અભિમન્યુ આખ્યાન/કડવું ૫

From Ekatra Wiki
Revision as of 12:08, 1 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૫|}} {{Poem2Open}} {{Color|Blue|[ માતાએ અહિલોચનને સત્ય હકીકતથિ પરિચિત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કડવું ૫
[ માતાએ અહિલોચનને સત્ય હકીકતથિ પરિચિત કર્યો. અહિલોચન કૃષ્ણને હણવા તત્પર બન્યો. માતાનો વાર્યો ન રોકાતાં કૈલાસ પર્વત પર જઈ હઠયોગ આદર્યો. મહાદેવને પ્રસન્ન કરી, એમની પાસેથી વજ્ર-પિંજર મેળવી અહિલોચન સ્વસ્થાને પાછો ફર્યો.]


રાગ રામગ્રી

પુત્ર કાંઈ દીઠો અતિશે રોતો જી,
હૃદયાફાટે, આંસુ લોહતો જી.
‘અરે અહિલોચન! મારા વહાલા જી!
કોણે કષ્ટિયો? કહેને કાલા જી.          ૧

ઢાળ
કોણે, કાલા! કષ્ટિયો જે પીડા પામ્યો તુંય?
આંખડીએ આંસુ ભર્યાં છે, સનમન્યો તે શુંય?’          ૨

પુત્ર વળતું બોલિયો : ‘માતાજી, અવિધારો;
સર્પ માત્રે મહેણું દીધું, મુને કહ્યો નઠારો.          ૩

કોણ સ્થાનક આપણું રે? કોણ મારો તાત?
ઉદર ભરવા અહીં વસ્યાં તે કોણ કારણ, માત?’          ૪

વચન સુણી કુંવર કેરાં ગળગળી થઈ નાર,
સ્વામીનાં સુખ સાંભર્યાં, નયણે વહે જળધાર :          ૫

‘પુત્ર! મુજને શું પૂછે છે? મેં કહ્યું કઈ પેરે જાય?
પેટ ભરો પરવશ થઈ, લખ્યું ફોક નવ થાય.          ૬

બાપ તારો મહા બળિયો, પ્રસિદ્ધ તેનું નામ,
ચૌદ લોક ચરણે નમ્યાં, પણ કૃષ્ણેે ફેડ્યો ઠામ.’          ૭

સાંભળી સુત બોલિયો : ‘મેં આજ જાણી પેર;
હવે કૃષ્ણના કટકા કરું, પછી વસું બાપને ઘેેર.’          ૮

જનુની કહે : ‘જગદીશ મોટો, તું નોહે તેની જોડ;
તું છે જાતે એકલો, હરિને જાદવ છપ્પન ક્રોડ.          ૯

તાત તારો જીતતો તે મહાદેવને વરદાન;
તુજને કો ઓળખે નહિ, બેસી રહે આ સ્થાન.’          ૧૦

વળતો અહિલોચન ઓચરે : ‘જઈ ઈશ્વરને આરાધું;
અમર થઈને સંઘારું હું જાદવનું કુળ બાધું.’          ૧૧

એવું કહી ઊભો થયો, મા મૂકી મામા પાસ;
વાર્યો કોનો નવ રહ્યો, જઈ પરવર્યો કૈલાસ.          ૧૨

નવે દ્વાર જ રૂંધિયાં ને બાંધ્યો શ્વાસોચ્છ્વાસ;
જમણા પગને અંગૂઠે ઊભો રહ્યો ખટ માસ.          ૧૩

પછે પંચવદન પધારિયા, હુવા તે તુષ્ટમાન :
‘માગ માગ રે, બાળકા!’ મહાદેવ કહે : ‘વરદાન.’          ૧૪

અહિલોચન આવી નમ્યો ત્યારે સદાશિવને ચર્ણ :
‘વરદાન આપો એટલું, હુંથી કૃષ્ણ પામે મર્ણ.’          ૧૫

મહાદેવે મન વિમાસિયું જે મરે નહિ જગદીશ;
પછે વિચારીને આપિયું વજ્રપંજર શ્રીઈશ.          ૧૬

પિપીલિકા પેસી નવ શકે, સાંચરે નહિ પવન,
એવી પેટી આપીને પછે બોલ્યા પંચવદન :          ૧૭

‘જે કો પેસે પંજર વિષે’ એમ કહે પિનાકપાણ,
‘દ્વાર દેતામાં તેહના જશે નીસરી પ્રાણ.’          ૧૮

ઈશ્વર કહે : ‘હો અહિલોચન! જો હોય તુજમાં આય,
તો કંઠે ઝાલી કૃષ્ણજીને ઘાલ પેટી માંય.’           ૧૯


એવું કહીને અવિનાશી હવા અંતર્ધાન;
પુત્રે પેટી લીધી મસ્તક, આવિયો નિજ સ્થાન.          ૨૦

વલણ
સ્થાન નિજ માતા તણું, પાતાળમાં મોસાળ રે;
પેટી મૂકી માતા આગળ : ‘મુને શિવ થયા કૃપાળ રે.’ ૨૧