સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશા-કુન્દનિકા/અંધારી રાતે દીપશિખા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          અનેક વાર એવું બને — કોઈ પુસ્તક, કોઈ લેખ, કોઈ ગદ્યખંડ, કોઈ કવિતા, ક્યાંક છૂટાંછવાયાં અવતરણ વાંચતાં સહસા થંભી જવાય. એમાંનો કોઈ વિચાર મનમાં એવો વસી જાય કે એમ થાય, આપણા રોજિંદા જિવાતા જીવનમાં જાણે ક્યાંક અજવાળું પથરાયું; ગૂંચાયેલા આડાઅવળા માર્ગ પર ચાલતાં હતાં ત્યાં એક સ્પષ્ટ સુનિશ્ચિત દિશા મળી. કશુંક ગહન, કશુંક સૂક્ષ્મ-સુંદર વિચારતત્ત્વ સામે આવતાં હૃદય રણઝણી ઊઠે. એમ થાય કે આગળ વધવા માટેની કેડી મળી, રસ્તો અંધારો હતો ત્યાં દૂરથી દીવો દેખાયો. આંતરયાત્રામાં કંઈક સહાય મળી, એક નવીન આનંદની પિછાણ થઈ. આનંદ અને ચિંતનનાં અજવાળાં વેરતાં આવાં વિચારતત્ત્વોનો સંગ્રહ છે : ‘ઝરૂખે દીવા’. કેટકેટલાં પુસ્તકો, સામયિકો, લેખો વાચનમાંથી પસાર થયાં છે! કેટકેટલી જ્ઞાનગંભીર વાણીના મનમાં પડઘા પડ્યા છે! કશુંક સુંદર જોયું-સાંભળ્યું હોય તો તરત અન્યને તેમાં સહભાગી બનાવવાની ઇચ્છા થાય; મેઘધનુષ દેખાય કે બીજાને બૂમ પાડીને જોવા બોલાવીએ, તેવું જ કંઈક થયું આ સંગૃહીત સાહિત્ય ફરી જોઈ જતાં. એમ થયું કે આમાં તો ખૂણેખાંચરેથી વીણી વીણીને દીવાનાં અજવાળાં ભર્યાં છે; તે પ્રકાશ બધા સમક્ષ ધરવો જોઈએ. કવિ કાલિદાસના મહાકાવ્ય ‘રઘુવંશ’માં ઇન્દુમતીસ્વયંવરનું વર્ણન છે. દરબારમાં, વરણ માટે એકત્રિત થયેલા રાજાઓ પાસેથી ઇન્દુમતી પસાર થાય છે ત્યારે તે કેવી લાગે છે? જાણે અંધારી રાતમાં એક દીપશિખા સંચરતી હોય! ‘ઝરૂખે દીવા’માં સંગૃહીત થયેલો એક એક વિચાર તે જાણે દીપશિખા જેવો છે. મનના અંધારા ખૂણાને, જીવનના અંધારપથને તે પ્રકાશિત કરે છે. દીપશિખા જેવી આ વાણીના પ્રકાશમાં બધાંને સહભાગી બનાવવાની ઇચ્છાથી આ પુસ્તક તૈયાર થયું છે. ઝરૂખામાં મૂકેલા દીવા ઘરને તો અજવાળું આપે, રસ્તા પર પણ અજવાળું વેરે અને અંધારી રાત્રમાં માર્ગ પર દૂરથી ચાલ્યા આવતા યાત્રીનાં પગલાંમાં બળ પૂરે, તેમ આ વચનોએ મારા મનને ઘણું બળ ને અજવાળું આપ્યાં છે. વાંચનારને પણ આપશે એવી શ્રદ્ધા. [‘ઝરૂખે દીવા’ પુસ્તક : ૨૦૦૧]