સાહિત્ય પલ્લવ – ભાગ ૨/નામ વિષે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. નામ વિષે

શામળ

ધનજી ઉવાણે પાય, ભૂપ ભીખંતો દીઠો;
સૂરજી ન દેખે આંખ, બોલતો કડવું મીઠો;
વ્યાજ ભરે રણછોડ, કામ કલ્યાણ જ કરતો;
અવિચળ ચળ્યા અપાર, દીઠો અજરામર મરતો;
હીરો, માણેક, મોતિયો, રતનિયો કથીર દેખે નહિ:
કવિ શામળ કહે, સંસારમાં કારણ નામ રહ્યું કહીં?
દીઠા અમર મરંત, નાના કાંઈ દીઠા ઘરડા;
નાગો પહેરે વસ્ત્ર, વાઘ સિંહ કૂતરે કરડ્યા;
પર્વત ફરે પરદેશ, દીઠો મંગળને દુઃખિયો;
સંતોખી અદકું ખાય, કાસદું કરે છે સુખિયો :
દયાચંદમાં દયા નહિ, ખુશાલ કહીં રોતા ફરે :
શામળ કહે, નામ પનોતિયો, કંઈ લાખ કુંવારા મરે.
કુબેર નામ કહેવાય, ખજાને દીઠા ખાલી;
કરે ધર્મો બહુ પાપ, ન્યાલ આવે ઘર ઘાલી;
વહાલો રાખે વેર, ઝેર જેવો તે મીઠો.
જોગી કરે વેપાર, ભોગી ભીખંતો દીઠો;
ઘેલો જાયે છેતરી, બળિયોજી હારી જશે;
રૂડા કંઈ ભૂંડા કહું : શામળ કહે, નામે શું થશે?
હાથી નામ કહેવાય, બીએ ઉંદરને સાદે;
કપૂર કાળો હોય, શામળો સુંદર વાદે;
રૂપો હોય કરૂપ, ભૂષણમાં દૂષણ ઝાઝાં;
કૃપાલ રાખે ફૂડ, ભૂપત વજાડે વાજાં;
આશા ઈચ્છા ઓલગ કરે, કલંક નિર્મળ શિર ચડે;
ફોગટ ફરે કંઈ જોઈતા : શામળ નામને શું રડે?

સ્વાધ્યાય

૧ અખાની છેલ્લી લીટીમાં ‘સઘળે સરખો રામ’ એમ કહ્યું છે, અને શામળ છેલ્લી લીટીમાં સૌને સરખાં ગણતાં મહાપાપ લાગે એમ કહે છે. આ બંને અભિપ્રાય સરખાવો અને તપાસો.
૨. ‘નામ’ ઉપર નિબંધ લખો.