક છંદોરચનાને લગતાં આ નવા વળાંકે અને વલણો શા કારણે ઉદ્ભવ્યાં અને તેમનું તાત્પર્ય શું તે સમજવા મારે અભિવ્યક્તિના સાધન લેખે છંદનું ગજુ કેવું અને કેટલું તે ખ્યાનમાં રાખવું જોઈએ. સ્વરૂપની દૃષ્ટિએ જોતાં અક્ષરછંદોમાં એકસરખા માપની ચારચાર પંક્તિઓ, દરેક પંક્તિની સાથે વાકય, ઉપવાક્ય કે વાક્યખંડ પૂરો થવાની સામાન્ય અપેક્ષા અને દરેક અક્ષરના સ્થાનનું નિયત લઘુગુરુ-મુલ્ય-એ તત્ત્વોને લીધે એક અત્યંત સુસ્ત માળખું રચાય છે. આ માળખાને ઉપયોગમાં લેવાનું એક અનિવાર્ય પરિણામ તે શબ્દપસંદગી- ઉપર લદાતાં આકરાં નિયંત્રણ. વક્તવ્યની ઇષ્ટ અભિવ્યક્તિ માટે સૌથી વધુ યોગ્ય કે સમર્થ લાગતો શબ્દ, તેની અક્ષરરચના લઘુગુરુના માપમાં બંધબેસતી ન હોવાથી જતો કરવો પડે, અને તેના કોઈક પર્યાયને- જે અર્થછાયા, ભાવછાયા કે વર્ણ સાહચર્યની દૃષ્ટિએ ઊતરતો હોય, પરંતુ અક્ષરરચનાની દૃષ્ટિએ છંદમાં બંધબેસતો હોય તેને–સ્વીકારવો પડે. અથવા તો સંસ્કૃતભાષાના પર્યાયકોશોમાં હોય છે તેવા એકાર્થક, પણ વિભિન્ન અક્ષરરચનાવાળા શબ્દોના વિશિષ્ટ ભંડોળનો આશરો લેવો પડે. નિત્યની વ્યવહારભાષામાં તો ‘આભ કે આકાશ’ જેવા એકાદ બે શબ્દ જ હોવાના, જે ગુરુલઘુ કે બે ગુરુ અને એક લઘુના માપવાળા સ્થાને બંધ બેસે. આથી જુદી અક્ષરરચનાવાળા ‘ગગન’ કે ‘અંબર’ અને ‘આભ’ના વિકલ્પ તરીકે ‘વ્યોમ’ હાથવગા હોય તો, અક્ષરછંદને જાળવી શકાય. તે જ પ્રમાણે ‘પાણી’ અને ‘જળ’, ‘સલિલ’, ‘નીર’, ‘વારિ’, ‘સ્ત્રી’ અને ‘નારી’, ‘સુંદરી’, ‘રમણી’, ‘અંગના’, ‘લલના’, ‘મહિલા’, ‘ચાંદો’ કે ‘ચંદ્ર’ અને ‘ચંદ્રમાં’, ‘વિધુ’, ‘મયંક’, ‘મૃગાંક’, ‘શશાંક’, ‘સિતાંશુ’, ‘હિમકર’, ‘શશિયર’ વગેરે; અને તે જ પ્રમાણે બીજા સેંકડો શબ્દો. અક્ષરછંદ વાપરનારને માટે તળપદા, અર્થસભર, જીવંત શબ્દો કે ઇષ્ટ અર્થભારવાળા પ્રયોગોનો ભોગ આપવાના પ્રસંગો ડગલે ને પગલે આવવાના. છંદની પસંદગી હંમેશા ભાષાની, શબ્દપ્રયોગની પસંદગીની નિર્ણાયક હોય છે. અક્ષરછંદમાં રચાયેલી ગુજરાતી કવિતાની ભાષા તત્સમપ્રચુર - જીવંત વ્યવહારભાષાથી દૂર ખસેલી અને એટલે અંશે કૃત્રિમ હોય છે કે તેનું એક કારણ આ છે. આ ગેરલાભની સામે દૃઢ લય અને સામાન્ય, ઘરેડબંધ પ્રયોગોમાંથી મળતી મુક્તિ-વિશિષ્ટ પદાવલિના વિનિયોગથી અભિવ્યક્તિની કક્ષા ચાલુચીલાથી આપોઆપ જ ઊંચકાય- એ મોટા લાભો છે, કૌતુકરાગી કે ચિંતનની છાયાવાળી અભિવ્યક્તિ માટે આ છંદો જેટલા અનુકૂળ છે. અસ્તિત્વની વિકળતા, એકલતા, પરાયાપણું, વિચ્છિન્નતા, અર્થશૂન્યતા વગેરે ભાવોને અનુરૂપ ભાષાની સાથે અક્ષરછંદોના સ્વરૂપ અને લયનો મેળ બેસે તેમ નથી. તે જોતાં આધુનિક કવિતાએ છંદોરચનાની આગવી દિશા કેમ લીધી તે સમજી શકાશે. પરંપરાગત સ્વરૂપના હરિગીત, ઝૂલણા, કટાવ, ચરણાકુળ, અંજની વગેરેની પંક્તિવિભાગની મર્યાદાઓ અક્ષરછંદોના જેવી જ છે, અને વધારામાં તેમનું પ્રાસનું અંગ નવી મર્યાદા ઊભી કરે છે – એટલે કે અમુક શબ્દને બીજાઓ કરતાં આગળ કરી તદ્ગત અર્થ કે ભાવને ઉપસાવવાના પ્રાસના ગુણની સાથે, ઇષ્ટ શબ્દને છોડી દેવો પડે કે વક્તવ્ય યાંત્રિક સમાનતાવાળા ખંડોમાં જ વહેંચાઈ જાય એ તેથી ઉપસ્થિત થાય છે. છતાં પણ અક્ષરછંદ કરતાં માત્રાછંદ ચડિયાતા એ દૃષ્ટિએ છે કે માત્રછંદ અક્ષરરચનાના અતિ ચુસ્ત બંધનમાંથી મુક્તિ અપાવે છે, અને એમ શબ્દપસંદગી માટે ઘણો વિશાળ અવકાશ મળે છે. આથી આધુનિક છંદોરચનામાં શ્લોકવિભાગ અને પંક્તિવિભાગ છોડી દઈને માત્રાછંદોના પરંપરિત સ્વરૂપનો ઘણો આદર કરાયો છે. આ માટે કેવળ ચારછ છંદો જ પસંદગી પામ્યા છે. ચોપાઈનો ચાર માત્રાનો એકમ, ઝૂલણાનો પાંચ માત્રાનો, હરિગીતનો સાત માત્રાનો વગેરે. તે જ પ્રમાણે કશા લઘુગુરુના બંધન વિનાનો ચતુરક્ષર એકમ (બંગાળી પર્યાયનો ધક્કો પામીને) ઘણો કવિપ્રિય બન્યો છે. આ એકમોનાં આવશ્યકતા પ્રમાણે આવર્તનો કરીને લાંબાટૂંકા જોઈએ તેવા ખંડો રચવાની મોકળાશ મળે છે, અને ખંડને અંતે પ્રાસ, ગુરુલઘુનાં યુગ્મ વગેરે પ્રયોજીને અર્થવિરામો સાધી શકાય છે. પહેલાંના અક્ષરછંદો કે માત્રાછંદોની સરખામણીમાં આ મુક્ત સ્વરૂપના છંદોમાં ઇષ્ટ શબ્દપ્રયોગ સાથે બાંધછોડ કરવાનું નડતર ઘણું ઓછું હોય છે. ગેય ઢાળોના ચાલ્યા આવતા સ્વરૂપમાં ખાસ ફરક નથી પડ્યો; થોડોક સંકોચવિસ્તાર કે તોડજોડ સ્વાભાવિક રીતે જ થતાં રહ્યાં છે, પણ તેથી ઢાળોનું પાયાનું સ્વરૂપ બદલાયું નથી. જે નોંધપાત્ર ફરક પડ્યો છે, તે ઢાળના સ્વરૂપમાં નહીં, પણ તેના દ્વારા લેવાતા કાર્યમાં. આધુનિક ગીત ભાવના ઉછાળાની સાથે કામ પાડવાનું મૂળભૂત કાર્ય તો કરે જ છે, પણ પરંપરાગત ઢાળો હવે મૂળનાથી સાવ સામે છેડેના ભાવને, નિરૂપવા પણ પ્રયોજાય છેઃ વક્રભંગીવાળા તીખા વ્યંગ માટે, નર્મમર્મ સાધવા માટે, રોમૅન્ટિકના વિપર્યાસ માટે વગેરે. આ બધાં છંદસ્વરૂપોને બાજુએ મૂકીને માત્ર ચાલુ ગદ્યમાં કવિતા રચવાનું વલણ આધુનિક કવિતાની સૌથી વધુ ધ્યાન ખેંચતી નવીનતા છે. આથી આધુનિક ભાવજીવનની સંકુલતાને અભિવ્યક્ત કરવા માટે સમુચિત જણાતા શબ્દો, પ્રયોગો અને વાક્યરચનાઓને કશી જ બાંધછોડ વિના પ્રયોજવાની પૂરી અનુકૂળતા મળે છે. પણ સાથોસાથ, વિચારનાં અને વ્યવહારનાં જે વળગણો ગદ્યની સાથે સંળાયેલાં છે તેનાથી કવિતાના ગદ્યને મુક્ત કઈ રીતે રાખવું એ મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે. નિરૂપ્ય ભાવની તીવ્રતા, સૂક્ષ્મતા કે સંકુલતા થોડીક પણ ખંડિત થતાં કવિતાને ગદ્યાળુતામાં સરી પડતાં અટકાવનારું તત્ત્વ અછાંદસ સ્વરૂપમાં કયું? વિષય, ભાવદશા અને રચનાપદ્ધતિની દૃષ્ટિએ જોઈએ તો બિંબો, પ્રતીકો અને ઇંદ્રિયવ્યત્યયનો આશ્રય લઈને અસ્તિત્વવાદી મનોભાવવાળાં મુક્ત ચિંતનબિંદુઓ પ્રસ્તુત કરવા માટે, અથવા તો અસંગત અર્થવાળી પરાવાસ્તવવાદી કે અર્થરિક્ત રચના માટે અછાંદસ સ્વરૂપ વધુ અનુકૂળ જણાય છે. અછાંદસ રચનાના ગદ્યમાં કોઈક વિશિષ્ટ લય હોવાનો દાવો વારંવાર કરવામાં આવે છે, પરંતુ તેના સમર્થનમાં એક પણ ચોક્કસ હકીકત કોઈએ રજૂ કરી નથી. આવી રચનાઓમાં અર્થ અને ભાવને અનુસરીને લાંબીટૂંકી પંક્તિઓ રચવામાં આવે છે, અને રચનાનો પાઠ અર્થ અને ભાવની અભિવ્યક્તિને અનુરૂપ સરખા આરોહ-અવરોહ સાથે કરાય છે, તેથી તેમાં કોઈ લયનું તત્ત્વ આવી જતું નથી. લયનિષ્પત્તિ માટે એકંદરે અમુક નિયત સ્વરૂપના એકમનું નિયમિત આવર્તન થવું એ અનિવાર્ય શરત હોય છે, અને અછાંદસ રચનાઓમાં આવી કોઈ છાપ ઊપસતી હોવાનું પ્રતીત થતું નથી. આધુનિક કવિતામાં મુક્ત સ્વરૂપના માત્રાછંદ અને અછાંદસ સ્વરૂપના યથોચિત મિશ્રણનો પણ ઉપયોગ થાય છે. કવિતારચનાની પરંપરાઓમાં છંદની જ્યારે રૂઢિ બની જાય, ત્યારે છંદનું કાર્ય વધતેઓછે અંશે માત્ર રચનાને ગદ્યથી જુદી કક્ષા પર મૂકવાનું, તેના શબ્દબંધના નિયંત્રકનું તથા લયબંધથી રચનાને રમણીયતાનો પુટ અર્પવાનું - ટૂંકમાં, અભિવ્યક્તિ થતા ભાવનું રૂપાળું વાહન બનવાનું જ હોય છે. પરંતુ આ ઉપરાંત છંદમાં કાવ્યના એક અત્યંત સૂક્ષ્મ ઘટકતત્ત્વ તરીકે પ્રવર્તવાની ક્ષમતા હોય છે, એ વસ્તુ આપણે ભૂલવાની નથી. જે રચનામાં છંદ એ રીતે પ્રયોજાયો હોય, તે રચનામાં તે બાહ્ય કે રૂઢ, યાંત્રિક તત્ત્વ ન રહેતાં વર્ણ, અર્થ, પ્રતીક વગેરેની ગૂંથણીની નિષ્પન્ન થતા ભાવને સઘન કે ધારદાર કરવાનું કાર્ય સાથે છે, અને તેના લયના અંતઃસ્ત્રોતથી રચનાને અવ્યાખ્યેય, અલૌકિક ઝાંય અર્પે છે. છંદની આ શક્તિને ધ્યાનમાં લઈએ તો કવિતા કરનારે ભૂલવું ન જોઈએ કે અછાંદસનો સાતમો કોઠો ભેદવા સુધી પહોંચવા માટે પહેલાં છંદના છ કોઠા ભેદવા અનિવાર્ય છે. કાવ્યાભિવ્યક્તિનું યુદ્ધ છંદના શક્તિશાળી આયુધનો ઉપયોગ કર્યા વિના ખેલનારે તે કેવડું મોટું જોખમ ખેડે છે એ બાબતમાં પૂરતા સભાન હોવું ઘટે. છંદોરચનામાં જે નવીન વળાંક પ્રગટ્યા છે તેથી કાવ્યકક્ષાની અભિવ્યક્તિનાં સાધનોનો આપણો પુરવઠો ઘણો વધ્યો છે, અને એક રીતે જોતાં, વાદાવાદીના વંટોળ કે ધુમ્મસ વિના આધુનિક કવિઓએ આ શાંતિમય ક્રાંતિ સાધી છે. પરંતુ સાધનોની શક્યતાઓને બરાબર પારખીને તેમનો વિનિયોગ થઈ રહ્યો છે ખરો, અથવા તો તેમનો કસ કાઢવા માટે ઘટતી સૂઝસમજ કેળવાઈ છે ખરી?-એ ભારે પ્રશ્ન પણ આપણી સામે અત્યારે ખડો છે.
