અષ્ટમોઅધ્યાય/સાહિત્યવિવેચન – આજના સન્દર્ભે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સાહિત્યવિવેચન – આજના સન્દર્ભે| સુરેશ જોષી}} {{Poem2Open}} સાહિત્ય...")
 
No edit summary
 
Line 73: Line 73:


{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[અષ્ટમોઅધ્યાય/કાલજયી સાહિત્ય|કાલજયી સાહિત્ય?]]
|next = [[અષ્ટમોઅધ્યાય/કાવ્યવિવેચનની પ્રારમ્ભિક ભૂમિકા|કાવ્યવિવેચનની પ્રારમ્ભિક ભૂમિકા]]
}}

Latest revision as of 08:54, 4 September 2021


સાહિત્યવિવેચન – આજના સન્દર્ભે

સુરેશ જોષી

સાહિત્યના ક્ષેત્રમાં પણ આપણા જમાનામાં કટોકટી અને નાભિશ્વાસની વાતો અવારનવાર ચાલ્યા કરતી હોય છે. વિવેચનને વિશે કટોકટી ઊભી થવાનું ઘણાંને લાગે છે. એક તરફથી એમ કહેવાય છે કે આજકાલ ઝાઝું ઉત્તમ સાહિત્ય રચાતું નથી એટલે કશીક શકવર્તી ઉત્તમ કૃતિને નિમિત્તે કેટલાક પાયાના મુદ્દાઓની ફેરતપાસ જરૂરી બની રહે તે આજકાલ શક્ય નથી. બીજી બાજુથી વળી એમ કહેવામાં આવે છે કે સાહિત્યમાં આ તબક્કો ભારે પ્રયોગશીલતાનો છે. સાહિત્યના દરેક પ્રકારોમાં નવા પ્રાણ પૂરવાનો ઉદ્યમ ચાલી રહ્યો છે. કાવ્યમાં હોય છે તેવી સૂક્ષ્મતાની અપેક્ષા હવે દરેક સાહિત્ય સ્વરૂપમાં રાખવામાં આવે છે. આ નવાં આન્દોલનો અને એથી થતાં ત્વરિત પરિવર્તનોને પારખવાની સજ્જતા નવી વિવેચના પાસે નથી. એને માટે જાગતિક સન્દર્ભની જે અભિજ્ઞતા હોવી જોઈએ તે પણ એની પાસે નથી. જ્ઞાનની બીજી શાખાઓમાં થયેલા અભૂતપૂર્વ વિકાસને આત્મસાત્ કરવાની પ્રવૃત્તિ પણ ઝાઝી દેખાતી નથી. આને પરિણામે નબળી કૃતિઓની અસજ્જ વિવેચકોને હાથ થતી ઉપલકિયા તપાસ (જે કેટલીક વાર કેવળ કૃતિનો સાર આપી છૂટે છે, અથવા તો ગૌણ મુદ્દાઓ વિશેની અપ્રસ્તુત એવી ચર્ચા પાણ્ડિત્યના આડમ્બરથી ડહોળે છે.) જ દેખાય છે. આ અભાવને પૂરવા કૃતક સમસ્યાઓ, કેવળ શૈલીસુખ ખાતર થતો વાણીવિલાસ કે સંસ્કૃત કાવ્યમીમાંસાના અમુક મુદ્દાઓના સારાનુવાદ, પશ્ચિમનું જે કાંઈ આકસ્મિકતાથી નજરે ચઢ્યું હોય તેને અધકચરી સમજથી નવીન અભિગમ લેખે આડમ્બરપૂર્વક ઠસાવવાનો પ્રયત્ન – આવું કશુંક ચાલ્યા કરતું હોય છે.

ફ્રેન્ચ કવિ માલાર્મે ઓક્સફર્ડમાં 1894માં સંગીત અને સાહિત્ય વિશે વ્યાખ્યાનો આપવા ગયેલા. એવી ગમ્ભીર પ્રકૃતિના એ આદમીએ જાણે ભારે સનસનાટીભર્યા સમાચાર આપતા હોય એમ ઘોષણા કરેલી, ‘હું તમારી પાસે ભારે સનસનાટીભર્યા સમાચાર લઈને આવ્યો છું એ એક અભૂતપૂર્વ ઘટના છે. અમારે ત્યાં છન્દોરચનાના સ્થાપિત નિયમો સાથે ચેડાં થવા લાગ્યાં છે…’ તે સમયમાં માલાર્મેએ જે કવિતા વિશે કહેલું તે આજે, વિવેચનને શાસ્ત્ર લેખે સ્થાપવા ઇચ્છનાર, વિવેચન વિશે કહી શકે એમ છે. વિવેચનની પ્રવૃત્તિને નિયન્ત્રિત કરનારા, પરાપૂર્વથી ચાલ્યા આવતા, નિયમો જોડે આજે કેટલાંક વિવેચકપદવાંછુઓ ચેડાં કરી રહ્યા છે. વિવેચનનું આખું ભવ્ય સ્થાપત્ય ભૂમિસાત્ થવાનો જાણે ભય ઊભો થયો છે. આ પરિસ્થિતિ આપણે ત્યાં જ છે એવું નથી. અમેરિકાના સુપ્રસિદ્ધ નવ્ય વિવેચક પોલ દ મૅન એમના પુસ્તક ‘ઇનસાઇટ એન્ડ બ્લાઇન્ડનેસ’માં આ મુદ્દો ઉઠાવીને આ પરિસ્થિતિનું નિદાન કરવાનો એક સન્નિષ્ઠ પ્રયત્ન કરે છે તે અહીં સંભારવા જેવો છે.

