અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/ઊગી ગયો


ઊગી ગયો

એસ. એસ. રાહી

વાળ્યું હતું મેં માન ને પડ્યો ઊગી ગયો
કેડી જુવાન થઈ પછી રસ્તો ઊગી ગયો
તારાં અષાઢી આંસુઓ પ્હોંચ્યો હશે જ ત્યાં
મોતીને બદલે છીપમાં દરિયો ઊગી ગયો
શ્રદ્ધાનો સૂર્યોદય થયો તોફાની નાવમાં
ધુમ્મસ હતું પ્રગાઢ ને તડકો ઊગી ગયો
અચરજ છે એ જ વાતનું જૂના તળાવને
કરમાયેલા કમળ મહીં ભમરો ઊગી ગયો
છેવટે એ ચાર આંખમાં ઝળક્યું’તું સ્મિત જ્યાં
ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો
માથાવિહોણું ફરતું હતું મારું આ શ રીર
ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો
મારી ભીતર ઉદાસ થયો ‘રાહી’ કંઈ રીતે
કાળી એ કામળીમાં શું તમરો ઊગી ગયો?



આસ્વાદ: વિસ્મયની વાવણી કરતાં કલ્પનો – રાધેશ્યામ શર્મા

વિસ્મયના ઉદયની આ વિશિષ્ટ રચના વાંચતાં પરિવર્તનશીલ કાફિયા કે અખંડ અફર રદીફની ચર્ચા કરવી બહુ નથી ગમતી. એકેએક શ્લોક, શેર ઇર્શાદ અને દુબારા કહેવડાવે એવો ફ્રેશ છે.

‘ઊગી ગયો’ની ‘થીમ સળંગ સ–રસ નભાવી છે, સાથોસાથ જે ભાવવિચાર–કલ્પન સંકળાઈને આવ્યા છે તે કોઈ કારીગરીથી નહીં, કલાતત્ત્વને અનુલક્ષી અવતર્યા છે. પ્રથમ બે કડીમાં જ ‘ઊગી ગયો’નો પ્રયોગ મનોહર રૂપે પ્રગટ થયો છે. નાયકના હાથે વવાયું’તું મૌન પણ એને બદલે પડઘો ઊગી જાય છે, એ જ રીતે રોમાન્ટિક છટાઅદામાં કેડી જુવાન થઈ પછી રસ્તો ઊગી ગયો.

બીજો સ્તવક કંઈક સભારંજની દિશાનો લાગે (જેમાં ‘અષાઢી આંસુઓ’ પ્રવાસે નીકળે છે) પણ બીજી કડી કલ્પનની પરિવ્યાપક ગતિશીલતા ચીંધે છે: ‘મોતીને બદલે છીપમાં દરિયો ઊગી ગયો’!

‘શ્રદ્ધા’ શબ્દ ત્રીજા શ્લોકમાં, આપણે ઝબકી જઈએ એમ એકદમ તગતગી આવ્યો લાગતાં પંક્તિ કન્સેપ્ટમાં અળપાઈ સંકડાઈ જવાની દહેશત ખડી થઈ જાય પણ ભાવક ત્યાં ખોટમાં નથી એની ખાતરી, કડીની સંરચના અને કલ્પનભંગિતાથી અનુભવે છે: ‘શ્રદ્ધાનો સૂર્યોદય થયો તોફાની નાવમાં.’ શ્રદ્ધા સાથે સૂર્યોદયનો સમન્વય તો પ્રચલિત છે પણ એને ‘તોફાની નાવ’માં ઉગાડીને કર્તાએ તોફાની દરિયાનું હોવું સૂચવીને કમાલ કરી છે.

દરિયો હોય પ્રગાઢ ધુમ્મસ કુદરતી છે, પરંતુ ધુમ્મસને ભેદીને તડકો ઊગી નીકળ્યો..

