અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત દેસાઈ/સંતની દૃષ્ટિ

સંતની દૃષ્ટિ

ભાનુપ્રસાદ ત્રિવેદી

આણી પારે પેલી પારે અમને સર્વ રૂપાળું,
શિશિર હોય કે ગ્રીષ્મ ભલે હો અમને સૌ રઢિયાળું —

ગાત્ર અમારાં અકળ શૂળીએ આરપાર વીંધાણાં;
પીઢ થયા સતધારે ઝાઝાં ખેલીને ધિંગાણાં, —
અમને ખરબચડું ના કંઈયે,
અમને સર્વ સુંવાળું... આણી પારે.

પળમાં કંટક પળમાં ફૂલડાંની કેડીએ ભમવું,
પળમાં ઊંચે ઊડવું, પળમાં ગહન પાણીડે ડૂબવું;
આમ ઉરમાં સુખદુઃખ સંપીને
જીવતર જીવતાં ન્યારું... આણી પારે.

મૃગલાં શાં મનમસ્ત બનીને ભરીએ અનહદ ફાળો,
આજ હિમાલય કાલ ગિરિતલ નિત નિત નવ રહેઠાણો;
અમ કાજે પથરાયું ચોગમ
વ્હાલું વિશ્વ વિશાળું... આણી પારે.

ધખધખ લાગે લ્હાય ભલે ને આગળ પાછળ ઉપર,
વરસે તાતાં તીર ભલે ને વ્યોમ થકી આ તન પર;
અલક તોય ના ચળે, અમારે
રામ તણું રખવાળું... આણી પારે.

(ઊર્ધ્વોન્મેષ, ૨૦૦૧, પૃ. ૪૪)