સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/પોતીકા કાવ્યશાસ્ત્રની આવશ્યકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

પોતીકા કાવ્યશાસ્ત્રની આવશ્યકતા

એટલે છેવટે સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું ચક્રવર્તી સામ્રાજ્ય સ્થપાય એવું કંઈ ઉદ્દિષ્ટ નથી. ઉદ્દિષ્ટ એટલું જ છે કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ક્ષમતા ચકાસાય અને એમાં જે કંઈ ક્ષમતાભર્યો વિવેચનવિચાર છે તે આપણી આજની વિવેચનપ્રણાલીમાં અંતર્ગત થાય. અંતે તો કોઈ પણ સાહિત્યે એનું પોતાનું વિવેચનશાસ્ત્ર નિપજાવવાનું હોય છે. એમાં અન્ય વિવેચનશાસ્ત્રો સામગ્રી આપે ને સહાયભૂત થાય, પણ પછી પોતીકું અને નવું વિવેચનશાસ્ત્ર નીપજવું જોઈએ. કેવળ ઉછીનાપણાથી વિવેચનનો વેપાર ન ચાલવો જોઈએ. પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એ આત્મસાત્ થઈને આવવા જોઈએ અને એમાં આપણું કેટલુંક પણ ઉમેરાવું જોઈએ. હજુ તો આપણા સાહિત્યે પોતાપણું પૂરેપૂરું પ્રાપ્ત કર્યું નથી, એ બાહ્ય પ્રભાવોથી ઘણું દોરાતું રહે છે. પણ પોતાપણા તરફની એની ગતિ ધીમીધીમી શરૂ થઈ છે. આ સંયોગોમાં પોતીકું ને નવું કાવ્યશાસ્ત્ર જલદી નીપજવાની આશા રાખી શકાય તેવું નથી, પણ આપણી દૃષ્ટિ એ તરફની હોવી જોઈએ. [1] મારો આ ઉદ્યમ પણ સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો નર્યો પક્ષપાત કરવા માટે નથી. પણ નવા કાવ્યશાસ્ત્રના નિર્માણમાં એનો પૂરો લાભ લેવાનું સૂચવવા માટેનો છે.


  1. ૪૪. જુઓ : “No serious effort has been made to demand a new poetics to go with the emergence of a new writing and critical awareness in respect of modern Indian literature in different Indian languages.” (ઇન્દ્રનાથ ચૌધરી, ઈસ્ટ વેસ્ટ પોએટિક્સ ઍટ વર્ક, પૃ.૩.)