કાવ્યની સર્જનપ્રક્રિયા
હરિવલ્લભ ભાયાણી
પ્રાસ્તાવિક
કાવ્યને ‘નિર્મિતિ’, ‘સૃષ્ટિ’ કે ‘રચના’ કહેવાની આપણી પરંપરા છે, તે જ પ્રમાણે કવિ ‘રચયિતા’ અને કાવ્યસંસારનો પ્રજાપતિ કહેવાયો છે. અત્યારે પણ કાવ્યનો આપણે ‘સર્જન’, ‘કૃતિ’ વગેરે નામે નિર્દેશ કરીએ છીએ, તો કવિનો ‘સર્જક’, ‘કર્તા’ વગેરે નામે. એટલું જ નહીં, સર્જનાત્મકતા એ કાવ્યનો–એટલે કે લલિત સાહિત્યિક રચનાઓનો (તેમ જ વ્યાપકપણે સર્વ કલાકૃતિઓનો) વ્યાવર્તક અને પ્રાણપ્રદ ધર્મ મનાય છે. તેનું આટલું મહત્ત્વ જોતાં એ સ્પષ્ટ છે કે ‘સર્જન’, ‘સર્જકતા’ ‘નિર્મિતિ’ વગેરેને માત્ર રૂપાળી ને પ્રશસ્તિવાચક, પણ અસ્પષ્ટ અને અનિશ્ચિત અર્થની સંજ્ઞાઓ તરીકે વાપરીએ તે ન ચાલે. કાવ્યતત્ત્વની વિચારણામાં સર્જન અને સર્જકતાના સ્વરૂપ અને પ્રક્રિયા વિશે પણ આપણે બને તેટલી સ્પષ્ટતા પ્રાપ્ત કરવી જોઈએ. સર્જનમાં કશુંક નવું ઉપજાવવાનો ભાવ રહેલો છે. સર્જન કરવું એટલે પહેલાં ન હતું તેવું, કશુંક અનેરું ઉત્પન્ન કરવું. કાવ્ય કે કલાકૃતિને સર્જન કહેવામાં, તેમાં કશુંક અપૂર્વ કે નૂતન, કશુંક પ્રત્યગ્ર ચેતનથી ધબકતું નિર્મિત થયાનો સંકેત છેઃ સાચી કલાકૃતિ અપૂર્વ હોય છે, અનન્ય કે અજોડ હોય છે. કલાકારની સર્જકતા એટલે તેની અપૂર્વ વસ્તુનું નિર્માણ કરવાની શક્તિ, અને સર્જનની પ્રક્રિયાને તપાસવી એટલે કલાકાર અપૂર્વ કે મૌલિક કૃતિ કઈ રીતે સિદ્ધ કરે છે તે તપાસવું. આ વિષય આધુનિક સમયમાં ઠીક ઠીક ચર્ચાતો રહ્યો છે. વિષય ઘણો જટિલ છે, અનેકમુખી છે, અને ચોક્કસ નિર્ણયો ઉપર પહોંચવા માટે જરૂરી એવા પુરાવા અને આધારભૂત સામગ્રી અનેક બાબતમાં અધૂરી અને નહિવત્ છે. છતાંયે તેનાં કેટલાંક પાસાંનું સ્વરૂપ તાર્કિક ચોક્કસાઈ પામવા લાગ્યું છે, અને સમગ્રપણે આ વિચારણામાંથી ધૂંધળાપણું, અસ્પષ્ટતા, તિલસ્માતીપણું દૂર કરવાની દિશામાં આગળ વધાય છે. અહીં સર્જનવ્યાપારનાં કેટલાંક પાસાંઓને લગતી સર્વસાધારણરૂપે થયેલી આધુનિક વિચારણાનું ટૂંકું તારણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યત્વે બિઅર્ડ્ઝૂલી અને ક્રીગરનો આધાર લીધો છે.
બિઅર્ડ્ઝૂલીની વિચારણા
વિષયની સ્પષ્ટ સીમાઓ આંકી, આગળની વિચારણાઓને લક્ષમાં લઈ, વિઅર્ડ્ઝૂલીએ સર્જનની પ્રક્રિયા પરત્વે કેટલાક ચોક્કસ મુદ્દા તારવ્યા છે. એટલે પ્રથમ આપણે તેનું વક્તવ્ય ટૂંકમાં જોઈએ.
વિષયની સીમા
પહેલાં તો આપણે જેની તપાસ કરવા માગીએ છીએ તેની સીમા બાંધી લઈએ. સર્જન એક ક્રિયા હોઈને ક્યારેક તેનો આરંભ થતો હોવાનો, અને ક્યારેક તેની સમાપ્તિ. આ બે બિંદુઓની સ્પષ્ટતા જરૂરી છે. દરેક કૃતિના સર્જનમાં કશુંક પહેલું આવે છે, પહેલાં દેખા દે છે. કશાક વિચાર, પ્રસંગ, લય, શબ્દ કે ટુકડાથી સર્જનની ક્રિયાનાં મંડાણ થાય છે. આનો વિવિધ રીતે સર્જનનું ‘બીજ’, ‘કોશ’, ‘અંકુર’, germ, nucleus વગેરે નામે નિર્દેશ થયેલો છે. બિઅર્ડ્ઝૂલી તેને incept - ‘પ્રારંભિક તત્ત્વ’ એવું નામ આપે છે. પ્રારંભિક તત્ત્વ ચિત્તમાં એકાએક સ્ફૂરે-ફૂટી નીકળે; અથવા તો કશી બાહ્ય વસ્તુમાંથી આકસ્મિક રીતે જ તે આવે; કોઈ અણધાર્યો અવાજ, દૃશ્ય કે આકૃતિ સર્જક્રિયાની આરંભક બની જાય. સર્જનની પ્રક્રિયા એટલે આવા પ્રારંભિક તત્ત્વથી લઈને કૃતિને છેલ્લો હાથ ફેરવાય ત્યાં સુધીનો ગાળો. કશુંક સૂઝ્યું છે એવા વિચારથી લઈને, ‘ચાલો, હવે પૂરું થયું’ એ વિચાર સુધીનો ગાળો. આ ગાળા દરમિયાન શું બને છે, કલાકૃતિ કઈ રીતે પ્રગટે છે અને ક્રમે ક્રમે વિવિધ ભૂમિકાઓ કે તબક્કાઓમાંથી પસાર થતાં તે કેમ ઘડાય છે તે આપણી તપાસનો વિષય છે.
સર્જનપ્રક્રિયા એકવિધ કે અનેકવિધ?
આ પ્રક્રિયા બધી કળાઓ માટે અમુક નિયત સ્વરૂપની જ છે? - સર્જનનો વ્યાપાર સર્વત્ર એક જ ઢંગનો હોય છે? કલાકાર, કૃતિ અને માધ્યમ અનુસાર સર્જનપ્રક્રિયાનું સ્વરૂપ અમુક અંશે ભિન્નતા તો ધરાવે જ. પણ કલાકૃતિઓ વચ્ચે કલાકૃતિ લેખે અમુક સામ્ય હોય, અને તેમના ભાવનમાં પણ અમુક સામ્ય હોય તો પછી તેમની સર્જનવ્યાપારમાં પણ અમુક સમાન ભાત હોવાનું માનવું સ્વાભાવિક છે. પણ આનો નિર્ણય સર્જનપ્રક્રિયાને તપાસીને જ થાય.
માહિતી માટેના આધાર
આ તપાસ માટે ત્રણ આધાર છેઃ કલાકારોના આ બાબતનાં વિધાનો, માનસશાસ્ત્રીઓની વિચારણા અને તત્ત્વજ્ઞોની વિચારણા.
કલાકારનાં વિધાનો
સર્જનપ્રક્રિયાને લગતી સૌથી વધુ મહત્ત્વની અને ઉપયોગી માહિતી આપણને કલાકારોની પાસેથી મળે છે. પણ તેમનાં વિધાનો અત્યંત તરંગી અને ઉટંગ હોઈને તેમનો અર્થ ઘટાવવો ભારે પડે છે. તેઓ આલંકારિક શૈલીમાં બોલે છે. કોઈ કલાકાર અનુભૂતિનો ‘અપચો’ કે ‘આફરો’ થતાં તેને કાઢવાની અનિવાર્યતામાં સર્જન વ્યાપારનાં મૂળ બતાવે છે. કોઈક વળી અચેતન માનસના ‘પાતાળઝરણમાં કવિ ડૂબકી લગાવતો’ હોવાનું જણાવે છે, તો કોઈક ‘કલ્પનાની શાળ’ની કે ‘કજળતા અંગાર’ની ઉપમા ધરે છે. આમ સર્જનપ્રક્રિયાને લગતાં કલાકારોનાં બ્યાન રસળતાં અને વિરોધી વિધાનોથી સભર હોય છે, એટલે તે સૈદ્ધાંતિક વિચારણા માટે કામ લાગે તેવાં નથી. પણ કલાકારોની કલાકૃતિઓની પૂર્વવર્તી રૂપરેખાઓ, મુસદ્દાઓ, તેમણે કૃતિમાં કરેલા સુધારાવધારા અને ફેરફારો સર્જનપ્રક્રિયાને સમજવા માટે અમૂલ્ય સામગ્રી પૂરી પાડે છે.