તો આજે આપણે કટોકટીની વાતો કરવા કેમ પ્રેરાઈએ છીએ? એનું એક કારણ કદાચ એ હોઈ શકે કે પરસ્પરવિરોધી એવાં સાહિત્યવિષયક વલણો માન્યામાં ન આવે એવી ઝડપથી બદલાતાં રહે છે. હજી તો ગઈ કાલે અછાન્દસની વાત કરતા હતા, આજે હવે એની કશી ચર્ચા થતી નથી. જે હજી તો હમણાં જ એક ભારે ક્રાન્તિકારી પ્રસ્થાન રૂપ ગણાતું હતું, જેના ખરીતાની શાહી હજી તો સૂકાઈ નથી, તે જાણે ભૂતકાળની એક ઘટના બની ચૂકી છે. ‘નવીન’, ‘નૂતન’, ‘સદ્યતન’ વગેરે સંજ્ઞાઓનો આટલી છૂટથી કદી ઉપયોગ થયો નહોતો. આજે તો દરેક નવું પુસ્તક સાહિત્ય પરત્વેના નવા અભિગમને પ્રકટ કરવાનો દાવો કરે છે. આ બધાં નવાં વલણોનાં નામકરણ અને વ્યાખ્યા કરવાનો પણ સમય રહેતો નથી. આ પરિવર્તનોની તેજ રફતાર આપણને મૂઝવી નાંખે છે.

સાહિત્યને આમ તો પહેલેથી જ જ્ઞાનની અન્ય શાખાઓ જોડે સમ્બન્ધ રહ્યો છે. એમાંની મુખ્ય જ્ઞાનની શાખા તે ફિલસૂફી. સાહિત્યકૃતિનું ontological status, કળાનું સત્ય. mimesis, સાહિત્ય તો સત્ય કરતાં વધુ પ્રભાવક એવા આભાસને પ્રત્યક્ષ કરી આપે છે એવી માન્યતા, વ્યાવહારિક તથ્યનું કળાના સત્યમાં રૂપાન્તરિત કરી આપતી પ્રક્રિયાની તપાસ આ બધી પ્રવૃત્તિ આપણને વારે વારે ફિલસૂફીના ક્ષેત્રમાં લઈ જતી હતી. હજી તો 1945માં જ મેર્લો-પોંતિએ કહ્યું હતું કે હવે સાહિત્ય અને ફિલસૂફીનાં કાર્યક્ષેત્રોને અળગાં રાખી શકાય એમ નથી. અભિવ્યક્તિના એ બન્ને પ્રકારો જીવનનાં કાર્યોથી ઉદ્ભવતા વ્યક્તિ ચિત્તમાંના ‘originary experience’ને ગ્રહવાનો પ્રયત્ન કરે છે અને પછી એને વાણી દ્વારા મૂર્ત કરે છે. આપણો ‘હું’ જીવનપ્રવાહમાં ઉચ્છલિત થઈને આપણા સ્થળ, કાળ, દૃષ્ટિગોચરતા, સ્વ અને ઇતર વગેરેના ખ્યાલોને તપાસના કેન્દ્રમાં ખેંચી લાવે છે. આ બધી સંજ્ઞાઓથી વાસ્તવિકતા વિશે જે ધારણા આપણે બાંધીએ છીએ તે ભારે છટકિયાળ હોય છે. આથી તો મેર્લો-પોંતિ કહે છે: ‘The world is such that it can not be expressed except in ‘stories’ and, as it were, pointed at.’ (Sense and Nonsense, પૃ.28). આથી જ તો કદાચ સાર્ત્ર અને કૅમ્યૂ જેવા અસ્તિત્વવાદીઓએ કથાને રૂપે પોતાને અભિમત જીવનદર્શનને મૂર્ત કરવાનું પસંદ કર્યું. જીવાતા જીવનનો પ્રવાહ જે અર્થોનો કાંપ મૂકતો જાય છે તેને ચીંધી બતાવવાનું કામ ફિલસૂફી કરે છે. એમાંનાં પ્રતીકો તે વાચકના પોતાના જીવનમાંના અનુભવોના ‘resonant analogues’ બની રહેવાં જોઈએ. આવી મેર્લો-પોંતિની ફિલસૂફી વિશેની વિભાવના વાલેરીએ કે પ્રૂસ્તે સાહિત્ય વિશેની જે વિભાવના રજૂ કરી છે તેની કેટલી નિકટની લાગે છે! આથી તો પ્લેટો, જ્યોર્જ સાન્તાયના કે મેર્લાે-પોંતિ પોતે કવિના જેવી અભિવ્યક્તિ કરનારા ફિલસૂફો હતા.

