સૌરાષ્ટ્રની રસધાર-4/અન્ય પ્રાંતોની પ્રેમકથાઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અન્ય પ્રાંતોની પ્રેમકથાઓ

સોરઠી લોકસાહિત્યની જે પ્રેમકથાઓ આપી છે, તેના જેવી જ કથાઓ અન્ય પ્રાંતોના લોકસાહિત્યમાં કંઠપરંપરા વડે જીવતી રહી ચાલી આવે છે. પ્રાંતપ્રાંત વચ્ચેની એ સુવર્ણ-કડીઓ જેવી જણાય છે. આંહીંની અને બહારની એ કથાઓ વચ્ચે કેટલીક સમાનતાઓ છે ને શા શા ભેદો છે તેના નિરીક્ષણ ખાતર આ બે કથાઓ આપી છે. ‘સુહિણી-મેહાર’ સિંધની અનેક કથાઓ માંહેની એક છે. એની અંદર જે દુહા મઢેલા છે તે ત્રણ-ત્રણ પંક્તિના બનેલા છે. આપણા ને એના દુહાની રચના લગભગ એક જ છે. માત્ર આપણી પહેલી પંક્તિને બદલે તેમાં બે પંક્તિ આવે છે. બે જ પંક્તિમાં આખા ભાવનો સમાવેશ કરવાની મુશ્કેલીનું આ રીતે ઠીક નિવારણ થાય છે, ને વળી રચના બગડતી પણ નથી. ‘સુહિણી-મેહાર’ તો લોકજીવનની સાચી બનેલી ઘટના છે, તેમ છતાં સિંધના સમર્થ કવિ-ફિલસૂફ શાહ અબ્દ લતીફને તો સ્થૂળ ઘટનામાં આધ્યાત્મિક અર્થનું દર્શન થયું. સુહિણી એટલે માનવ જીવાત્મા : મેહાર એટલે પ્રભુ : ને સુહિણીનો પરિણીત સ્વામી સાયર એટલે આ દુનિયા : એવા અર્થ ઘટાવી આ કવિએ પોતાના સુમિષ્ટ સુકોમલ પદ્યમાં, પ્રભુના મિલન માટે તલસતા આત્માના વલવલાટની ભક્તિભરી કથા રચી છે. એનું નામ પણ ‘સોહિણી-મેહાર’ છે, અને સિંધી વાઙમયમાં એ ઉત્તમ પંક્તિનું સાહિત્ય લેખાય છે. લોકકથાના સાહિત્યમાં એક અખંડ આધ્યાત્મિક રૂપક-કથાનું દર્શન થવું એ પણ સરસ વાત છે.