હરીશ મીનાશ્રુની કવિતા/ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી

ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી
તેજથી જે હોય તાલેવંત એ રાત જ જુદી

આભને ખરતા સિતારા : પાંદડાને પાનખર
એ સખીદાતાર, એની ખાસ ખૈરાત જ જુદી

જખ્મને જાસૂદની માફક જે હળવે ખીલવે
લોહીમાં લબક્યા કરે સાદ્યંત એ રાત જ જુદી

દર્દ ને રાહત પરસ્પરમાં પરોવે રાતભર
એમની હિકમત જુદી ને એમની વાત જ જુદી

સૂર્યનું બીડું ઝડપવા જાતને ભૂસ્યા કરે
પણ ન છોડે જે લીધેલો તંત એ રાત જ જુદી

રાત રહેશે જ્યાહરે આ પાછલી બસ ખટઘડી
શબ્દના બંદાથી પડશે નાગરી નાત જ જુદી

જેવી જેની હેસિયત હો : રાતને જાણે છે સૌ
ચાંદની જાણે ને જાણે સંત એ રાત જ જુદી