આપણા જમાનામાં તો ફિલસૂફીને માથે પણ અઘરું કામ આવી પડ્યું. એક બાજુથી બર્ગસોંનું vitalism અને બીજી બાજુથી હુસેર્લની phenomenology – આ બે વચ્ચેનો સમન્વય સિદ્ધ કરી આપવાની જવાબદારી એને ભાગે આવી; એટલે કે સંવેદના, ચૈતન્ય અને સામયિકતાની સંજ્ઞાઓનો ભેગો ઉપયોગ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ. પણ હવે આજે તો ફિલસૂફીનું એટલું ચલણ રહ્યું નથી. એનું સ્થાન હવે સમાજવિદ્યાઓ લેતી જાય છે. આથી વિવેચક ફરી દ્વિધામાં આવી પડ્યો છે: એના વાચનના સમયનું નફો કરી આપે એવું રોકાણ શેમાં કરવું?

લેવી સ્ટ્રાઉસે રજૂ કરેલી નૃવંશવિદ્યાની વિભાવનાએ સમાજવિદ્યાના પ્રભાવને પણ ઝાંખો કરી નાંખ્યો. હજી એ વિદ્યાશાખાની વિશિષ્ટ પરિભાષા પર વિવેચક કાબૂ મેળવે ન મેળવે ત્યાં ભાષાવિજ્ઞાનનું વર્ચસ્ વધતું જણાયું. એની પરિભાષા તો વળી ઓર અઘરી નીકળી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પણ Jacques Lacan જેવા અભિનવ ફ્રોઇડવાદીઓનો પ્રભાવ દેખાવા માંડ્યો.

આથી સાહિત્યના અભ્યાસના ક્ષેત્રના સીમાડાઓ એકાએક વિસ્તરી ગયા. માનવવિદ્યા વિશેની એક સર્વસામાન્ય એવી પદ્ધતિ ઉપજાવવાનો, હવે કંઈક ઉપરછલ્લો લાગતો, પ્રયત્ન સંરચનાવાદે કર્યો. કટોકટીની જે લાગણી થાય છે તે આ બધાંને પરિણામે ઊભી થતી ‘sense of urgency’ને કારણે છે. આ બધી વિદ્યાશાખાઓ નેતૃત્વ પ્રાપ્ત કરવા માટે જે અધીરાઈથી સ્પર્ધામાં ઊતરી છે તેને કારણે પણ આમ બન્યું હોવાનો સમ્ભવ છે. અમેરિકાના વિવેચકો યુરોપમાં, અને ખાસ કરીને ફ્રાન્સમાં, જે બન્યું તેનાથી પ્રભાવિત થઈ ગયા; આપણી પરિસ્થિતિ કંઈક એવી છે. આપણે પણ વિવેચનમાં આવેલી કટોકટીની, વિવેચનના અન્તની, સંરચનાવાદની, સંકેતવિજ્ઞાનની વાતો શરૂ કરી દીધી છે. આપણાં સર્જાતાં સાહિત્ય સાથે એને કેટલો સમ્બન્ધ છે? અંગ્રેજ વિવેચકે તો એને માત્ર ‘gallic turbulance’ કહીને બાજુએ મૂકી દીધું! આ કહેવાતી કટોકટી કેટલીક વાર માત્ર એક નાનો તરંગ જ હોય છે. જે પરિવર્તનોને આપણે ઊથલપાથલ મચાવી દેનારા પ્રારમ્ભમાં ગણ્યાં હતાં તે પછીથી ધીમી ગતિએ વહેતા આન્દોલનોના પ્રવાહમાં, સમયનો પરિપ્રેક્ષ્ય વિસ્તરતાં, ભળી જતાં દેખાયાં છે. આપણને કોઠે પડી ગયેલું વહેવારુ વલણ ધીમે રહીને આપણા ચિત્તને ફરીથી આત્મતુષ્ટિની તન્દ્રામાં ખેંચી જાય છે.

આથી એવું લાગવાનો સમ્ભવ છે કે આ પરિવર્તન અને આન્દોલનની ભાષા એક પ્રકારના લાક્ષણિક (metaphoric) પ્રયોગો માત્ર છે, એમાં અસન્દિગ્ધપણે ચીંધી બતાવી શકાય એવું (હવામાનમાં ફેરફાર ચીંધી શકાય છે તેવું) કશું વસ્તુલક્ષી પ્રતિરૂપ હોતું નથી. એ માત્ર ક્ષણિક ઊભરો છે કે પછી આખી એક પેઢીની વિવેચન બુદ્ધિને નવો આકાર આપનાર કશુંક તત્ત્વ છે? કેટલીક વાર સાપેક્ષપણે જે તુચ્છ લાગે તેને આપણે મહત્ત્વ આપીને ઘણી ગમ્ભીરતાથી ચર્ચતા હોઈએ એવું ન બને?