અનુવર્તી કડીમાં ‘અચરજ’ શબ્દ આવે છે ત્યાં થાય કે કવિશ્રી, વિસ્મય-અચરજ કાવ્યકંડિકામાં જ પરોવી બતાવો ને. પણ અહીં પણ ઉપરના ‘શ્રદ્ધા’ શબ્દની જેમ કવિ છેતરી કડીને જીવંતતા બક્ષે છે. અચરજ શાનું? તો કે છે ‘જૂના તળાવ’ને પ્રાપ્ત થયેલું અચરજ: ‘કરમાયેલા કમળ મહીં ભમરો ઊગી ગયો!’ કમળદળ બીડાઈ ગયું નથી તેથી ઊગરી ગયો ભમરો ને ઊગી ગયો! વાહ! તળાવને જૂનું લખ્યું માટે ‘વાહ’ કહેવી ઘટે.

ચોથી કડીનો, અંતિમ કડી સાથે પ્રાસમેળ સુજ્ઞોને ગમે એવો છે. ચોથી કડીમાં ‘ભમરો’ છે તો મત્લામાં ‘તમરો’ છે.

‘કાળી એ કામળીમાં શું તમરો ઊગી ગયો?’ છેડે પ્રશ્નચિહ્ન મૂકી ઊગવાની પ્રક્રિયાની પરિણિતી સૂચવાઈ છે. ‘તમરો’ શબ્દ સંસ્કૃત શબ્દ તિમિરમાંથી એટલે કે અન્ધકારમાંથી અવતર્યો છે. રાતે તીણા અવાજથી હાજરી પુરાવતું જીવડું તમરું અહીં કર્તાએ ‘તમરો’માં રૂપાન્તરિત કર્યું છે. કાળી કામળીમાં તમસ્ રૂપ ‘તમરો’ તો અન્ધકાર સાથે તદ્‌રૂપ થઈ જાય, એક–રૂપ થઈ જાય પણ અહીં ઊગી ગયો’ લખી કર્તાએ વિપરીત (reverse) રીતિથી ઉદયનું આશ્ચર્ય રોપ્યું છે!

આ પૂર્વે પાંચમી અને છઠ્ઠી કડીમાં ‘ઘૂઘરો’ અને ‘ચ્હેરો’ એ બે શબ્દનો રસસંયુક્ત વિનિયોગ (થયો) છે:

‘ખાલી પડેલ ઘોડિયે ઘૂઘરો ઊગી ગયો’

દંપતીના મધુર જીવનમાં સ્મિત ક્યારે ઝળક્યું? જ્યારે ખાલીખમ ઘોડિયામાં સોનાના ઘૂઘરા જેવો શિશુ અવતર્યો! (ખાલી ખોળાને સ્થાને ઘોડિયાનો ઉલ્લેખ કહેના પડે.)

આખી રચનામાં ‘હાસિલે–ગઝલ શેર’ આ લખનારને લાગ્યો હોય તો તે આ રહ્યો:

માથાવિહોણું ફરતું હતું મારું આ શરીર ઝાકળ લઈ તું આવી તો ચ્હેરો ઊગી ગયો.

અહીં સડતા દેહને મસ્તિષ્કવિહોણો કલ્પ્યો ત્યાં ભયવિસ્મયને વણી દીધા પણ તરત જ – પ્રિયાનું આકસ્મિક આગમન અને તેય ઝાકળના થાળ ભરી આવતાં જોઈ ચ્હેરો ઊગી ગયો!

જ્યાં ચ્હેરો જ નહોતો,

ફેસલેસ ઍક્ઝિસ્ટન્સ’ હતું અર્થાત્ ભૂતપ્રેતભરી ભેંકારતા હતી ત્યાં ચ્હેરો કોઈ અવતારી પુરુષ પેઠ ઝળકી ગયો…!

રચનાના ભાવવિશ્વમાંથી પૂરા પ્રવેશી પ્રસરી આવતાં કવિશ્રી એસ. એસ. રાહીને સલામ કર્યા સિવાય નહીં રહેવાય. શાથી કે તેમણે પદેપદે ‘વન્ડર’–વિસ્મય પીરસ્યો છે. (રચનાને રસ્તે)