હરીશ મીનાશ્રુની કવિતા/કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર

કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર
શક્ય છે, આવી ચડ્યા હો આપણા ધામે કબીર

એ જ માણસ ભીડમાં એકાંત સાચવતો હશે
સત્ત્વથી સાહેબ જે ને હાડ ને ચામે કબીર

ગંધનો તાણો ને વાણો ગૂઢ મલયાનિલનો
જો, કમલપાંદડીઓ ગૂંથે એક જણ, નામે કબીર

નાવમાં ડૂબેલી નદીઓમાંથી એકાદી જડી
જેના આ બાજુના કાંઠે હું અને સામે કબીર

બીજની માયા વિદારી વૃક્ષમાં વિકસી ગયા
ને પછી હળવે બિરાજ્યા વડના વિસામે કબીર

મર્મસ્થળનાં સૌ રહસ્ય એમને અર્પણ હવે
તીર તાકીને ઊભાં છે આપણી સામે કબીર

તારા અપરંપાર ચ્હેરા તું ઘડી ભૂંસી શકે
તો પછી તારાં પ્રતિબિંબોમાં તું પામે કબીર

આજ દેખી મીન પિયાસી ફિરસે ગહરે પાની મેં
ઢાઈ અચ્છરકા વો યાદ આયા હૈ પૈગામે કબીર

શબ્દસ્નેહી જ્યાં સુધી વસતા હશે તારે નગર
આ ગઝલને ઘૂંટતા રહેશે નવા નામે કબીર