અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/વિના

Revision as of 13:00, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિના

`આદિલ' મન્સૂરી

મારા જીવનની વાત ને તારા જીવન વિના!
ધરતીની કલ્પના નહીં આવે ગગન વિના.
ઉન્નત બની શકાય છે ક્યારે પતન વિના?
મસ્તક બુલંદ થઈ નથી શકતું નમન વિના.
વીજળીની સાથે સાથે જરૂરી છે મેઘ પણ,
હસવામાં કંઈ મજા નહીં આવે રુદન વિના.
કરતા રહે છે પીઠની પાછળ સદા પ્રહાર,
એ બીજું કોણ હોઈ શકે છે સ્વજન વિના?
આંસુઓ માટે કોઈનો પાલવ તો જોઈએ,
તારાઓ લઈને શું કરું ‘આદિલ’ ગગન વિના?
(મળે ન મળે, પૃ. ૨૮)