અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક પંખીને કંઈક —


એક પંખીને કંઈક —

ઉમાશંકર જોશી

એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઑથાર નીચે
કંઈક બબડી નાખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, `હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચ ને!' ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદ્બુદરવે કંઈક
કહેવા કરતી. `કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારાઓ પર
પહોંચાડીશ' કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
(સમગ્ર કવિતા, પૃ. ૭૩૫)


આસ્વાદ: કવિ ઉમાશંકર જોશીની પ્રભાવક રચના : એક પંખીને કંઈક — લાભશંકર ઠાકર

આસ્વાદ: ‘એક પંખીને કંઈક’ વિશે — રાજેશ પંડ્યા