માલાર્મેએ જે વાત કરેલી તે તો એણે કાવ્યની ભાષા પરત્વે જે પ્રયોગો કરેલા તેના નિમિત્ત રૂપે હતી. આગલી પેઢીના કાવ્યભાષા જોડેના વ્યવહારને અને એ અંગેનાં ગૃહીતોને હવે સપ્રશ્ન દૃષ્ટિએ જોવામાં આવે છે. સર્જન પોતે જ પોતાના ઉદ્ગમને ચીંધે છે અને અનેક પ્રશ્નો ઊભા કરે છે જેને અનુગામીઓ ચર્ચતા જ રહે છે. આમ જ્યારે જાતતપાસ અથવા આત્મચિન્તન શરૂ થાય છે ત્યારે મૂળ આશય સાથે જે સુસંગત હતું અને જે એનાથી દૂર થઈ પડ્યું છે તે બેનો થતો વિચ્છેદ આ કટોકટીની અવસ્થા ઊભી કરે છે. પણ કેટલાક પ્રશ્ન કરે છે કે વિવેચન પણ આવી જાતતપાસ કરતું હોય છે જેથી એના ઉદ્ગમ વિશે વિચારવાની પરિસ્થિતિ ઊભી થાય? આવી તપાસ વિવેચનની પ્રવૃત્તિની જ વ્યાખ્યા બાંધી આપે અને તેથી તો પરિસ્થિતિ વધુ સંકુલ બને.

મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ પૂરતું જ વિવેચનને મર્યાદિત રાખીએ તોય તેના ઉદ્ગમ સાથેની સુસંગતિ તો અપેક્ષિત છે જ. જ્યારે કળા સારી છે કે ખરાબ છે એવું વિધાન આપણે કરતા હોઈએ છીએ ત્યારે આપણે જેને કળાત્મક કહીએ છીએ તેના મૂળ ખ્યાલ સાથેની એવી સુસંગતિનું જ પરીક્ષણ કરતા હોઈએ છીએ. ખરાબ કળા ભાગ્યે જ કળા કહેવાય એવી હોય છે; જ્યારે સારી કળા આપણી કળા કેવી હોવી જોઈએ તે વિશેના પૂર્વનિર્ણીત ખ્યાલની વધુ નજીક આવતી હોય છે. આથી કટોકટીનો ખ્યાલ અને વિવેચન વિશેનો ખ્યાલ એકબીજા સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલા હોય છે; તે એટલી હદે કે આપણે એમ પણ કહી શકીએ કે સાચું વિવેચન કટોકટીની આબોહવામાં જ થતું હોય છે. આથી વિવેચનમાં કટોકટીની વાત કરવી તે અમુક અંશે બિનજરૂરી બની રહે. જે ગાળામાં કટોકટી હોતી નથી અથવા વિવેચકો કટોકટીને ટાળવાનો પ્રયત્ન કરતા હોય છે તે ગાળામાં સાહિત્ય વિશે તરેહ તરેહના અભિગમો પ્રવર્તી રહેલા દેખાય છે: ઐતિહાસિક, મનોવૈજ્ઞાનિક, વ્યુત્પત્તિગત વગેરેનો શંભુમેળો ત્યારે થયેલો જોવામાં આવે છે. પણ જેને સાચા અર્થમાં વિવેચન કહીએ છીએ તે ત્યારે અલ્પ માત્રામાં જ હોય છે. ત્યારે આ વિવેચકો પોતાની પ્રવૃત્તિને એવા specific intent સાથે મૂકીને પ્રશ્નો ઊભા કરતા હોતા નથી. પ્રમાણભૂત વિવેચન સાહિત્યના અભ્યાસને માટે સમગ્રતયા જોતાં asset છે કે liability એ પ્રશ્ન તો રહે જ છે.

પણ એક વસ્તુ નક્કી છે: સાહિત્યના અભ્યાસની પ્રવૃત્તિ એની નોંધ લીધા વિના રહી શકે નહીં. જો એવું બને તો તો ઇતિહાસનો શાન્તિથી અભ્યાસ કરવા માટે ઇતિહાસકારો યુદ્ધ જેવી વસ્તુના અસ્તિત્વને જ અવગણે તેના જેવું થાય.

