સાહિત્ય પલ્લવ – ભાગ ૧/આજ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. આજ

આજ અંધાર ખુશબોભર્યો લાગતો,
આજ સૌરભભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી
પમરતી પાથરી દે પથારી. આજ૰
આજ ઓ પારથી ગંધને લાવતી,
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીથી
મહેકતી આવતી શી સુગંધી? આજ૰
ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું જેહના
મઘમઘાટે નિશા આજ ભારી?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે,
ક્યાં થકી સૂર કેરી ફુવારી? આજ૰
હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર? આજ૰
[‘બારી બહાર’માંથી]

સ્વાધ્યાય

૧. સાચાં ફૂલોને શાં શાં નુકસાન છે (બનાવટી ફૂલોનીસરખામણીમાં)? અને લાભ શા શા છે?
૨. તમને ગમતી કડી સવિસ્તર સમજાવો.
૩. ‘આજ’ મોઢે કરો. એના શબ્દોમાંથી સંગીત-એટલે કે સુરાવટ-તમને મળે છે?
૪. ‘બનાવટી ફૂલ’ ઉપર નિબંધ લખો.