અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…


મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…

નંદકુમાર પાઠક

મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
         રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
         નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.

         ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
         રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.

         રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
         લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.

(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)