મનોવિજ્ઞાનના પ્રયાસ
કલાકારના અચેતન મનનો અભ્યાસ કરવાના મનોવિજ્ઞાને ઠીક ઠીક પ્રયાસો કર્યા છે, પણ સર્જનવેળા કલાકારનું ચિત્ત કેમ પ્રવર્તે છે તે વિશે તે કશા ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યું નથી. ‘ગેસ્ટાલ્ટ’ મનોવિજ્ઞાને આ દિશામાં કેટલોક પ્રકાશ પાડ્યો છે ખરો. પ્રયોગને આધારે પણ સર્જનપ્રક્રિયા સમજવાના મનોવૈજ્ઞાનિક પ્રયાસ થયા છે. એક પ્રયોગમાંથી (૧) પૂર્વતૈયારી (૨) ગર્ભપાક, (૩) પ્રેરણા અને (૪) પ્રપંચન (preparation, incubaation, inspiration, elaboration) એ ચાર સર્જનભૂમિકાઓને સમર્થન મળે છે. પણ હકીકતમાં તો આ ચારે ભૂમિકાઓ ક્રમશઃ નહીં, પણ ભેળસેળ રૂપમાં- ઘડીક સાથે સાથે, તો ઘડીક અનુક્રમે ચાલતી જણાય છે.
તત્ત્વજ્ઞોની ગૂંચવણ
કલાકારો અને મનોવિજ્ઞાનીઓની આ વિષયને લગતી વિચારણામાં જે અંદરની સૂઝ પ્રતીત થાય છે તેનું સંયોજન કરવાનો અને તેને આધારે વ્યાપક સિદ્ધાંત બાંધવાનો કોઈ તત્ત્વજ્ઞોએ ભાગ્યે જ પ્રયત્ન કર્યો છે. તેઓમાં પ્રત્યજ્ઞ કલાકૃતિનો આધાર છોડી દઈને અદ્ધર સિદ્ધાંત રચવાનું વલણ પ્રવર્તે છે. આવા કેટલાક મતો આ રહ્યા. (૧) કલાકાર ઇન્દ્રિયવેદનાને સહજ સ્ફુરણોમાં ફેરવતો હોય છે. (૨) તે દૈવી પ્રેરણાનું વાહન બનતો હોય છે. (૩) તે પ્રત્યક્ષ અનુભૂતિના કણોની નવેસરથી ગોઠવણી કરતો હોય છે, અગર તો (૪) તેમને ભાવમય કે ઇન્દ્રિયવેદ્ય રૂપમાં સાકાર કરતો હોય છે. (૫) તે કોઈ આદ્ય સ્વીકૃતિનાં નિગમનો તારવતો હોય છે. (૬) તે અસ્તિત્વનું પ્રામાણ્ય સમર્થિત કરતો હોય છે.
પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ
આ બધા અતિ મહત્ત્વાકાંક્ષી વાદોને બાજુએ રાખીને બે વાદોનો વિચાર કરવો ફળદાયી જણાય છે. સર્જનપ્રક્રિયાને લગતા આ બે વાદ તે (૧) પ્રેરકતાવાદ (Propulsive Theory) અને (૨) પ્રયોજનવાદ (Finalist Theory) પહેલા વાદ પ્રમાણે કલાકારને કલાકૃતિના નિર્માણમાં આરંભથી તે અંત સુધી કોઈક તત્ત્વ પ્રેરી રહ્યું હોય છે. તેને થયેલું કોઈ નૂતન અનોખું ‘દર્શન’ કે સાક્ષાત્કાર કે એકાએક થયેલી ભાવાનુભૂતિ એક પ્રેરક બળ બનીને નિર્માણક્રિયામાં દરેક પસંદગીનું, તેના દરેક પગલાનું નિયમન કરે છે. આમાં સર્જનક્રિયામાં દરેક પસંદગીનું, તેના દરેક પગલાનું નિયમન કરે છે. આમાં સર્જનવ્યાપારનું નિમાયક તત્ત્વ સર્જનપ્રક્રિયાની પૂર્વે વિદ્યમાન હોવાની માન્યતા છે. બીજા વાદ પ્રમાણે આવું નિયમન કોઈ પ્રારંભે થતી પ્રેરણા નહીં, પણ કલાકૃતિના અંતિમ પ્રયોજનનો કલાકારના ચિત્તમાં જે ખ્યાલ હોય છે તેનાથી થાય છે. જે સિદ્ધ કરવાનું છે-જે નિર્માણપ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય છે તે કલાકારના ચિત્તમાં કંડારાયેલું હોઈને રચના કરતી વેળા તેને દોરતું હોય છે. એક મતે કશુંક પૂર્વવર્તી બળ પાછળથી ધકેલે છે, બીજા મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે.
લાગણીનું સ્પષ્ટીકરણ
આમાં કોલિગ્વૂડ કહે છે તેમ કલાકાર આરંભમાં જે સર્જનાત્મક લાગણી અનુભવે છે તેને કૃતિમાં વ્યક્ત રૂપ આપવાનો તેનો પ્રયાસ હોય છેઃ આ લાગણી અસ્પષ્ટ અને ધૂંધળી હોય છે, અને સર્જનના વ્યાપાર દરમિયાન જ કલાકારો તેનું સ્પષ્ટ સ્વરૂપ પામી શકતો હોય છે. પણ લાગણીના સ્પષ્ટીકરણનો આ ખ્યાલ પોતે હજી અસ્પષ્ટ છે.
ગર્ભિત ગુણની ક્રમિક ગાઢતા
કૃતિને અનુલક્ષીને વાત કરીએ તો કલાકૃતિના આરંભના તબક્કામાં તેનો અમુક લાક્ષણિક ગુણ ઊંડે ઊંડે અતિશય આછાઝાંખા રૂપમાં કળાય છે, અને જેમ જેમ કલાકૃતિ આગળ રચાતી જાય છે, તેમ તેમ આ લાક્ષણિક ગુણને વધુ ઉત્કટ રૂપ પ્રાપ્ત થતું જાય છે- જાણે કે તેના પ્રકટીકરણને અનુલક્ષીને કૃતિનો ઘાટ ઘડાતો આવે છે.
ગતિની દિશા
કલાકાર કોઈક દિશાને નોંધીને ચાલતો જાય છે, જો કે તે તો લક્ષ્યનું નિશ્ચિત સ્વરૂપ હોતું નથી. ઘણા દાખલાઓ છે જેમાં આરંભ અમુક પરિણામ તરફ લઈ જનારો હોય અને કલાકૃતિ પૂરી થાય ત્યારે મૂળનાથી વિપરીત પરિણામ જ આવ્યું દેખાય. અમુક દિશાનું ઊંડે ભાન હોય છે, પણ નિશ્ચિતતા નથી હોતી એનો અર્થ એ કે કઈ દિશા ખોટી છે, જવા યોગ્ય નથી એની સર્જક આગળ સ્પષ્ટ સૂઝ હોય છે.
