અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/મનમેળ

From Ekatra Wiki
Revision as of 12:52, 24 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}કેવા રે મળેલા મનના મેળ? હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

         કેવા રે મળેલા મનના મેળ?
હો રુદિયાના રાજા! કેવા રે મળેલા મનના મેળ?
         ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
         જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
         તુંબું ને જંતરની વાણી
         કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
         જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!
                  સંગનો ઉમંગ માણી,
                  જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા! એવા રે મળેલા મનના મેળ!
         જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
         જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી! એવા રે મળેલા મનના મેળ!

(કુન્તલ, ૧૯૯૨, પૃ. ૭)