સોરઠી બહારવટીયા - 2/૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આજે વજેસંગ મહારાજના રાજનગરમાં હાદા ખુમાણનાં મોતની વધામણી આવી છે. મહારાજના અંતરનો ઉલ્લાશ ક્યાં યે માતો નથી. પોતાનો બાપ મરવાથી બહારવટીઓ જોગીદાસ હવે બધી આશા ગુમાવીને રાજને શરણે આવી ઉભો રહેશે, એવી આશાની વાદળી સામે મીટ માંડીને મહારાજનું દિલ અષાઢ મહિનાના મોરલાની માફક થનગનવા લાગ્યું છે. આજે હાદા ખુમાણને મારનાર સરબંધીઓને પહેરામણી કરવા માટે

  • ફુલધારે ઉતર્યા : તલવારની ધારે મર્યા

કચારી ભરાણી છે. સાચા વસ્ત્રોના સરપાવ, ભેટ દેવા માટેની તલવારો અને સાકરના રૂપેરી ખુમચા મહારાજની ગાદી! સન્મુખ પ્રભાતને પ્હોર ઝગારા મારે છે. તે વખતે કચારીમાં એક એવો આદમી બેઠો હતો કે જેને આ રંગરાગમાં ભાગ લેતાં ભોંઠામણનો પાર નથી રહ્યો. એ ક્રાંકચ ગામનો ગલઢેરો મેરામ ખુમાણ હતો, પોતે આજ અચાનક મહારાજને મળવા આવેલ છે અને એ પોતાના જ કુટુંબી હાદા ખુમાણના મોતના ઉત્સવમાં ન છૂટકે સપડાઈ ગયો છે. પણ એને ક્યાં યે સુખચેન નથી. પોતે એકલો છે તલવારે પહોંચે તેમ નથી. તેથી એણે આખી મજલસને તર્કથી ધુળ મેળવવાનું નકી કર્યું છે. કટોકટીની ઘડી આવી પહોંચી છે. “લાવો હવે પહેરામણી!” મહારાજે હાકલ કરી. ખુમચા ઉપરથી રૂમાલ ઉપાડ્યા. ચારણોએ દુહા લલકાર્યા. ત્યાં તો મર્માળી ઠાવકી વાણીમાં મેરામણ ખુમાણ બોલી ઉઠ્યા : “વાહ! વાહ! વાહ રે ભણેં, કાઠી તાળાં ભાગ્ય! ભારી ઉજળાં ભાગ્ય!” “કેમ મેરામણ ખુમાણ! કોનાં ભાગ્ય?” ઠાકારે પૂછ્યું. “બીજા કોનાં બાપ હાદા ખુમાણનાં!” “કેમ?” “કેમ શું? એક સો ને બાર વરસની અવસ્થા : હાથે કંપવા : પગે સોઝા : આંખે ઝાંખપ : કાયાનો મકોડે મકોડો કથળી ગયેલ : આવી દશામાં જો બચાડો ભાવનગરની કેદમાં જીવતો આવ્યો હોત તો કેવા બુરા હાલ થઈ જાત? પાંચે દીકરાને બહારવટાં મેલી દઈ, મ્હોંમાં તરણું લઈ આફરડા બાપની સંભાળ લેવા સાટુ થઈને મહારાજને શરણે આવવું પડત. નીકર મલક વાતું કરત કે બાપ બંદીખાને સડે છે ને દીકરા તો બહાર મોજું માણે છે! પણ હવે ઈ માયલું કાંઈ રહ્યું? હવે તો નિરાંતે પાંચે જણા ભાવનગરનાં અઢારસેં' ઉજ્જડ કરશે. માટે સાકર તો આજ વ્હેંચે એના દીકરા, કે સાવઝ પાંજરેથી મોકળા થયા!” આખી કચારી સાંભળે એ રીતે આ શબ્દો બોલાયા! “સાકર પહેરામણીના થાળ પાછા લઈ જાવ!” એટલું કહીને મહારાજે ઝટપટ કચારી વિસર્જન કરી નાખી અને પોતે તે જ ઘડીએ હાદા ખુમાણના શોક બદલ માથે ધોળું ફાળીયું બાંધી લીધુ.