સર્જનની સ્વયંનિયામકતા
આનું તાત્પર્ય એટલું કે, વિન્સેટ ટોમસ કહે છે તેમ, કલાકૃતિનું સર્જન એક સ્વયં નિયામક (Self-corrective) વ્યાપાર છે. અમુક એક જ અપેક્ષા કે એક જ અંતિમ લક્ષ્ય માનીને તપાસ કરનારને માટે, કાલકાર સર્જનવ્યાપારનું નિયમન કઈ રીતે કરે છે તેનો ખુલાસો આપવાનું નહીં બને. દરેક સર્જનવ્યાપારનું પોતાની આગવી દિશા અને ગતિ નક્કી કરતો હોવાનું જ સ્વીકારવું પડશે. કૃતિનો જેટલો અંશ રચાયો હોય તેટલો તે તબક્કે આગળ રચાનારા અંશનો નિયામક બને છે - આગળ વધવાની કઈ શક્યતાઓ છે, કઈ કઈ દિશાઓમાં કેવાં કેવાં શક્ય પરિણામો સાથે જઈ શકાય છે તેનો નિર્ણય સર્જન દરમિયાન દરેક ક્ષણે, રચાઈ ચૂકેલા અંશને આધારે થતો હોય છે.
પ્રારંભિક તત્ત્વનો પ્રભાવ
પ્રારંભિક તત્ત્વ ગમે તે રૂપે આવેઃ તે માત્ર અમુક નિઃશબ્દ લય હોય, કોઈ વસ્તુ કે દૃશ્ય હોય કે ભાવ હોય. આ પ્રારંભિક તત્ત્વ આખા સર્જનવ્યાપાર દરમિયાન તેના ઉપર વર્ચસ ધરાવતું રહે છે એમ ચોક્કસપણે કહી શકાય નહીં. પણ આટલું તો સ્પષ્ટ છે કે એકવાર અમુક તત્ત્વ પ્રારંભિક તરીકે પસંદગી પામ્યું, એટલે તે પછીની પસંદગીઓની અમુક મર્યાદા બાંધવાનું, અમુક અંશે તેમનું નિયમન કરવાનું, પણ સમગ્ર રચનાવ્યાપાર દરમિયાન પ્રારંભિક તત્ત્વનું ચાલુ વર્ચસ હોવાનો સર્વત્ર પુરાવો મળતો નથી. પિકાસોના પ્રખ્યાત ચિત્ર ‘ગ્વર્નિકા’ની રૂપરેખાઓમાં પહેલેથી છેલ્લે સુધી અમુક સાતત્ય વરતાય છે, તો દોસ્તોએવસ્કીના ‘ઇડિઅટ’ની વિવિધ પૂર્વયોજનાઓમાંના પ્રારંભના ‘ઇડિઅટ’ અને અંતિમ ‘મિશ્કિન’નાં સ્વરૂપ વચ્ચે કશું સામ્ય નથી. ટૂંકમાં, કૃતિના એક તબક્કેથી બીજા તબક્કે રચનાવ્યાપારમાં કવિ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે એમ નથી જોતો કે ‘પોતે કહેવા માગતો હતો તે જ કહેવાયું છે?’ - પણ તે એમ જોતો જાય છે કે ‘જે હું કહી રહ્યો છું તે જ કહેવા માગું છું?’ એટલે જ વાલેરી કહે છે કે ‘દરેક પ્રથમ કક્ષાનો કવિ પ્રથમ કક્ષાનો વિવેચક પણ હોય જ છે’ - એટલે કે પોતાની કૃતિનો; બીજાની કૃતિનો તો હોય તો હોય. રુડોલ્ફ આર્નહાયૂમે પિકાસોના ‘ગ્વેર્નિકા’ના અધ્યયનને અંતે જે તારણ આપ્યું છે તે આ સંદર્ભમાં પ્રસ્તુત છે. તે એવા અર્થનું કહે છે કે એ ચિત્રના નિર્માણવ્યાપારમાં આરંભે રહેલો બીજરૂપ ભાવ તેના વ્યાપક તાત્પર્યની દૃષ્ટિએ સ્પષ્ટ હતો, પણ તેનાં વિવિધ પાસાંઓ અનિર્ણિત હતાં. આ ભાવ, તેને દૃશ્ય રૂપે પ્રકટ કરવાની વિવિધ શક્યતાઓ વડે જેમ જે કસાતો ગયો, તેમ તેમ તેનું અંતિમ સ્વરૂપ પ્રાપ્ત કરતો ગયો. અંતે જ્યારે કલાકારને, પોતાની આંખો અને હાથે જે સિદ્ધ કર્યું તે હવે પૂર્ણ છે એમ લાગ્યું, ત્યારે જ પોતાનું તાત્પર્ય શું હતું તે તે બરાબર પામી શક્યો.
સર્જનવ્યાપારની બે દશા
હકીકતે સર્જનવ્યાપારની સતત ઉત્તરોત્તર પ્રવર્તતી બે ‘દશાઓ’ હોય છે, જેમાં ચેતન અને અવચેતન પ્રવૃત્તિઓ ઘડીક એક તો ઘડીક બીજ એમ પ્રવર્તતી હોય છે. પ્રેરણાની કે અપૂર્વ નિર્માણની દશામાં નવા વિચારો અવચેતનમાં ઘડાઈને ચેતનામાં પ્રગટે છે. તો વરણીની દશામાં ચેતન, મન, અત્યાર સુધીમાં જે કાંઈ કામચલાઉ પસંદગી પામ્યું હોય તેની સાથેના મેળની દૃષ્ટિએ નૂતન વિચારોનો પુરસ્કાર કે તિરસ્કાર કરે છે.
ક્રીગરની વિચારણા
આ પછી આપણે આ વિષયમાં ક્રીગરના વિચારોનો પરિચય મેળવીએ. બિઅર્ડ્ઝૂલીની વિચારણાનાં કેટલાંક પાસાંને ક્રીગરની વિચારણા દ્વારા પુષ્ટિ મળે છે, તો કેટલીક બાબતમાં ભાર જુદો મુકાયો છે એ પણ ખરું. પણ પ્રારંભિક તત્ત્વથી અંતિમ પરિણામ સુધી પહોંચવામાં કૃતિનું માધ્યમ જે વિધાયક ભાગ ભજવે છે તેને ક્રીગરની વિચારણામાં ખાસ મહત્ત્વ અપાયું છે અને તે તેનો મૂલ્યવાન અંશ છે. ક્રીગરના કહેવાનું તાત્પર્ય અતિ સંક્ષેપમાં આ પ્રમાણે રજૂ કરી શકાયઃ
અનુભૂતિ અને સ્વરૂપ
કવિચિત્તમાં કવનક્ષમ ભાવનું ધૂંધળા, આકારહીન બીજ રૂપે સ્ફુરણ થાય ત્યારથી કવિની કલ્પનાશક્તિ કે ‘કારયિત્રી પ્રતિભા’ પ્રવૃત્ત થાય. અને એ બીજરૂપ લાગણી કે ભાવ શબ્દના માધ્યમ સાથેના આઘાતપ્રત્યાઘાતથી અને તે માધ્યમ દ્વારા જ વ્યાકૃત થતું, અંકુરિત થતું, ખીલતું અંતે કાવ્ય તરીકે પરિણમે. એક તરફ છે કવિચિત્તમાં સંચિત ‘અનુભૂતિ’, ભાવપિંડ, તો બીજી તરફ છે ભાષાપરંપરાના અને સાહિત્યપરંપરાના સંસ્કારો. કાવ્યનિર્માણ એટલે માત્ર પૂર્વવર્તી સંચિત ભાવોમાંથી અમુકને પ્રચલિત ભાષા અને પ્રચલિત રચનારીતિ સાથે સંયોજિત કરવાની ક્રિયા નથી. એમ હોય તો કાવ્યને ‘અ-પૂર્વ’ કૃતિ ન કહેવાય- એને સર્જન ન કહી શકાય. કાવ્યસર્જન એ કોઈ પૂર્વસિદ્ધ દ્રવ્યને નૂતન રૂપમાં ઢાળવાની વાત નથી. કાવ્ય પૂર્વસંચિત અનુભૂતિના ઘટકોની નવીન ગોઠવણી માત્ર નથી. સર્જનપ્રક્રિયા એટલે આકલન થઈ ચૂકેલા ભાવની સાથે અમુક સ્વરૂપ બંધબેસતું કરવું-એમ સ્વીકારવા જતાં, દ્રવ્ય અને સ્વરૂપનું દ્વૈત માનવાની આપત્તિ આવી પડશે, એટલે કે કલાકૃતિની અખંડતાને જાકારો દેવો પડશે- ખરેખર નિર્મિત થયા પહેલાં જ નિર્મિત થઈ ચૂકી હોવાનું અગડંબગડં વહોરવું પડશે. તેથી, કૃતિ સિદ્ધ થયા પહેલાની અવસ્થામાં-સાધ્યમાન અવસ્થામાં, પૂર્વસંચિત દ્રવ્યઘટકો અને સ્વરૂપઘટકોનું સહપ્રવર્તન હોય છે, તેઓ એકબીજાના નિયામક બનતા રહે છે, અને આવા સંવ્યવહારમાં જ રચનામાં નૂતન પ્રાણનો સંચાર થાય છે–એમ સ્વીકારવું અનિવાર્ય બને છે.