આજે યુરોપમાં જે વિવેચન થઈ રહ્યું છે તેમાં એક વલણ મુખ્યત્વે પ્રવર્તી રહેલું દેખાય છે: સાહિત્યિક કે કાવ્યગત ચેતના એ કોઈ વિશિષ્ટાધિકાર ધરાવતી ચેતના છે. એનો ભાષાનો ઉપયોગ રોજબરોજની ભાષામાં જે duplicity, ગૂંચવણ અને અસત્યને આપણે સ્વીકારી લઈએ છીએ તેમાંથી મુક્ત રહેવાનો ડોળ કરે છે એવા ખ્યાલ પર એ પદ્ધતિસરનો પ્રહાર કરે છે. સમાજમાં વપરાતી ભાષા એ એક ભારે સંકુલ એવી પ્રયુક્તિ છે જેનો હેતુ જે ઇચ્છાવાસનાઓનાં નામ પાડી શકાતાં નથી તેની સીધી અભિવ્યક્તિને ટાળવાનો છે. આવું બને છે એનું કારણ આ ઇચ્છાવાસનાઓ નૈતિક દૃષ્ટિએ ગહિર્ત છે તે નથી – જો એવું હોત તો આ સમસ્યા સાવ સરળ બની રહી હોત – પણ એનું કારણ એ છે કે કશા વ્યવધાનરહિત અભિવ્યક્તિ એ એક philosophical impossibility છે. જ્યારે એક ચેતના બીજી ચેતનાનું અર્થઘટન કરવામાં ક્રિયાશીલ બની હોય છે ત્યારે એક પ્રકારની self-demystificationની પ્રક્રિયા અનિવાર્યતયા ચાલતી જ રહે છે. આપણે બીજાનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ ત્યારે આપણા એક સામાજિક તરીકેના વ્યક્તિત્વને પણ તપાસવાનું અનિવાર્ય બની રહે છે અને એ રીતે આવી પરિસ્થિતિમાં જે વિકૃતીકરણ થતું હોય છે તેનું પણ આપણને ભાન થાય છે. આમ અન્યના વર્તનનું નિરીક્ષણ અને અર્થઘટન અનિવાર્યતયા આત્મનિરીક્ષણનં નિમિત્ત બની રહે છે. આમ અવાન્તર ક્રમે એકબીજાના નિરીક્ષણની પારસ્પરિક ચાલ્યા કરતી પ્રવૃત્તિ ગૂંચવાડો ઊભો કરે છે: નિરીક્ષણ કરનાર જેનું નિરીક્ષણ થઈ રહ્યું છે તેનાથી વધારે સ્થિર(અવિકૃત) હોતો નથી. જ્યારે જ્યારે એ સામાનું નિરીક્ષણ કરવામાં સફળ થાય છે ત્યારે એને એ બદલી નાંખે છે અને એનું અર્થઘટન સત્યની વધુ નજીક આવતું લાગે છે ત્યારે વળી એને સવિશેષ બદલી નાખે છે. આમ એકમાં થતો ફેરફાર બીજામાં થતા ફેરફારને જરૂરી બનાવે છે. આ એકબીજા તરફ થયા કરતી ગતિનાં આન્દોલનોની પ્રક્રિયા અન્તહીન હોય એવી છાપ પડે છે. આ આન્દોલનની પ્રક્રિયા તીવ્રતર બને છે અને વધુ ને વધુ સત્યને આવિષ્કૃત કરતી જાય છે તેમ નિરીક્ષક અને નિરીક્ષ્યમાણ વચ્ચેનો ગોટાળો વધતો જાય છે. નિરીક્ષક કોણ અને નિરીક્ષ્યમાણ કોણ તે વિશે ગૂંચ ઊભી થતી જાય છે. આથી ચકરાવે ચઢેલું ચિત્ત કંઈક વધુ સ્વસ્થ અને તર્કપુરસ્સર એવી પદ્ધતિ તરફ વળવા ઇચ્છે છે. કોઈ previleged observerની કલ્પનામાંથી આ તર્કછળ ઊભું થાય છે અને પરિણામે જાણે આ intersubjective demystificationની આન્દોલનાત્મક ગતિ જાણે અવિરત ચાલ્યા જ કરે છે. આમાંથી છૂટવા માટે એક પ્રકારની સાપેક્ષતાનો સ્વીકાર કરવો પડે. એને એક છેડે empirically specific હોય તો બીજે છેડે loftily general હોય; પૂર્વનિર્ણીત કશું દૃષ્ટિબિન્દુ, બીજી સંરચનાઓ માટે આદર્શ બની રહે એવી કશી સંરચના (કોઈ દૈવી તત્ત્વના જેવી જે માનવી અને જગત બન્નેને ઉત્પન્ન કરે) કે કશી ontological hierarchyની કલ્પના કરવી બિનજરૂરી લેખાય. એક અર્થમાં તો બધાં જ structures એકસરખાં ક્ષતિપૂર્ણ છે અને એથી જ તો એને myth કહીને ઓળખાવીએ તે વધુ ઉચિત છે. એવી કોઈ myth નથી જેમાં એવું કેન્દ્રાનુગામી બળ એટલું પ્રભાવક હોય કે એની પડખેની mythમાં એ ભળી ન જાય; એને જુદી તરી આવવા જેટલી સ્વાયત્તતા પણ નથી હોતી. એને માટે અર્થઘટનની અપેક્ષા રહે જ છે, પછી જ એનાં લક્ષણો બાંધી શકાય છે.

હવે તો સાહિત્યમાંનું કેન્દ્રવર્તી બિન્દુ જેને ગણીએ તે જીનકના લુપ્ત થવાથી સમસ્યા વધારે આકરી બની છે. વળી ભાષામાં સંકેત અને સંકેતિતની અભિન્નતા શક્ય નથી. આથી ભાષાને એક વિશિષ્ટાધિકાર પ્રાપ્ત થઈ ગયો છે; આડે રસ્તે દોરી જનારા સંકેત પાછળ અર્થને પ્રચ્છન્ન રાખવાનો – જેમ આપણે કેટલીક વાર બહારના સ્મિત પાછળ ક્રોધ કે તિરસ્કારને સંતાડી રાખીએ છીએ તેમ!

