અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /ચાતક પીએ એઠું પાણી

From Ekatra Wiki
Revision as of 10:35, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> અવગતની એંધાણી, એ સંતો, અવગતની એંધાણી, {{space}}ચાતક પીએ એઠું પાણી. રાજ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
         ચાતક પીએ એઠું પાણી.

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
         એની પરબ મંડાણી;
સોનેરી દોરેથી ને હેમલા હેલથી
         રૂપેરી ધાર રેલાણી :
હે સંતો તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એઠું પાણી.
માનસર છોડીને આવ્યો શું હંસલો
         માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
         આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એઠું પાણી.

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા
         સંતની નિષ્ફળ વાણી;
દાસીય ન્હોતી મનમ્હોલમાં એ થઈ
         માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી
કે ચાતક પીએ એઠું પાણી.

(રામરસ, ૧૯૫૬, પૃ. ૫૯)