કૃતિની અપૂર્વતા
કાવ્ય કોઈ પૂર્વસિદ્ધ લાગણી, કે ભાવનું પરિમાર્જિત રૂપ હોવાનું કહી શકાતું નથી, પણ આનો અર્થ એવો નથી કે કાવ્ય એ શૂન્યમાંથી થતું સર્જન છે. કાવ્ય માટેનું ઉપાદાન અવશ્ય હોય છે. પણ આ ઉપાદાનનું કાવ્ય બનતામાં એવું રૂપાંતર અને દ્રવ્યાંતર થઈ ગયું હોય છે કે સિદ્ધ કૃતિને તદ્દન નૂતન કે અપૂર્વ વસ્તુ જ ગણવી પડે. આ જ વાતને બીજી રીતે મૂકીએ તો કવિચિત્તની અંદર ગયેલું જ્યારે તેમાંથી પાછું બહાર આવે છે, ત્યારે તે કશીક ધરમૂળની બાબતમાં જુદું જ બનીને બહાર આવે છે. સ્વીકૃત સામગ્રીમાં દ્રવ્ય તેમ જ સ્વરૂપની દૃષ્ટિએ કશુંક નવું જ ચિત્તની આગવી આંતરિક સ્વયંભૂશક્તિથી ઉમેરાય છે. એટલે જ તો જે સર્જન રૂપે સિદ્ધ થયું હોય તે પ્રતિનિધિરૂપ કે નમૂનારૂપ નહીં– ‘ટાયપ’ નહીં, પણ એકમેવાદ્વિતીયમ્ હોય છે–’યુનિક’ હોય છે. (માત્ર કાવ્યના જ નહીં, ઇતરકલાઓ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ વગેરે બધાં ક્ષેત્રોને લગતા સર્જનને આ વાત સમાન ભાવે લાગુ પડે છે.) કાવ્યમાં પ્રકટતી આ અપૂર્વતાને કારણે એ પણ સ્પષ્ટ છે કે સર્જનપ્રક્રિયાનો કશાકથી આરંભ થતો હોવા છતાં એ કોઈ પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે ચાલતી ક્રિયા નથી, અથવા તો કોઈ પૂર્વનિર્ણિત સાધ્ય માટેનું એ સાધન નથી. સર્જન પૂર્વનિયત નહીં પણ મુક્ત ક્રિયા છેઃ ‘મુક્ત’ એટલે સ્વાયત્ત અને સ્વયં સંચાલિત. નથી તે પૂર્ણપણે તેના ઉપાદાનથી નિયંત્રિત, કે નથી તે તેના ભાવિ પરિણામથી નિયંત્રિત. પ્રારંભનું ભાવબીજ કેમ વિકસશે, કેમ ઘડાશે અને અંતે કેવા ઘાટઘૂટ સાથે અવતરશે તેનો કવિની પોતાની પાસે પણ કશો પહેલેથી દોરેલો નકશો હોતો નથી-કવિચિત્ત કશા ‘બ્લૂ પ્રિન્ટ’ અનુસર કામ કરતું નથી. સર્જનવ્યાપાર દરમિયાનની કોઈ આગવી ક્ષણે જે ધારણા હોય તેનાથી કશુંક જુદું જ (અરે, ઊલટું જ) તે પછીની ક્ષણે નીપજવાની પૂરી સંભાવના સતત હોય છે.
સર્જનની સ્વયંપ્રયોજનતા
પણ આનો અર્થ એમ નથી કે સર્જનમાં કવિચિત્ત તદ્દન અતંત્રપણે કે અંધપણે વરતે છે, અથવા તો તે દિશાશૂન્ય, આશયરહિત, પરવશ કે અભાન હોય છે. કલાસર્જન એ સૂક્ષ્મ, સભાન નિયમનથી ચાલતો એક સ્વૈચ્છિક, સપ્રયોજન, સવિવેક ચિત્તવ્યાપાર છે. સર્જનપ્રવૃત્તિ પ્રયોજનહીન નહીં પણ પ્રયોજનપ્રેરિત છે. સપ્રયોજન હોવા સાથે કશું અન્ય તેનું પ્રયોજન નથી. તે પોતે જ પોતાનું પ્રયોજન - ક્રીડાની જેમ સર્જન સ્વયંપ્રયોજન (autotelic) છે, અને સર્જનનું પ્રયોજન સર્જનમાં જ અર્થહિત હોવાથી તેને ‘અંતઃપ્રયોજન’ (endotelic) પ્રવૃત્તિ પણ કહી છે. ભાવિ પરિમાણની આગળથી કશી ઝાંખી કે ભાળ હોવા છતાં સર્જન ક્રિયાનું દરેક પગલું કોઈક રીતે એ અદૃષ્ટ સાધ્યની એંધાણીને અનુલક્ષતું વરતાય છેઃ પુરસ્કાર તિરસ્કાર દરેક નિર્ણય પાછળ કશાક અકળ દૂરસ્થ લક્ષ્યનું ચોક્કસ ખેંચાણ કામ કરતું લાગે છે. નિર્માણક્રિયામાં જાણે કે પ્રયોજનને સાચવવાની દિશામાં ધક્કો વાગતો સતત અનુભવાય છે, અને ગોઠવાતા જતાં ચક્રોમાંથી ક્રમેક્રમે કશીક ભાત અને યોજના ઊપસતી આવતી પ્રતીત થાય છે.
