સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સંપાદક - પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદક - પરિચય
Kirtida Shah.jpg

કીર્તિદા શાહ (જ. ૧૦ ડિસેમ્બર ૧૯૫૭) ગુજરાતી મધ્યકાલીન સાહિત્યનાં એક નોંધપાત્ર અભ્યાસી અને સંશોધક છે. તેજસ્વી વિદ્યાર્થી તરીકે એમ.એ. થયાં એ પછી તરત (૧૯૮૧થી) એ ગુજરાતી સાહિત્ય કોશ’ના પ્રકલ્પમાં સંશોધન- સહાયક તરીકે જોડાયાં. એ આખો દાયકો મધ્યકાલીન સાહિત્યનો સઘન પરિચય કેળવ્યો અને કોશવિદ્યાની ઝીણવટવાળી શિસ્તમાંથી પસાર થયાં. એનો લાભ જયંત કોઠારીના માર્ગદર્શનમાં એમણે અખાના ‘ચિત્તવિચારસંવાદ’ પર પી.એચ.ડી. કર્યું એમાં પણ થયો. એ પછી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયાં (૧૯૯૦) ને ૨૦૨૦માં અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયાં ત્યાં સુધી ને પછી આજ સુધી એક સાતત્યપૂર્વક એમણે સંપાદન-સંશોધનનાં મહત્ત્વનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એ પૈકી ‘મધ્યકાલીન કૃતિસૂચિ’ (૨૦૦૪), ‘અખાની કવિતા’નું અભ્યાસપૂર્ણ સંપાદન (ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૦૯), ‘મધ્યકાલીન ગુજરાતી જૈન પરંપરા’ (૨૦૦૫) વિશેષ નોંધપાત્ર છે. શામળની ‘નંદબત્રીસી’નું સંપાદન (૨૦૧૭) કરવા સાથે એમણે તાજેતરમાં મધ્યકાલીન ગુજરાતી બાલાવબોધનું સંપાદન (૨૦૨૩) તેમજ ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સંવાદકાવ્યો’ (૨૦૨૪)નું સંપાદન કર્યું છે એ, અપરિચિત રહી ગયેલાં સ્વરૂપોનો ઐતિહાસિક આલેખ આપનારું મહત્ત્વનું પ્રદાન છે. આ ઉપરાંત પણ એમણે કેટલાંક ઉપયોગી સંપાદનો આપ્યાં છે ને મધ્યકાલીન સાહિત્યવ્યાસંગનું સાતત્ય દાખવ્યું છે. ઈ.સ. ૨૦૨૦થી આજ સુધી ડો. કીર્તિદા શાહ ભારત સરકાર દ્વારા આયોજિત વિજ્ઞાન આદિ વિદ્યાશાખાઓના અભ્યાસક્રમો ગુજરાતીમાં રચવાની પ્રક્રિયામાં મુખ્ય તજજ્ઞ તરીકે કાર્યપ્રવૃત્ત છે.

(પરિચય - રમણ સોની)