સુદામાચરિત્ર — પ્રેમાનંદ/કડવું 8

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું 8

[પ્રસ્તુત કડવાંમાં સુદામા પર ઓળઘોળ થયેલા કૃષ્ણ તેમને ઈશ્વરની જેમ ઉપાસે છે. બીજીબાજુ કૃષ્ણના વૈભવથી મૂંઝાયેલો સુદામો પોતે લાવેલા તાંદુલ છુપાવે છે. આ કડવાંની ‘ચંમર કરે છે ચક્રપાણિ’ જેવી પંક્તિમાં માત્ર અલંકારનો ચમત્કાર જ નથી, પણ હંમેશ હાથમાં ચક્ર ધારણ કરનાર આજે જેમને ચામર ઢોળવા બેઠા છે એવા સુદામાના વિરલ ભક્ત-ચરિત્રનો મહિમા છે.]


રાગ-સોરઠી
ભક્તાધીન દીનને પૂજે, દાસ પોતાનો જાણી;
સુખશૈયા પર ઋષિને બેસાડી ચંમર કરે ચક્રપાણિ રે. ભ01

નેત્રસમસ્યા નાથે કીધી, આવી અષ્ટ પટરાણી;
મંદમંદ હસે સત્યભામા, આઘો ઘુંઘટ તાણી રે.          ભ02

કનકની થાળી હેઠી માંડી, રુક્મિણી નાંખે પાણી;
સુદામાનાં ચરણ પખાળે, હાથે સારંગપાણિ.          ભ03

જેના નાભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગ પળમાં કીધું;
જેણે મુખમાં જગત દેખાડ્યું માતાનું મન લીધું રે.          ભ04

વિશ્વામિત્ર સરખા તાપસને દોહલે દર્શન દીધું;
તેણે સુદામાના પગ પખાળી, પ્રીતે પાદોદક પીધું રે.          ભ05

ઓઢવાની જે પીત-પિછોડી, લોહ્યા ઋષિના પાય;
ઊભા રહી કર વીંજણો ગ્રહીને, વિઠ્ઠલ ઢોળે વાય રે.          ભ06

ષોડશ પ્રકારે પૂજા કીધી, અગર ધૂપ ધુમાય;
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખ આંસુ થાય.          ભ07

થાળ ભરી વૈદર્ભી લાવ્યાં ઘૃતપક્વ પકવાન;
શર્કરા સંયુક્ત ઋષિને કરાવ્યાં પયપાન રે.          ભ08
શુદ્ધાચમન તંબોળ ખવરાવ્યાં, ધરી પ્રેમ શામળવાન;
વાધ્યું તે પ્રસાદ પ્રમાણે, આરોગ્ય ભગવાન રે.          ભ09

જે સુખ આપ્યું સુદામાને, તે હરિ બ્રહ્માદિકને ના’પે;
ફરી ફરી મુખ જુએ મુનિનું, આનંદ મુકુંદને વ્યાપે રે.          ભ010

સુદામાને ચિંતા મોટી, રખે દેખે કાયા કાંપે;
પેલી ગાંઠડી તાંદુલ તણી તે, જંઘા નીચે લઈ ચાંપે રે.          ભ011

વલણ
જંઘા નીચે ચાંપે ઋષિ, ગાંઠડી તાંદુલ તણી;
પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, જાણ્યા તણી ગત્ય છે ઘણી.          ભ012