અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયા મહેતા/માણસ મરી જાય છે પછી

From Ekatra Wiki
Revision as of 10:02, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search
માણસ મરી જાય છે પછી

જયા મહેતા

થોડા દિવસ કરુણ શબ્દોની ઊડાઊડ.
થોડા દિવસ
હૉસ્પિટલની લૉબીમાં ફરતાં સગાંવહાલાં જેવી
ઠાલાં આશ્વાસનોની અવરજવર.
થોડા દિવસ ગીતા ને ગરુડપુરાણની હવા.
પછી બૅન્ક-બૅલેન્સની પૂછપરથ.
પછી મરનારના પુરુષાર્થનાં
ગુણગાનની ભરતી અને ઓટ.
પછી રૅશનકાર્ડમાંથી નામની બાદબાકી.
છેવટે રોજની જેમ સૂર્ય ઊગે છે,
રોજની જેમ સૂર્ય આથમે છે,
અને કંકુની ડબી પણ જાણે કે
શબની ચાદર ઢંકાઈ જાય છે.
કંકણોની પાંપણો ટપક્યા કરે છે
અને
મંગલસૂત્ર ઝૂર્યા કરે છે.