માધ્યમની વિધાયકતા
કવિચિત પ્રારંભના કાવ્યબીજથી લઈને અંતે અવતરતી કાવ્યકૃતિ સુધીની યાત્રા તેની વિશિષ્ટ કલ્પનાશક્તિ કે પ્રતિભાને બળે પાર પડે છે. પણ તેમાં ખાસ સમજવાનું અને ધ્યાનમાં રાખવાનું એ છે કે કવિની કલ્પનાશક્તિ શબ્દ માધ્યમમાં અને શબ્દ માધ્યમ દ્વારા જ પ્રવૃત્ત થઈ શકે છે. કવિકલ્પના માટે કેવળ માનસિક, નિરાલંબ પ્રવર્તન શક્ય નથી. શબ્દના માધ્યમને અવલંબીને કલ્પના દ્વારા થતી ભાવની માવજત (અને ભાવ દ્વારા થતી પરંપરાગત શબ્દની માવજત) અપૂર્વ નિર્માણ માટેની વિવિધ ગુંજાશ કે દૈવતને ક્રમેક્રમે છતું કરતી અને સાધતી જાય છે. માધ્યમની કસોટીએ કસાતાં કસાતાં ભાવની આંતરિક શક્યતાઓનો આવિર્ભાવ કે પ્રપંચન સધાતું જાય છે, માધ્યમની પણ નવી ક્ષમતાઓ પ્રગટતી જાય છે. અને એમ મૂળના અસ્પષ્ટની સ્પષ્ટતા, અણઘડનો ઘાટ, વિચ્છિન્નની એકાત્મતા અને વિસંવાદમાંથી સંવાદ થતો આવે છે. આપણે એમ સ્વીકારીએ કે સર્જન દરમિયાન, રચના બીજા કોઈ સુધી પહોંચાડવા માટે કરવાનું પ્રયોજન નથી હોતું, એટલે તરત પ્રશ્ન ઉપસ્થિત થશેઃ ‘તો પછી કવિ પોતાની અનુભૂતિ, જેને પોતે તો જાણતો હોય અને બીજાને જણાવવા માગતો ન હોય તે અંગે કશી જ પ્રવૃત્તિ કોઈ શું કામ આદરે? પ્રવૃત્તિ કરવાની મોજથી જ પ્રવૃત્તિ?’ આ પ્રશ્નનો ઉત્તર આપણે સર્નજપ્રક્રિયા વિશે જે રીતે વિચાર્યું છે તેમાંથી મળી રહે છે. કેવળ પોતાને ખાતર જ હોય - ‘સ્વાન્તઃ સુખાય’ હોય, તો પણ કવિ માટે પોતાનું અમુક અંતર્ગત શબ્દોમાં મૂકવાનું અપરિહાર્ય છે, કારણ કે તે રીતે જ ભાવને અભિવ્યક્તિ આપી શકાય. અને તો જ પોતાના અંતર્ગતનું તે આકલન કરી શકે. ભાવનો તેના ઊંડાણ, સૂક્ષ્મતા, જટિલતા સહિત તો જ અવબોધ થઈ શકે, જો તે શબ્દના માધ્યમ દ્વારા વ્યાકૃત અને આકૃત બને. સર્જનપ્રક્રિયાને આ દૃષ્ટિએ જોવાનું એક અત્યંત મહત્ત્વનું પરિણામ એ કે તેમાં કવિની ‘અનુભૂતિ’ની અને કલ્પનાની જેવું જ તેના માધ્યમનું-ભાષાનું સ્થાન સમજવાનું છે. કાવ્યની ભાષા એ કાવ્યનું વાહન નથી, પણ તેનું માધ્યમ છે. ભાષા (એટલે કે શબ્દસંદર્ભ-એટલે કે અર્થસંદર્ભ, વર્ણસંદર્ભ અને લયસંદર્ભ) ‘અનુભૂતિ’ના કાચા દ્રવ્ય પર એક વિધાયક તત્ત્વનું કામ કરે છે. તો સાથોસાથ, ઉપર કહ્યું તેમ, એ ‘અનુભૂતિ’ પણ પરંપરાગત ભાષા અને રચનારીતિનું નવવિધાન કરે છે- તેને કોઈક અવનવો મરોડ બક્ષતી હોય છે. આ વાતનું એક અત્યંત મહત્ત્વનું ફલિત તે એ કે ભાવક કાવ્યકૃતિને - તેની અપૂર્વતાનો, તેના શબ્દબંધ દ્વારા જ પામતો હોવાથી, કાવ્યને સર્જન તરીકે મૂલવવામાં તેની ભાષાની અને રચનારીતિની તપાસને પાયાનું કર્તવ્ય ગણવું જોઈએ.
॥ કલાજગત ॥
‘હમ્પી’ — ડાયરીનું એક પાનું
વિવેક દેસાઈ
તુંગભદ્રા નદીનો કિનારો છે. શિયાળાની સવારના સાડા આઠેક વાગ્યાનો સમય હશે. દરેક નદીના કિનારા આટલા હૅન્ડસમ નથી હોતા. સૂર્યની ગોલ્ડન લાઇટમાં તુંગભદ્રા સ્વયંભૂ સ્થિત શિવલિંગો, હનુમાનની અડધી ડૂબેલી મૂર્તિઓ, પોઠિયાઓ તથા કિનારે ડાહ્યાડમરા બેસી રહેલા પથ્થરોને ‘કેમ છો’ કહીને જાણે એમને સહુને પવિત્ર કરી પોતે પણ પવિત્ર થઈ વહેતી જાય છે. એવામાં એક હાથી આવીને બરાબર શિવલિંગની બાજુમાં માથું ટેકવીને આખો સૂઈ જાય છે. માતાના ખોળામાં દીકરો માથું મૂકીને સૂએ ને, બિલકુલ એજ રીતે... નદી ને હાથી બંને લગભગ અડધો કલાક સુધી એકમેકને વહાલ કરે છે. ક્યારેક હાથી નદીનું પાણી સૂંઢમાં લઈને પોતાના શરીર પર છાંટીને જાણે શિવસ્તુતિ કરતો હોય એમ તીણો અવાજ કાઢે છે. આજુબાજુ લોકો આવે ને જાય છે. કેટલાંક નવપરિણીત યુગલો પગનો પંજો તુંગભદ્રામાં બોળીને હાથમાં હાથ ઝાલીને ઊભાં છે. એ લોકો હાથી, નદી, શિવલિંગ, પોઠિયાઓ બધું કુતૂહલપૂર્વક નિહાળે છે. એમના હાથની પકડ મજબૂત બનાવીને ચહેરા પર સ્મિત લાવીને એકબીજા સામું જોઈને પ્રેમની ભાષા ગણગણે છે. એવામાં એક ડોસો આવીને અબોટિયું પાણીમાં ઝબકોળીને સૂર્યને નમસ્કાર કરે છે. એનું શરીર ઉઘાડું છે. એ જનોઈને વારંવાર સરખી કરે છે, નવું સફેદ ધોતિયું પહેરીને શિવલિંગને પગે લાગીને ‘મહાદેવ’નો જયઘોષ કરીને નદી તરફ પૂંઠ કરીને ચાલતી પકડે છે. એ કેડેથી વાંકો વળી ગયેલો પણ એની શ્રદ્ધા અડગ છે. કિનારાની ઉપર બાંકડે બેઠેલાં ચાર પરદેશી કપલ એકબીજાના ખભે માથાં ઢાળીને સામે પાર જવા હોડીની રાહ જોતાં બેઠાં છે. અડધો કલાક થયો હોવા છતાં હાથી ઊભો થવાનું નામ લેતો નથી. એનો ‘મહાવત’ એની પીઠ પર બેસીને ચાની ચૂસકી લગાવી રહ્યો છે. ચા પીધા પછી એણે પ્લાસ્ટિકના કપને પાણીમાં ઝબકોળ્યો ને એમાં પાણી લઈને ‘ટકીલા શૉટ્સ’ની જેમ એક જ ઘૂંટમાં ગટગટાવીને કપ કિનારે મૂકેલી કચરાપેટીમાં નાખ્યો. સૂર્યને વંદન કર્યા ને હાથીને કંઈક કીધું... ને હાથી હળવેકથી ઊભો થયો ને ઉપર જ આવેલા ‘વિઠ્ઠલ’ મંદિરની વાટ પકડી. આ દરમિયાન અનેક લોકો પૂજા કરીને હાથી સાથે સૅલ્ફી પાડતા દેખાયા. થોડાક જ આગળ નાના પથ્થરના એક શેડમાં સફેદ વસ્ત્રોવાળા લોકોની અવરજવર હતી. પાણીમાં ટાલિયા છોકરા-યુવાનો નાક પર આંગળી દબાવીને ‘મહાદેવ’ કરતા ડૂબકી લગાવતા હતા. પથ્થરના એ કુદરતી શેડમાં ત્રણ-ચાર સ્ત્રીઓ બેઠી હતી. એ તમામની આંખોના ખૂણા ભીના હતા. બે-ત્રણ મહારાજો પિંડ બનાવી રહ્યા હતા. અહીં, મૃત્યુ પછીની વિધિ ચાલ્યા કરતી હશે એવું લાગ્યું. પરિવારજનને ગુમાવ્યાનો ખાલીપો અહીં ખચોખચ ભરેલો લાગતો હતો. અનેક લોકોની અહીં અવરજવર જોઈ. એ લોકો ડૂબકી લગાવીને કપડાં સૂકવતાં એનાથી એક અદ્ભુત લૅન્ડસ્કૅપ જન્મ લેતો હતો. હજુ સૂરજ તપ્યો ન હતો. આ બધી ઘટનાઓના સાક્ષી છે આસપાસ માઈલો સુધી પથરાયેલા પથ્થરો. કોઈ એકલા તો કોઈ બેકલા તો વળી કોઈ સંયુક્ત કુટુંબની જેમ ઊભેલા!! કેટલાક તો એકબીજાની જાણે અડોઅડ... ને કેટલાક તૂટી પડેલા પણ ખરા... કેટલાક નાનાં-નાનાં ટાબરિયાં જેવા... જન્મથી મૃત્યુ સુધીની તમામ અવસ્થાઓ તમે જો નોંધી શકતા હોવ તો આ પથ્થરોમાંથી નોંધી શકો એટલું બધું વૈવિધ્ય... ને ચારે બાજુથી એણે જાણે તુંગભદ્રાને ઘેરી લીધેલી હોય એવું લાગે. વળી, નાની ગુફાઓ પણ ખરી. કેટલાંક મંદિરોય પથ્થરની ઉપર!! કંઈ કેટલાંય મંદિરો, ગુફાઓ ને રામાયણકાળને જોડતી કેટલીય લોકવાયકાઓ સાથેનું આ પથ્થરિયું નગર એટલે ‘હમ્પી’. દક્ષિણની ‘કાશી’ કહેવાતા આ શહેરને...નગરને નજીકથી જોતા નામ સાર્થક લાગે છે. ભગવાન શિવનો અહીં વાસ છે એવું લાગ્યા કરે. અહીંની શાંતિ તમને અંદરથી શાંત કરી દે છે. મનનો ખળભળાટ અહીં તુંગભદ્રાના વહેણમાં વહી જાય છે. અહીંના પથ્થરો તમને બોલાવે છે. સ્પર્શ કરવા મજબૂર કરે છે ને એને સ્પર્શ કરવાથી શરીરમાં એક લખલખું પસાર થઈ જાય છે. અહીંનાં મંદિરોને તેનું સ્થાપત્ય તમને રામાયણકાળ તરફ દોરી જાય છે. મંદિરના પિલરો પર કોતરાયેલી ઘટનાઓને તમે લિપિ સમજીને વાંચી શકો એટલી સ્વાભાવિક છે. અવર્ણનીય છે. પ્રેમ થાય, બ્રેકઅપ થાય, લગ્ન થાય કે મૃત્યુ થાય... દરેક ઘટના પછી અહીં આવવાથી શાંતિ તમને ઘેરી વળશે જ... જૂન મહિનાની વાત છે. અહીં પથ્થરો સાથે વાદળો વાત કરવા આવ્યાં છે. હું દૂર ઊભો ઊભો એમની વચ્ચેનો સંવાદ સાંભળવાનો પ્રયત્ન કરી રહ્યો છું ને એટલામાં ધોધમાર વરસાદ તૂટી પડે છે. ને એક વાંકા વળેલા પથ્થરની નીચે હું ગોઠવાઈ જાઉં છું. ઝાપટું તરત શમી જાય છે. પાછો ઉઘાડ નીકળે છે. સવારના દસ ને પિસ્તાળીસ થઈ છે. કૅમેરાનું શટર પડે છે. વારંવાર પડે છે... હું સર્જનનો આનંદ લઉં છું ‘હમ્પી’ મારું એક મનગમતું નગર છે.
હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ | |
હમ્પી નગરનાં છાયાચિત્રો : વિવેક દેસાઈ
તબક્કાવાર આવતું રહેશે |
ઑડિયો રેકોર્ડિંગ સંકલન :
શ્રેયા સંઘવી શાહ
ઑડિયો પઠન:
અનિતા પાદરિયા
અલ્પા જોશી
કૌરેશ વચ્છરાજાની
ક્રિષ્ના વ્યાસ
ચિરંતના ભટ્ટ
દર્શના જોશી
દિપ્તી વચ્છરાજાની
ધૈવત જોશીપુરા
બિજલ વ્યાસ
બ્રિજેશ પંચાલ
ભાનુપ્રસાદ ઉપાધ્યાય
ભાવિક મિસ્ત્રી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
કર્તા-પરિચયો:
અનિતા પાદરિયા
પરામર્શક:
તનય શાહ
ઑડિયો એડિટિંગ:
પ્રણવ મહંત
પાર્થ મારુ
કૌશલ રોહિત
સાંભળવા અહીં ક્લીક કરો |
| » | ગોવાલણી | » | એક સાંજની મુલાકાત | |
| » | શામળશાનો વિવાહ | » | મનેય કોઈ મારે !!!! | |
| » | પોસ્ટ ઓફિસ | » | ટાઢ | |
| » | પૃથ્વી અને સ્વર્ગ | » | તમને ગમીને? | |
| » | વિનિપાત | » | અપ્રતીક્ષા | |
| » | ભૈયાદાદા | » | સાડાત્રણ ફૂટની ઘટના | |
| » | રજપૂતાણી | » | સળિયા | |
| » | મુકુંદરાય | » | ચર્ચબેલ | |
| » | સૌભાગ્યવતી!!! | » | પોટકું | |
| » | સદાશિવ ટપાલી | » | મંદિરની પછીતે | |
| » | જી’બા | » | ચંપી | |
| » | મારી ચંપાનો વર | » | સૈનિકનાં બાળકો | |
| » | શ્રાવણી મેળો | » | શ્વાસનળીમાં ટ્રેન | |
| » | ખોલકી | » | તરસના કુવાનું પ્રતિબિંબ | |
| » | માજા વેલાનું મૃત્યુ | » | સ્ત્રી નામે વિશાખા | |
| » | માને ખોળે | » | અંધારી ગલીમાં સફેદ ટપકાં | |
| » | નીલીનું ભૂત | » | ઇતરા | |
| » | મધુરાં સપનાં | » | બારણું | |
| » | વટ | » | ત્રેપન સિંહ ચાવડા જીવે છે | |
| » | ઉત્તરા | » | બદલી | |
| » | ટપુભાઈ રાતડીયા | » | લીલો છોકરો | |
| » | લોહીનું ટીપું | » | રાતવાસો | |
| » | ધાડ | » | ભાય | |
| » | ખરા બપોર | » | નિત્યક્રમ | |
| » | ચંપો ને કેળ | » | ખરજવું | |
| » | થીગડું | » | જનારી | |
| » | એક મુલાકાત | » | બદામી રંગનો કોટ અને છત્રી | |
| » | અગતિગમન | » | ગેટ ટુ ગેધર | |
| » | વર પ્રાપ્તિ | » | મહોતું | |
| » | પદભ્રષ્ટ | » | એક મેઈલ |