સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વલ્લભભાઈ પટેલ/બરફમાં રહેલો જ્વાળામુખી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હિંદુસ્તાનનું દુ:ખ આગેવાનના અભાવનું નથી, આગેવાનો અનેક થઈ પડ્યાનું છે, સિપાઈગીરીના અભાવનું છે.

*

લોઢું ગરમ જોઈએ, પણ હથોડાએ તો ઠંડા જ રહેવું જોઈએ. હથોડો ગરમ થઈ જાય તો પોતાનો જ હાથો બાળે.

*

હું નાતજાતને ભૂલી ગયેલો માણસ છું. આખું હિંદુસ્તાન મારું ગામ છે, અઢારે વરણ મારાં ભાઈભાંડુ છે.

*

બાળપણમાં આપણું ગંદું આપણી મા સાફ કરતી. એ જ રીતે હરિજનો આપણી માતાનું કામ કરે છે.

*

તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો? એ સ્ત્રીઓ કોણ છે? તમારી મા, બહેન, પત્ની. તમે એને ગુલામ પશુડી જેવી રાખી છે, એટલે એની ઓલાદ તમે પણ ગુલામ પશુ જેવાં રહ્યાં છો.

*

લાયક ઉંમરનાં છોકરા-છોકરીઓ પોતાની ઇચ્છામાં આવે ત્યાં લગ્ન કરે ત્યાં મા-બાપ આડે આવે તે અત્યાચાર ગણાય.

*

લાંબો વખત આરામ લઈને એકલું શરીર સાચવ સાચવ કર્યા કરવું, તેના કરતાં કામ કરતાં કરતાં થોડાં વરસ વહેલાં મરી જવાય તોય શું ખોટું?

*

નબળાનું રક્ષણ કરવું, એ રાજ્યનો ધર્મ છે. સબળા તો પોતાનું રક્ષણ કરી શકે છે, પણ જો નબળાનું રક્ષણ રાજ્ય ન કરે તો બીજું કોણ કરે?

*

વિરુદ્ધ વિચારનો પક્ષ જેમ નાનો હોય, તેમ તે પક્ષને વધારે વિનયથી સાંભળવાની જરૂર છે.

*

ઘણા માને છે કે મેં જે કર્યું તે મહાત્માજીથી ન થાત. પણ મારામાં મહાત્માજીનો એક હજારમો અંશ પણ હોત, તો મેં જે કંઈ કર્યું છે તેનાથી દશ ગણું કરી દેખાડત.

*

આપણે જે બોલીએ, તેમાં બળ હોવું જોઈએ. ખાલી નિંદા કરવાથી કાંઈ વળે નહીં. કેવળ નિંદાથી હાર્યો હોય એવા દુશ્મનનો એક્કે દાખલો જગતમાં નથી. નિંદાથી તો સામાવાળો નફ્ફટ થાય.

*

જે ખેડૂત મુશળધાર વરસાદમાં કામ કરે, ટાઢ-તડકા વેઠે, મારકણા બળદ સાથે કામ લે, તેને ડર કોનો? [‘સરદારવાણી’ પુસ્તકમાંથી સંકલન: મહેશ દવે]