સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લિયો તોલ્સતોય/શત્રુ જ કરી શકે તેવું —

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આપણા જમાનામાં શ્રીમંતવર્ગનાં બાળકોને અપાતી કેળવણી જોઈને મનમાં ત્રાસ છૂટયા વિના રહેતો નથી. આજે એ બાળકોમાં તેમનાં માબાપો, ખાસ કરીને માતાઓ, એબો અને દુર્ગુણોના કુસંસ્કારોનું જે સિંચન કરે છે તેવું તો બૂરામાં બૂરો શત્રુ જ કરી શકે, એમ મનમાં થઈ આવે છે. માબાપે કાળજી લઈ લઈને વંઠેલ કરી મૂકેલાં આ બાળકોના આત્મામાં શું શું ચાલી રહ્યું છે એ નીરખવાની કળા હોય તો એ દેખાવ — અને એથી વધારે તો તેનાં પરિણામો જોઈને દિગ્મૂઢ થઈ જવાય એવું છે. એ બાળકોનાં મનમાં સ્ત્રૌણપણા અને એશઆરામના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. મિતાહાર ને સંયમની ટેવો વિશે દુર્લક્ષ કરવામાં આવે છે એટલું જ નહીં પણ આ સદ્ગુણોની જડ જ ઉખાડી નાખવામાં આવે છે. કામ કરવાની, તથા ફળદાયક પરિશ્રમને સારુ આવશ્યક એવી ચિત્તની એકાગ્રતા, ખંત, સહનશક્તિ, ઉત્સાહ, ધ્યેયસિદ્ધિનો આનંદ વગેરે સદ્ગુણોની તાલીમ નથી અપાતી. એટલું જ નહીં, એદી થઈને પડ્યા રહેવાની ને પરિશ્રમ વડે પેદા થયેલી ચીજોને તુચ્છકારવાની આદત પાડવામાં આવે છે. તેના મનમાં જેટલા તરંગો ઊઠે એટલી ચીજો બગાડવી, ફેંકી દેવી, પૈસા ખરચીને ફરી વસાવવી, ને એ ચીજો કેવી રીતે બને છે એનો વિચાર સરખો ન કરવાની કેળવણી તેને અપાય છે. બીજા સર્વ સદ્ગુણોની પ્રાપ્તિ માટે અનિવાર્ય એવો સમજુપણાનો જે પ્રાથમિક સદ્ગુણ, તે પ્રાપ્ત કરવાની માણસની શક્તિ જ હરી લેવામાં આવે છે. (અનુ. ચંદ્રશંકર શુક્લ)
[‘ચૂપ નહીં રહેવાય’ પુસ્તક]