માનવને શાપિત ગણો કે ભાષાને, પણ જ્યાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધની શરૂઆત થાય છે કે તરત જ સંકેત દ્વારા જ અર્થની સન્દિગ્ધતા નિપજાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે. શબ્દનું ઉચ્ચારણ અને વ્યવહાર-વિનિમય માટેનો એનો ઉપયોગ એ જાણે માનવીનું એક અક્ષમ્ય સ્ખલન નહિ હોય! આથી જ તો વાણીને વિકાર રૂપ ગણી છે અને મૌનનો પારાવાર મહિમા કરવામાં આવ્યો છે. આપણી સામાન્ય ઇચ્છાવાસનાઓ પણ ભાષાના આવરણ પાછળ ઢંકાયા વિના પ્રકટ થઈ શકતી નથી. કદાચ ભાષાને અતિક્રમી જવાના હેતુથી કાયિક અભિનયનો વિકાસ માનવીએ કર્યો હશે. ભાષા intersubjective સંકુલ સમ્બન્ધોના વિશ્વને રચી આપવા મથે છે. આ સમ્બન્ધોની પ્રમાણભૂતતા તો સ્થપાઈ હોતી નથી.

રોજ-બ-રોજના, ભાષા દ્વારા ચાલતા, વ્યવહારમાં અર્થ ઉપર સંકેતની કે સંકેત ઉપર અર્થની અગ્રિમતા સ્થાપવામાં આવતી નથી. Interpretationની પ્રવૃત્તિ દ્વારા જ આ પ્રામુખ્ય અમુક વિશિષ્ટ સન્દર્ભ પૂરતું સ્થાપી આપી શકાય, પણ આ interpretationની પ્રવૃત્તિ તે કૅમ્યૂએ આલેખેલી સિસિફસની પ્રવૃત્તિ જેવી છે: એ કેવળ પ્રવૃત્તિ જ છે, એ અન્તહીન ચાલ્યા જ કરે છે, એમાં કશી પ્રગતિ થતી નથી.

ક્લોદ લેવી સ્ટ્રાઉસ Myth without an authorનો નિર્દેશ કરે છે. ભાષક વિનાની એક દ્વૈતીયિક ભાષા(meta-language)ની કલ્પના, ભાષાને બુદ્ધિસંગત બનાવવા માટે, કરવામાં આવે છે.

સાહિત્ય પણ ભાષાનું જ એક સ્વરૂપ છે. સંગીત સમેત બીજી બધી કળાઓને પણ એની ભાષા હોય છે. માલાર્મે એને proto-literary ભાષા કહે છે. સંગીતની ભાષામાં કોઈ ભાષક હોતો નથી. આથી ભાષાવિજ્ઞાનીઓ જે meta-languageનાં સ્વપ્નો નિરખી રહ્યાં છે તેની એ સાવ નિકટ આવે છે. સાહિત્યિક ભાષા તે કોઈ રીતેય previleged ભાષા નથી.

સંરચનાવાદી વિવેચકોનું વલણ સમજી શકાય તેમ છે: ભાષા વાપરનારને બાદ કરવા માટે એને એમ બતાવવું પડે છે કે સંકેત અને સંકેતાર્થ વચ્ચે જે વ્યસ્તતા રહી શકે તે રોજ-બ-રોજની ભાષાની જેમ જ સાહિત્યની ભાષામાં પણ રહેલી છે. ફ્રાન્સમાં અને અમેરિકામાં સાહિત્યની ભાષાને વિશિષ્ટ પ્રકારની ભાષા નહીં લેખવાનું વલણ જોર પકડતું જાય છે. સાહિત્યની ભાષાની પ્રમાણભૂતતા વિશેના દાવાઓ વાસ્તવિક પરિસ્થિતિને નથી વર્ણવતા, આદર્શ સ્થિતિ કેવી હોવી ઘટે તે વિશેની આપણી લાગણીને પ્રકટ કરતા હોય છે. બીજી ઇચ્છાઓની અભિવ્યક્તિની જેમ આ ઇચ્છાની અભિવ્યક્તિ પણ duplicity of expressionનો ભોગ બને છે.

સાહિત્યમાં જે આદર્શવાદને નામે ખપે છે તે તો એક પ્રકારની બૂતપરસ્તી જ છે. પ્રમાણભૂતતાના માની લેવામાં આવેલાં લક્ષણોની નકલ કરનાર false image પરત્વેનું એ આકર્ષણ માત્ર છે. વાસ્તવમાં તો એ માત્ર એક ઠાલું મહોરું જ હોય છે જેના વડે હતાશ અને પરાજિત એવી ચેતના પોતાની negativityને ઢાંકવા મથતી હોય છે.

