સોરઠી સંતવાણી/પવન-ચરખો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પવન-ચરખો

કાયાના ઘડનારાને ઓળખો રે
રામ! અભિયાગતને નરખો રે
રામજીને બનાયા પવન-ચરખો.
જિયાં જુઓ તિયાં સરખો
રે રામ સરખો.
દેવળ દેવળ દેવે હોંકારા
પારખુ હોઈ નર પરખો રે
રામજીને બનાયા પવન-ચરખો.
ધૂડના ઢગામાંય જી, જીવો રામજી,
જ્યોત જલત હે;
અંધા મટ્યો કાલા દલ કો
રામ દલ કો.
એને અજવાળે રામ અગમ ન સૂઝ્યો તેને
ભેદ મળ્યો નૈ એના ઘરકો
રામજીને બનાયા પવન-ચરખો.
પાંચ તતવ કેરા જી, જીવો રામ જી,
સંઘ ચલાય જી
એકેક દોય દોય નરખો.
પવન પૂતળી રમે ગગનમાં
નૂરતે સૂરતે નરખે-ચરખો.
કે’ રવિ સાબ સંતો સદ્ગુરુ સાચા
મેં ગુલામ એના ઘરકો,
આ રે કાયાનો તમે ગરવ ન રાખજો!
ચરખો નહીં આ તો સરખો
રામજીને બનાયા પવન-ચરખો.

[રવિદાસ]

અર્થ : આ કાયારૂપી પવન-ચરખો જેણે બનાવ્યો છે તે રામને તમે ઓળખો. દેવો છે આ દેહરૂપી પવન-ચરખો! જ્યાં જુઓ ત્યાં સરખો. તમામ માનવદેહ એક જ સરખા ઘાટઘૂટના છે. અને એ પ્રત્યેક દેહ-દેવળમાંથી દેવના હોકારા સંભળાય છે. જે પારખી શકો તે પારખી લેજો. ને જુઓ તો ખરા આ લોકો! આ દેહ તો એક માટીનો ઢગલો છે, તે છતાં એની અંદર પણ જીવનની જ્યોત જલે છે. એ જ્યોત વડે કાળાશ ભર્યો દિલનો અંધકાર મટે છે, છતાં એ આપણી દેહવાસી જ્યોતને અજવાળે જે માનવીને અકળ અગમ ઈશ-તત્ત્વ ન દેખાયું, તેને તો પછી એ અગમ તત્ત્વના ઘરનો પતો મળી રહ્યો. પાંચ તત્ત્વોનો આ તો દરેક શરીર દ્વારા સંઘ ચલાવ્યો છે પ્રભુએ. ને એ સંઘમાં પવનની પૂતળીઓ ગગનમાં [ચિદાકાશમાં] રમી રહી છે. એ માનવીઓ! એ બધું તમે એકલક્ષ બનીને નીરખજો. ભજનિક રવિ સાહેબ પોતાના ગુરુ ભાણ સાહેબને ચરણે ભાખે છે કે, હું તો એ ગુરુ-ઘરનો ગુલામ છું. હે માનવો! આ કાયાનો ગર્વ ન કરશો. કારણ કે આ પ્રભુએ ઘડેલો દેહ-ચરખો કંઈ સદાકાળ સરખો નહીં રહે, ડખડખી જશે.