સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/બહારવટાંના જતિધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બહારવટાંના જતિધર્મ

પણ આ જોગીદાસની ઘટનાનું તો આડું ફણસવું ફાટ્યું. અમે તો રાવલ નદીમાં એક બીજા જ બહારવટિયાની મુલાકાતે આવેલા : અમે આવેલા વેજલ કોઠો જોવા : વેજલ કોઠો એટલે અમદાવાદના પાદશાહ મહમ્મદશાહ સામે બહારવટે નીકળેલા સરવૈયા બે ભાઈ જેસાજી-વેજાજીનું ગુપ્ત રહેઠાણ. આ બહારવટિયાઓની રોમાંચકારી વાતો મેં સાંભળી હતી. પાંચમી ‘રસધાર’માં ‘ભૂત રુવે ભેંકાર’વાળી કથાને અંતે જે બે ભાઈઓ માંગડા ભૂતના મહેમાન બની માયાવી પ્રેત-કિલ્લામાં રાત રહે છે, ને માંગડાને સદ્ગતિએ પહોંચાડે છે, તે જ આ જેસાજી-વેજાજી : એણે બહુ બહુ દુઃખો સહન કર્યાં હતાં : બહારવટાંમાં એણે યતિ જેવા આચાર પાળ્યા હતા : પંચકેશ વધાર્યા હતા : પોતાના અંગ પરની ઝીણી એક જૂ પણ નાખી ન દેતાં ડગલામાં રાખી હતી : કહે છે કે એ જેને બાન પકડી જતાં, તેને તોબાહ પોકારાવવા માટે ફક્ત આ ડગલા જ પહેરાવી દેતા! બંદીવાન એ ટોલાઓના દંશથી ત્રાહિ પોકારી જતો; જ્યારે બહારવટિયા તે નિરંતર પહેરી રાખતા. એથી વધુ વિસ્મયકારી દેહદમન અને આત્મભોગનું દૃષ્ટાંત તો જેસા-વેજાના કાકા ગંગદાસજી બહારવટિયાનું : એની પીઠ પર એક પાઠું પડી ગયેલું. પાઠામાં જીવડાં પડ્યાં : પણ જીવડાંને કાઢીને નાખી તો દેવાય નહિ : તેમજ પોતાનો દેહ પણ જીવડાં ખાઈ જાય એ બને નહિ : તેથી રોજ એ પાઠામાં ઘઉંના લોટના પીંડા ભરે : જીવડાંને એ લોટ ખવરાવી નભાવે : ને પોતે શરીર બચાવી બહારવટાં ખેડે : આખરે એ રઝળપાટમાં એક સમયે લોટ ન મળ્યો. જીવડાંની વેદનાનો પાર ન રહ્યો. પાછળ પાદશાહી ફોજ ગાજતી આવે છે : નાસી છૂટવા લાઇલાજ બનેલા ગંગદાસ કાકાએ પોતાનું માથું શત્રુને હાથ ન જાય તે નોકને ખાતર બેટા વેજાજીને હાથે પોતાનો શિરચ્છેદ કરાવ્યો, વગેરે બધું વૃત્તાંત તો સવિસ્તર ‘સોરઠી બહારવટિયા’ના બીજા ભાગમાં આપીશ.