સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કાવ્યપરીક્ષાનું વસ્તુલક્ષી ધોરણ કયું?

કુંતકના આ વિચારો આકર્ષક છે પરંતુ એ તો સ્પષ્ટ છે કે કવિવ્યાપાર કે તદ્વિદાહ્લાદકારિત્વ એ કાવ્યપરીક્ષાનાં વસ્તુલક્ષી ધોરણો ન બની શકે. એમાં આત્મલક્ષિતાને ઘણો અવકાશ છે. કવિવ્યાપાર કાવ્યરચનામાં પ્રતિબિંબિત થવો જોઈએ અને તદ્વિદાલાકારિત્વનું કારણ પણ કાવ્યરચનામાં શોધવાનું હોય છે. એટલે અંતે આપણે કાવ્યના રચનાગત વૈશિષ્ટ્યો આગળ જ આવીને ઊભા રહેવાનું થાય છે. કાવ્યપરીક્ષાનું આ જ વસ્તુલક્ષી ધોરણ બની રહે છે. વક્રતાના પ્રકારો દ્વારા કુંતકે આ વસ્તુલક્ષી ધોરણ જ પ્રસ્તુત કર્યું છે અને એ જ એના ગ્રંથનો ઘણો મોટો ભાગ રોકે છે. કવિવ્યાપાર અને તદ્વિદાહ્લાદકારિત્વ એ સમગ્ર કાવ્યઘટનાના બે મહત્ત્વના છેડા છે અને એ આપણા ધ્યાનમાં બરાબર રહેવા જોઈએ. પણ એ બેની વચ્ચે જેનું નક્કર અસ્તિત્વ છે તે કાવ્યરચનાની તપાસનું કાવ્યપરીક્ષામાં ઓછું મૂલ્ય આંકવાની ભૂલ ન થવી જોઈએ.