અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુરાજ જોષી/કાળું પતંગિયું


કાળું પતંગિયું

પુરુરાજ જોષી

હમણાં હમણાંનું
રોજ રાત્રે
જગત જંપી ગયું હોય અને
હું મારી જાત સાથે સંવાદ સાધતો હોઉં
એ સમયે
એક પતંગિયું
ક્યાંકથી આવતુંકને
બેસે છે મારા હાથ પર,
ખભા પર,
મસ્તક પર...
એનો અવાજ
હું સાંભાળી શકતો નથી
પણ લાગે છે કે
એ મને કશુંક કહી રહ્યું હોય છે.
આ રેશમી, કાળું, નાજુક પતંગિયું
શું કહેતું હશે મને?
શા માટે એ રોજ રાત્રે આવીને
આટલા વ્હાલથી સ્પર્શતું હશે મને?
પણ
એ આવતું હશે ક્યાંથી?
બારી-બારણાં તો
સમી સાંજનાં ભીડી દીધાં હોય છે.
બારી-બારણાંની
કોઈક તિરાડમાંથી આવતું હશે?
કે પછી
દિવસે ઘરના કોઈક અંધારા ખૂણે
સંતાઈ રહેતું હશે?
અને રાતના એકાંતમાં
થોડી વાર પછી
હું એને ખોળું છું —
ક્યાં ગયું હશે એ?
ઘરના કોઈ ખૂણે, ક્યાંય
એના સગડ મળતા નથી.
છેવટે
એને વિસારે પાડી
કામમાં ગૂંથાઉં છું
ત્યાં
અચાનક
મારી ભીતર
મસૃણ
કશુંક
થરકતું લાગે છે...