સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/અમૃતસમી નવલકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          બંગાળના ભાગલા પડ્યા. રવીન્દ્રનાથે બંગભંગવિરોધી હિલચાલમાં ઉત્સાહથી ભાગ લીધો. ગીતો લખ્યાં, ગવરાવ્યાં. પણ એ દરમિયાન એમને અનુભવ થયો કે દેશને પરદેશીઓની ચૂડમાંથી છોડાવવા શરૂ થયેલ આ હિલચાલમાં બધું સમુંસૂતરું નહોતું. સોનું ઓછું ને ગિલેટ ઝાઝું હતું. ને તેઓ પાછા હઠી ગયા. લોકોએ તેમની ટીકાનિંદા કરી. તેમની દેશભક્તિ પર શંકાઓ થઈ. પણ કવિ તો ન ડગ્યા. ઊલટું, બધી ટીકા-નિંદા-શંકા વાગોળી-પચાવી અમૃતસમી નવલકથા ‘ઘરે-બાહિરે’ આપી કવિપદને સાર્થક કર્યું. ‘ઘરે-બાહિરે’ મોટી નવલકથા નથી. ‘યુદ્ધ અને શાંતિ’, ‘જીન ક્રિસ્તોફ’, ‘લા મિઝરેબલ’ મહાકાય કૃતિઓ છે. પણ આ નવલો જે તીવ્ર ભાવાનુભવ અને છેવટે ભાવશુદ્ધિ કરાવે છે, તેનાથી ‘ઘરે-બાહિરે’માં લગીરે ઓછો ઉત્કટ અનુભવ નથી. ઊલટું, જગતની આ મહાનવલો કરતાંય ક્યાંક ક્યાંક લાલિત્ય અને લાઘવમાં તે ચડી જાય છે. કથા દ્વારા જે બોધપાઠ આપ્યો છે તે છે પ્રેયને છોડી શ્રેયને પસંદ કરવા જતાં આવનારાં પરિણામનો; શીલને મૂકી શક્તિની પાછળ દોટ મૂકવા જતાં આવતી આફત પરંપરાનો. ગાંધીજીના સાધનશુદ્ધિના આગ્રહને જેણે યથાર્થ રીતે સમજવો હોય, તેને માટે ‘ઘરે-બાહિરે’થી કોઈ વધારે સહાયક કૃતિ નથી. મહાવિદ્યાલયના વર્ગોમાં, જેલમાં મેં તેનું પારાયણ કર્યું ત્યારે ત્યારે અંધરાષ્ટ્રવાદ, આત્મવંચના અને અનાસ્થાનાં પડને ઓગાળી નાખનારું રસાયણ તેમાં પ્રકરણે પ્રકરણે છે તેવો અનુભવ થયો છે.