હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : નર્મદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પુણ્ય સ્મરણ : નર્મદ

નવ કરશો કોઈ શોક, રસિકડાં,
નવ કરશો કોઈ શોક

ક્ષણને આયુષ્યમાન કરું છું, જુગ ચારે કરી ફોક, રસિકડાં
લય મધ્યે લોબાન ભરું છું, મઘમઘ મૃત્યુલોક, રસિકડાં

કાયાને ફરમાન કરું છું, કબર ભણી હો ઝોક, રસિકડાં
શ્વાસોને તોફાન તરું છું, નહીં રોક નહીં ટોક, રસિકડાં

દર્પણને જો સાન કરું છું, સન્મુખ પ્રકટે કોક, રસિકડાં
મચકોડી મુખ માન હરું છું, – સરસ નોંક ને ઝોક, રસિકડાં

નિજનું શરસંધાન કરું છું અહીં ઉઘાડેછોક, રસિકડાં
હું જ વિહગનો વાન ધરું છું, તમે રચી લ્યો શ્લોક, રસિકડાં

ગઢથી ઘેર્યું જીર્ણ નગર શું છદ્મવેશમાં કાશી છે કે?
હાર સમેનાં ગાન કરું છું લંબાવીને ડોક, રસિકડાં

તને સાંભરે, તાંદુલગઠરી? –ક્યમ વીસરે? રહી રહી મનમાં એ
પ્રસંગનાં પકવાન ધરું છુંઃ જમો, ધરો સંતોક, રસિકડાં

ગોરજ ટાણે ભીતરનું ઘર સાદ કરે છે, ચલો ગુસાંઈ
હું કેવળ આહ્વાન કરું છું ગઝલ મધ્ય ગોલોક, રસિકડાં

રચું ઝૂલણા, પઢું કસીદા, કહું તો કેવલ આંખન દેખી
આજ સ્વયંનું ધ્યાન ધરું છું : નિંદા કરતું લોક, રસિકડાં

યથાશક્તિ રસપાન કરું છું, અલકમલક આલોક, રસિકડાં
મક્તામાં મન મ્યાન કરું છું, નવ કરશો કોઈ શોક, રસિકડાં