આ સન્દર્ભમાં સંરચનાવાદી વિવેચકો ઐતિહાસિક ક્રમપ્રાપ્ત એવી ‘રોમેન્ટિક’ સંજ્ઞાનો જે રીતે વિનિયોગ કરે છે તે તપાસવું જોઈએ. કાવ્યની ભાષામાં સંકેતાર્થ અને સંકેતક એકબીજામાં એકરૂપ થઈ જાય નહીં તોય એકબીજા સાથેના મુક્ત અને સંવાદાત્મક સમતુલાના સમ્બન્ધમાં આવી શકે. આને આપણે સૌન્દર્ય કહીએ છીએ એ એક રોમેન્ટિક ભ્રાન્તિ જ છે. પણ આમ કહેવું એ તર્કછળ નથી? આભાસ અને ભાવની, સંકેતક અને સંકેતાર્થની એકતાને romantic myth તરીકે ઓળખાવવામાં આવે છે. અપારદર્શકતા અને પારદર્શકતા વચ્ચે જો યોગ્ય પ્રકારની સમતુલા સ્થાપી શકાય તો પવિત્ર જ્યોતિ દહ્યા વિના પ્રકાશી શકે એવું કહેવામાં આવે છે.

સાહિત્યિક ચેતનાની મૂળભૂત ગતિને આગળ વર્ણવ્યા તે પ્રકારની demystificationની પ્રવૃત્તિ સાથે મેળ પાડવાનો હોય છે. સાહિત્ય સાહિત્યિકતા પ્રાપ્ત કરીને પ્રમાણભૂત ક્યારે બને? જ્યારે એને બોધ થાય કે પોતાની ભાષા પરત્વે ઉચ્ચ પદવીનો કરેલો દાવો નરી myth જ હતી ત્યારે!

આમ વિવેચકનું કાર્ય સર્જકના ચિત્તમાં મહદંશે સભાનપણે રહેલા demystificationના હેતુનું સમપરિમાણી બની રહે છે. હુસેર્લે આ demystificationને સમજાવતાં કહ્યું છે કે એ એક એવી પ્રક્રિયા છે જે જ્યારે superior theoretical man inferior natural manનું નિરીક્ષણ કરતો હોય છે ત્યારે ઉદ્ભવે છે.

ફિલસૂફી એ એક એવો વ્યાપાર છે જે સામાન્યપણે સ્વીકારેલાં કેટલાંક ગૃહીતોને – આપણાં કેટલાંક naive assumptionsને – પોતાને સમજવાને માટેની સમીક્ષાત્મક પ્રવૃત્તિને નિમિત્તે આપણી ચેતનાને માટે સુલભ બનાવી આપે છે. બીજી રીતે કહીએ તો એક પ્રકારની પોતાના અર્થઘટનની પ્રવૃત્તિ છે જે આપણી ચેતનાના જ પ્રકાશથી દૂર ભાગી છૂટવાના વલણને ટાળવામાં આપણી મદદે આવે છે. એ માનવીની તથા માનવી જે મૂલ્યો દ્વારા સમ્પ્રજ્ઞાતપણે નિયન્ત્રિત થતો હોય છે તેની આલોચના હોય છે. પણ પોતાનાથી પીઠ ફેરવી લીધા પછી જ દાર્શનિક જ્ઞાન ખરેખર તો અસ્તિત્વમાં આવતું હોય છે. કટોકટીની પરિભાષા જ એવી છે જે પોતાના સત્યને ભ્રાન્તિની પદ્ધતિથી રજૂ કરે છે. પોતે જે પ્રકાશને વિચ્છુરિત કરે છે તેને એ જોતી જ નથી.

કટોકટીના અનુભવ સાથે ઊપસી આવતી આ self-demystificationની ભાત સાહિત્યિક વિવેચના જોડે શો સમ્બન્ધ ધરાવી શકે?

Demystifing critics વાસ્તવમાં સાહિત્યનું એક વિશિષ્ટ ભાષા તરીકે ગૌરવ કરતા હોય છે; એ એક પ્રમાણભૂત લેખી શકાય એવી ભાષા છે, પણ એઓ એના સૂચિતાર્થોથી વેગળા ખસી જાય છે, એમને જ્યાંથી આન્તરિક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે તે ઉદ્ગમસ્રોત સાથેના સમ્બન્ધસૂત્રને એઓ છેદી નાંખે છે.

આપણે જ્યારે ભાષા વિશે એવું વિધાન કરતા હોઈએ છીએ કે સંકેતક અને સંકેતાર્થ કદી એકરૂપ બની જઈ શકે નહીં, ત્યારે આ વિધાનમાં રહેલા ગૃહીતને તો સાહિત્યની ભાષા પરત્વે તો સ્વીકારી જ લીધેલું જ હોય છે. રોજ-બ-રોજની ભાષા તો આ બોધની નજીક રહીને ચાલતી હોય છે, પણ સાહિત્યની ભાષાનું એવું નથી. સાહિત્યની ભાષા વ્યવધાનરહિત અભિવ્યક્તિના તર્કછળમાંથી મુક્ત છે. આપણે બધા જ આ જાણતા જ હોઈએ છીએ પણ આપણી આ જાણકારી આપણે જાણી કરીને એની વિરુદ્ધના સત્યને ઉચ્ચારીને પ્રકટ કરતા હોઈએ છીએ!

