અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ગિરનારને ચરણે

From Ekatra Wiki
Revision as of 12:58, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઊગ્યું સ્હવાર સુખરૂપ સખિ! અમારું; યાત્રા હજો શુભ હવે અમ ઊર્ધ્વગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઊગ્યું સ્હવાર સુખરૂપ સખિ! અમારું;
યાત્રા હજો શુભ હવે અમ ઊર્ધ્વગામી!
માંડી સિંહાસન રવિ ગિરનાર-શૃંગે
યાત્રાળુને કનક-અંગુલિથી નિમન્ત્રે.

આકાશમાંથ ઉડુમંગલ સંચર્યું’તું,
આતિથ્ય-અર્ઘ્ય રવિ એક જ અર્પતો’તો,
તે લેઈ લેઈ નમણું ઉર નામતું’તું,
લીલાવિમુગ્ધ પડતું ઢળી દેવપાદે.

પ્રાચી વિશે વિચરતા અમ સૂર્યદેશે,
જ્ય્હાં તેજનાં ઝરણ કોટિક ફૂટતાં’તાં;
ત્ય્હાં ઊડતા અમિત ભર્ગ તણા ફુવારા :
આત્મન્‌તૃષા છીપવવા લીધ પંથ ત્ય્હાંના.

ન્હોતી સીમા ગગનનીય રચન્તી બાધા,
ન્હોતી સીમા જગત કે જગબંધનોની :
ન્હોતાં જ સંકલન કો સ્થલકાલનાં ત્ય્હાં;
નિર્બન્ધ એમ વહતા પ્રભુના પ્રવાહે.

લેતા વિરાટ પગલાં સખિ! વિશ્વગોલે,
વર્ષો સહસ્ર કૂદતા મૃગલાની ફાળે;
આત્મા પુરાણતીર, લોચન વર્તમાન :
એવું હતું બલ, પ્રિયે, નવપ્રેરણાનું.

હા! કાલરાશિ સરિખા ગિરિ રાજતા તે,
ને એક ભૂતકણ ત્ય્હાં ચરણે પડ્યો’તો :
રાજેન્દ્ર કો થઈ ગયા સખિ! ધર્મગોપ્તા,
તે કુલચન્દ્રની કથા ગુણવંતી ગાતો.

શું સ્થૂલ-સૂક્ષ્મ લહરી નથી એક પૂરે?
શું સ્થૂલ નેત્ર નવ ચેતનમંત્ર વાંચે?
શું સૂક્ષ્મની ન વસી સુંદરતા સ્થૂલોમાં?
શું સ્થૂલમાં ન ઉભરાય અદૃશ્ય સૂક્ષ્મ?

જોયું અમે ગિરિકણે, સ્થૂલની શિલામાં,
જોયું અમે જ ઉંડું, અદ્ભુત માંહિ દીઠું:
એ એક શૈલકણનું ઉર ભેદી જોતાં,
ઇતિહાસવાહી લીધ દર્શન ત્ય્હાં પ્રભુનું.

આદ્યંતમાં જીવન આ જગતનું ભરીને,
ઘોરે અઘોરનીર સાગર કાલ કેરો :
તે સિંધુના જલ તણી દલપાંદડીમાં
મોંઘો સખિ! પરમ બ્રહ્મપરાગ ઊડે.

મારી છલંગ સખિ! એક સમુદ્ર કૂદ્યા,
નિહાળ્યું ભારત સુસાત્ત્વિક વન્દનીય.
નિહાળી શ્વેત ગિરિમાલની હિતભૂમિ,
ને સાધુ-સાધ્વીની દીઠી મહીં શિવરેખા :

ઓળંગી એ હિમભૂમિ, જલધિની ઝાડી,
આહ્‌લાદિની વિચરતી દીઠી ધર્મધેનુ :
ત્ય્હાં નીરખી સુભગરાઘવપાદ લંકા
ને વીર વીરી મળી તે મહીં સ્તોત્ર ગાતા :

સિદ્ધાર્થદેવ દીધ ભારતી એક વત્સા
પોષી સહર્ષ સુરનન્દિની ચન્દ્રગુપ્તે;
દે ખંડ ખંડ દૂધ રાજર્ષિ અશોકા :
સૌ એક શૈલકણમાં ગૂઢ એવું દીઠું.

ગાલે ઢળે નમણી પાંપણ અર્ધમીંચી,
ઢાંકી વળી વળી જ પાલવ ઊરદેશ;
સંકોરી કોર સરતી કરવેલડીએ;
ત્હેના નથી રસિક શાસ્ત્રીય ભાષ્યકારો?

દીઠી શિલા મહીંય સાગરની સમૃદ્ધિ,
દીઠો સ્થૂલે મહત ચેતનઓઘ વ્હેતો :
તો શૈલને જડ પછી વદવું પ્રિયે! શેં?
તો શૈલને જડ કહી સખિ? નિન્દવું કાં?

જ્યોતિ ઝીલી પરમભાવ દિનેશ કેરી
સત્કારી સપ્રભ વિશાલ કૃપાની ધારા,
ચાલ્યા અને પછી પીતા જ વરેણ્ય ભર્ગ
આતિથ્ય દેવકુલનું પ્રિય! યાચવાને.