સાહિત્યચર્યા/પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પરમેશ્વરનો પ્રતિસ્પર્ધી

અંગ્રેજી ચિત્રકાર ટર્નર એમનાં સંધ્યાનાં, સૂર્યાસ્તનાં ચિત્રો માટે જગપ્રસિદ્ધ છે. એક વાર લંડનમાં એમનાં આ ચિત્રોનું એક-વ્યક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ટર્નર પ્રદર્શન સ્થળ પર ઉપસ્થિત હતા. એક સન્નારીએ પ્રદર્શનનાં સૌ ચિત્રો જોયાં પછી કંઈક જુસ્સામાં અને ગુસ્સામાં પૂછ્યું : ‘Where is Mr. Turner?’ ટર્નર પાસે જ ઉપસ્થિત હતા. એમણે પોતાનો આત્મપરિચય પેલાં સન્નારીને આપ્યો. સહેજ પણ જુસ્સા કે ગુસ્સા વિના. અને કહ્યું, ‘I am Turner.’ અને પછી પૂછ્યું, ‘What can I do for you?’ પેલાં સન્નારીએ હજુ એટલા જ જુસ્સામાં અને ગુસ્સામાં પૂછ્યું, ‘Are sunsets really like this?’ ટર્નરે હજુ પણ જુસ્સા કે ગુસ્સા વિના કહ્યું, ‘No madame, they are not; but I wish they were.’ એક કલાકારના આત્મવિશ્વાસ અને આત્મસન્માનનો, એકસાથે એની નમ્રતા અને નિરાભિમાનતા તથા ગર્વ અને ગૌરવનો આ ઉદ્ઘોષ હતો. કલાકાર પ્રકૃતિનું અનુકરણ નહિ, સંસ્કરણ કરે છે.સર્જક સર્જનહારનો, પરમેશ્વરનો પ્રતિનિધિ નથી, પ્રતિસ્પર્ધી છે. ૧૯૯૯