સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઈશ્વર પેટલીકર/કામમાં સુવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          કહેવાય છે કે માણસ વહાલું નથી, પણ તેનું કામ વહાલું છે. પરંતુ એ કામેય કેવી રીતે થાય છે અને તેમાંથી કેવી સુગંધ ફેલાય છે તેની ઉપર વહાલનો આધાર હોય છે. કોઈ આવીને બારણે ઘંટડી મારે છે. બારણું ઉઘાડતાં એ પૂછે છે : ફલાણાભાઈ છે? ‘ના’નો ટૂંકો જવાબ આપવાથી કામ પતી ગયું લાગે. પરંતુ એ જવાબ સુગંધ વિનાનો ગણાય. એને બદલે કોઈ જવાબમાં કહેશે : “માફ કરજો, તમારે ધક્કો થયો. એ તો બહાર ગયા છે, પણ અંદર આવોને! તમને વાંધો ન હોય તો શું કામ હતું તે જણાવો, તો એ આવશે કે તરત તમારો સંદેશો આપીશ. ચિઠ્ઠી મૂકી જવી હોય તો તમારી બાજુમાં જ કાગળનું પેડ અને પેન છે.” અને આવનાર વ્યક્તિ કામ જણાવીને વિદાય થાય ત્યારે ઘરનું માણસ કહેશે : “એ આવશે કે તરત સંદેશો આપીશ. આવજો!” અને જનાર વ્યક્તિ ફળિયું ઓળંગી જાય પછી જ એ બારણું બંધ કરશે. આટલાથી એ કામ પૂરું થઈ જાય છે, તેવું પણ નથી. ઘરના એ સભ્ય બહારથી આવે ત્યારે પેલા મુલાકાતીની ચિઠ્ઠી તરત આપવી જોઈએ. અગર મોઢે સંદેશો કહ્યો હોય તો સમજફેર ન થાય તેમ વિગતથી તે જણાવવો જોઈએ. કામ કરીને સૌને જીતી લેવાનાં છે. પણ કેવળ કામથી લોકો જિતાતા નથી. એ કામ કેવી ચીવટથી અને વિવેકપૂર્વક આપણે કરીએ છીએ, કામમાંથી સંસ્કારની સુગંધ કેવી ફેલાય છે, તેની ઉપર એ જીતનો ઘણો આધાર રહે છે. [‘ઊર્મિ-નવરચના’ માસિક : ૧૯૬૩]