હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી


         વેઈટ્ -એ-બિટ્!.....
         છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.

જો ન’તો પુષ્પોની સાથે વાત કરવાનો સમય
તો મહાશય, ક્યાં ઘૂંટ્યો પંખી-પુલકનો છંદ લય

ગામથી જે શબ્દ લૈને નીકળ્યો ’તો, એ તને
લૈ ગયો ક્યાં ક્યાં : હે યાયાવર સદા આશ્ચર્યમય

તેંય અંગૂઠા વડે જ્યાં સ્પર્શ શિલાને કર્યો
આ ઈડરિયા પથ્થરે પ્રગટે છે મઘમઘતો મલય

કાવ્ય અદકું કાવ્ય તારું અશ્રુજલ ખારું અધિક
વેદનાથી આ હૃદય પણ આજ અદકેરું હૃદય


ભોમિયા વિના ભમ્યો થૈ થૈ ઝરણ કે ઝાંઝરી
પ્હાડથી નીસરીને પ્હોંચ્યો જે મુકામે તે પ્રણય

માઈલોના માઈલો તારી જ અંદરથી પસાર
સંગતિની એક ક્ષણનો આ ગતિ મધ્યે ઉદય

નામ તારું આપણી ભાષામાં ઓગળતું રહ્યું
એ પ્રવાહી આજ સો વરસે જલદ ને જીર્ણ મય

વેઈટ્ એ બિટ્! આ શબ્દ છેલ્લો મૌન કહેશે તો ભલે
તું તો ગણગણતો જ રહે, હું રોકી રાખું છું પ્રલય