આપણે સાહિત્યને fiction કહીએ છીએ પણ એમાંથી સત્ય ઉત્ક્રાન્ત થતું આવે છે. સાહિત્ય નામે પોતાને ર્સગીર્ ક કૈર્બૌહ તરીકે જ અસ્તિત્વમાં આવતું લેખે છે, પોતાને પ્રતિબિમ્બિત કરવાની જે mirror effect તેની દ્વારા પોતાને સમથિર્ત કરવાનો એનો પ્રયાસ જ empirical realityથી એના વેગળાપણાનો દ્યોતક બની રહે છે. એ જ રીતે સંકેતક સંકેતાર્થથી જુદો પડે છે; અને સાહિત્યિક ભાષાનું જાણે એ વ્યાવર્તક લક્ષણ બની રહે છે.

જ્યારે લેખકો કશા સૂચિતાર્થ વિનાનાં સ્પષ્ટ વિધાનો કરતા થઈ જાય છે. ત્યારે વાચકો જે વાસ્તવિકતાથી એ ક્યારનુંય છૂટું પડી ગયું હોય છે તેની જોડે એને ગૂંચવી મારીને નીચું પાડે છે.

Fictionની reality ઉપરની અગ્રિમતા, ઇન્દ્રિયબોધ ઉપર કલ્પનાની અગ્રિમતા તે વાસ્તવિકતાના બોધની કશી ઊણપને માટેના આશ્વાસનરૂપ ગણી ન શકાય. રૂસોએ કહ્યું હતું: ‘મારાં બધાં જ સ્વપ્નો વાસ્તવિકતામાં પરિણમ્યાં હોત તોય હું એવો ને એવો અસન્તોષી રહ્યો હોત: હું તો સ્વપ્નો સેવ્યે જ ગયો હોત, કલ્પના કર્યે જ ગયો હોત, નવી નવી ઇચ્છાઓ સેવ્યે જ ગયો હોત. મારામાં મને એવું કશુંક શૂન્ય લાધ્યું છે જે શાથી છે તે હું સમજાવી શકતો નથી અને જે કશાથી ભરી દઈ શકાતું નથી. મારું હૃદય કંઈક જુદા જ પ્રકારની સંતૃપ્તિને ઝંખ્યા કરે છે જેનો ખ્યાલ હું આપી શકતો નથી, છતાં જેનું અદમ્ય આકર્ષણ હં અનુભવ્યા કરું છું.’

અહીં ચેતના કશાના અભાવમાંથી નથી જન્મતી, એ શૂન્યની ઉપસ્થિતિમાંથી જ ઘડાયેલી છે. કાવ્યની ભાષા આ શૂન્યનું નામ પાડી આપે છે. એને વિશેની પુન: પુન: નવી સમજ કેળવીને એ આ કરી શકે છે. એનું નવું નામકરણ કરતાં એ કદી થાકતી નથી. આ પુન: પુન: નામકરણની પ્રવૃત્તિ તે જ સાહિત્ય.

કાવ્ય જેમ વિશ્રબ્ધિની ક્ષણોમાં જન્મે છે, વાસ્તવિક લાગણીઓના ઉદ્રેકો શમી ગયા પછીની સ્થિતિમાં જન્મે છે અને પછીથી સ્મૃતિનો આભાસ ઊભો કરવા માટે fictional emotionsની શોધ ચલાવે છે તેવી જ રીતે work of fiction પણ fictional subjectને શોધી કાઢે છે જેથી બીજાની વાસ્તવિકતાનો આભાસ ઊભો કરી શકાય. પણ આ fiction તે myth નથી, કારણ કે એ પોતાને નામ પાડીને ઓળખાવી શકે છે. એ demystification નથી, એ તો પહેલેથી જ demystified છે. અર્વાચીન વિવેચકો સાહિત્યને ગીસઅજૌકઅ કરી રહ્યા હોય એવું માને છે; વાસ્તવમાં એઓ પોતે સાહિત્યથી demystify થઈ રહ્યા હોય છે. એમનામાં પોતાનામાં શું બની રહ્યું છે તે પરત્વે એમણે અંધાપો કેળવ્યો હોય છે.

જે ઘડીએ એઓ સાહિત્યને તિલાંજલિ આપી દીધાનો દાવો કરતા હોય તે ઘડીએ પણ સાહિત્ય તો સર્વત્ર વ્યાપેલું જ હોય છે. પેલા હાઇડ્રા નામના જન્તુની જેમ સાહિત્ય બધેથી ફૂટી નીકળે છે: નૃવંશવિદ્યા, ભાષાવિજ્ઞાન, મનોવિશ્લેષણ સાહિત્ય નથી તો શું છે?

માનવીય વિષયોની શૂન્યતાની મોઢામોઢ ઊભા રહેવાનું ટાળવા માટે મનુષ્યનું મન હકીકતમાં જાતજાતનાં વિકૃતીકરણોનો આશ્રય લેશે.

આ વસ્તુઓના સ્વભાવમાં જ આ નિષ્ફળતાનાં મૂળ રહેલાં છે તે જોવાને બદલે એનું વ્યક્તિમાં એ આરોપણ કરવા ઇચ્છે છે. આ વ્યક્તિ તે રોમેન્ટિક પદાર્થ છે. એ ધીમે રહીને ઇતિહાસના ક્રમની પાછળ લુપ્ત થઈ જાય છે.