અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દલપત પઢિયાર/પુણ્યસ્મરણ

From Ekatra Wiki
Revision as of 11:56, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુણ્યસ્મરણ|દલપત પઢિયાર}} <poem> અમને કોની રે સગાયું આજ સાંભરે?...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુણ્યસ્મરણ

દલપત પઢિયાર

અમને કોની રે સગાયું આજ સાંભરે?
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે…
કોની રે સગાયું આજ સાંભરે?

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટે ઘોડા દોડાવો,
આઘે લ્હેર્યુંને આંબી કોણ ઊઘડે…
કોની રે સગાયું આજ સાંભરે?

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ,
અમને દાદા દેખાય પેલી ડેલીએ…
કોની રે સગાયું આજ સાંભરે?

માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે…
કોની રે સગાયું આજ સાંભરે?

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલીયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ…
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.
(ભોંયબદલો, પૃ. ૧૧૧)